Home Blog Page 2855

રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ 2022-23 માટે 5000 અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પસંદગી

મુંબઈ, 22 મે 2023: દેશના 27 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ અન્ડરગ્રેજ્યુએટ કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 5000 વિદ્યાર્થીઓ 2022-23 માટે રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ આપવામાં આવશે. પસંદ કરાયેલા મેધાવીઓને રૂ. બે લાખ સુધીનું અનુદાન પ્રાપ્ત થશે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સક્ષમ નેટવર્કનો હિસ્સો બનવાની પણ તક સાંપડશે.

“શિક્ષણ સુલભ બનાવીને રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ યુવાનોના સપનાને પાંખો આપવાની આશા રાખે છે. આ મેધાવીઓનું એક વૈવિધ્યસભર જૂથ છે કારણ કે તેઓ અભ્યાસની વિવિધ શાખાઓમાંથી આવે છે, ભારતના લગભગ તમામ રાજ્યોમાંથી યુવતીઓ અને યુવકો સમાન રીતે પસંદ કરવામાં આવે છે. અમે પસંદ કરેલા દરેક મેધાવી વિદ્યાર્થીઓને અભિનંદન આપીએ છીએ અને અમને વિશ્વાસ છે કે તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપીને પોતાના માટે એક મજબૂત ભવિષ્ય બનાવશે,” તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સીઈઓ જગન્નાથ કુમારે જણાવ્યું હતું.

રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ અભ્યાસના કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓને મેરિટ-કમ-મીન્સના આધારે આપવામાં આવે છે. આ વર્ષ માટે પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ/ટેક્નોલોજી, સાયન્સ, મેડિસિન, કોમર્સ, આર્ટસ, બિઝનેસ/મેનેજમેન્ટ, કમ્પ્યૂટર એપ્લિકેશન્સ, કાયદો, શિક્ષણ, હોસ્પિટાલિટી, આર્કિટેક્ચર અને અન્ય વ્યાવસાયિક ડિગ્રીઓ સહિતની સ્ટ્રીમમાંથી આવે છે.  દેશની 4,984થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા લગભગ 40,000 અરજદારોમાંથી 2022-23 વર્ષ માટેના 5,000 મેધાવી વિદ્યાર્થીઓની એપ્ટિટ્યુડ ટેસ્ટ, ધોરણ 12ના ગુણ અને પાત્રતાના અન્ય માપદંડો સહિતની સઘન પસંદગી પ્રક્રિયા બાદ પસંદગી કરવામાં આવી હતી, જેમાં 51% યુવતીઓ છે. પ્રોગ્રામમાં રહેલી વિવિધતાને વધુ પ્રતિબિંબિત કરતા આ રાઉન્ડમાં 99 દિવ્યાંગ વિદ્યાર્થીઓની પણ સ્કોલરશિપ માટે પસંદગી કરવામાં આવી હતી.

ગત ડિસેમ્બરમાં પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા રિલાયન્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે તે આગામી 10 વર્ષમાં 50,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. શિષ્યવૃત્તિના આ રાઉન્ડનો પુરસ્કારની નેમ ભારતના ભવિષ્યના નિર્માણ તરફ તમામ માટે શિક્ષણની સુવિધા લઈ જવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તૈયાર કરવાના રિલાયન્સના વારસાને આગળ વધારનારી છે. વર્ષ 1996થી લગભગ 13,000 અંડરગ્રેજ્યુએટ વિદ્વાનોને મેરિટ-કમ-મીન્સ આધારે ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ આપવામાં આવી છે, જેમાંથી 2,720 દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

પસંદ કરાયેલા મેધાવી વિદ્યાર્થીઓ તેમની પસંદગી અને વધુ વિગતો માટે સીધો સંદેશાવ્યવહાર મેળવશે. અરજદારો તેમની અરજીઓનું પરિણામ જાણવા માટે www.reliancefoundation.org ની પણ મુલાકાત લઈ શકે છે.

વર્ષ 2022-23 માટે પસંદ કરાયેલા રિલાયન્સ ફાઉન્ડેશન પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની જાહેરાત જુલાઈમાં અપેક્ષિત છે. રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિના હવે પછીના તબક્કા (2023-24) માટેની અરજીઓ આગામી મહિનાઓમાં સ્વીકારવામાં આવશે.

શું એર ઇન્ડિયા સિંગાપુર એરલાઇન્સની જેમે નફો રળી શકશે?

સિંગાપુરઃ સિંગાપુર એરલાઇન્સે (SIA) ગયા સપ્તાહે વાર્ષિક પરિણામો જાહેર કર્યા હતાં, જેમાં કંપનીએ 76 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ વાર્ષિક નફો નોંધાવ્યો હતો. માર્ચ, 2023ને પૂરા થતા નાણાકીય વર્ષમાં SIA ગ્રુપે SGD 215.7 લાખ (159.8 લાખ ડોલર)નો રેકોર્ડ ચોખ્ખો નફો કર્યો હતો, જ્યારે ગયા વર્ષે કંપનીએ SGD 96.2 લાખ (71.3 લાખ લાખ ડોલર)ની ખોટ નોંધાવી હતી. કંપનીએ SGD 311.9 લાખ (231. લાખ ડોલર)ની કમાણી કરી હતી.

કંપનીની આવક વાર્ષિક ધોરણે 133.4 ટકા અથવા SGD 1016 લાખ (752.6 લાખ ડોલર)થી વધીને રેકોર્ડ SGD 177.75 લાખ (1316.7 લાખ ડોલર) થઈ હતી. કંપનીની વાર્ષિક ક્ષમતામાં 94 ટકાનો વધારો થયો હતો, જે ટ્રાફિકમાં 449.9 ટકાનો વધારો દર્શાવે છે. આને પગલે પેસેન્જરોની આવ-જાની આવક 1056 લાખ સિંગાપુર ડોલરથી 37.63 ટકા વધીને 1336.6 લાખ સિગાપુરી ડોલર થઈ હતી. કંપનીની RASK ( રેવેન્યુ પર અવેલિબિલિટી સીટ-કિલોમીટર) 10 સિગાપુર સેન્ટ હતી, જે કેરિયરના ઇતિહાસમાં સૌથી વધુ હતી.

સમીક્ષા હેઠળના નાણાકીય ગાળામાં SIA ગ્રુપની બે એરલાઇનો –સિંગાપુર એરલાઇન્સની સંપૂર્ણ સર્વિસ અને લો-કોસ્ટ સ્કૂટે મળીને કુલ 2.65 કરોડ પેસેન્જરોને સર્વિસ આપી હતી, જે એક વર્ષ પહેલાંની તુલનામાં છ ગણી વધુ હતી. માર્ચ, 2023 સુધીમાં કોવિડ પહેલાંના સ્તરે માત્ર 79 ટકાની ક્ષમતા સાથે એરલાઇન હજી વધુ સારી કામગીરી કરે એવી શક્યતા છે. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીને ક્ષમતા આશરે સરેરાશ 83 ટકાએ પહોંચવાની ક્ષમતા છે.

 

 

વાંસની કલાકૃતિના નિષ્ણાત વજીરભાઈ કોટવાળિયાને રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતનું આમંત્રણ

દહેજ (ભરૂચ) : ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાળિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવા જ કારીગર વજીરભાઈ કોટવાળિયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા એકાદ વર્ષથી એમની ઝુંબેશને અદાણી ફાઉન્ડેશન, દહેજનો સહયોગ સાંપડ્યા પછી અનેક નવા આયામો એમના કાર્ય અને ઝુંબેશમાં ઉમેરાયા છે. વજીરભાઈ કોટવાળિયાને દેશના રાષ્ટ્રપતિ તરફથી કોન્ફરન્સ-કમ-એક્સપોઝર મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યાં એ પોતાના કોટવાળિયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળશે.

વજીરભાઈ કોટવાળિયાએ મર્યાદિત સંસાધનો સાથે પોતાના સમુદાયના 50 સભ્યોને વ્યવસાયમાં જોડ્યા છે. સરકાર અને સંસ્થાઓના સહયોગથી વિવિધ મેળા અને પ્રદર્શનમાં સહભાગી થતાં રહ્યા છે. એમ છતાં એમને બજારનો સંપર્ક ન હતો. અનેક પરિવારો આવકના અભાવે વાંસકળાનું કામ છોડી દીધું હતું પરંતુ વજીરભાઈ અને એમનો પરિવાર એ કામ સાથે જ રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા જણાવે છે કે અમે જ્યારે વજીરભાઈને મળ્યા ત્યારે આ કળા જીવંત રાખવા માટે કેટલીક મદદની જરૂર હોવાની વાત કરી હતી. અમે વજીરભાઈના સમર્થનથી કોટવાળિયા સમુદાયની મહિલાઓનું એક સખી મંડળ બનાવી એની નોંધણી કરાવી, “જય દેવ મોગરા મા ગ્રુપ હાથાકુંડી”. આ જૂથને અમદાવાદમાં અદાણી સમૂહના કોર્પોરેટ હાઉસમાં યોજાયેલા ગ્રામ ભારતીમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણની તક મળી હતી સાથે જ અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિબહેન અદાણીની મુલાકાતનો અવસર પણ મળ્યો હતો. ગ્રામ ભારતીએ એમના માટે સફળતાનો માર્ગ મોકળો કર્યો અને વસ્તુઓના વેચાણના અનેક દ્વાર ઉઘાડયા છે. એમને સરકારની વિવિધ યોજનાનો પણ લાભ મળે એ માટે DRDA, DIC અને ટ્રાયબલ સબ-પ્લાન જેવી ઓફિસ સાથે સંકલન પણ કરાવ્યુ છે.

વજીરભાઈ અને એમની સાથે સંકળાયેલા જૂથને વધુ મજબૂત બનાવવા માટે અદાણી ફાઉન્ડેશનએ એમણે વાંસકળા માટે જરૂરી એવી મશીનરીનો સહયોગ આપ્યો છે. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન સીએસઆર, ગુજરાતના વડા પંક્તિબેન શાહના હસ્તે વાંસ કાપવા, પોલિશ કરવા ટૂલબોક્સ આપવામાં આવ્યા હતા. આ મશીનો વડે તેઓ બજારમાં સ્પર્ધાત્મક ઉત્પાદનો બનાવશે, વાંસની દોરી કાપવામાં તેમનો સમય બચાવશે અને વધુ કમાણી કરશે.

વજીરભાઈ કોટવાળિયા જૂનના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં જશે. એ માટે તેઓ બહુ ઉત્સાહિત છે. તેઓ કહે છે, કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે છેલ્લા 25 વર્ષથી વાંસ કામ કરું છુ એટલે અનેક સરકારી અધિકારી ઓળખે છે એટલે કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં જવા માટે મારી પસંદગી કરી છે. હું એનાથી બહુ ખુશ છું અને ગૌરવ અનુભુવું છું. અમને અદાણી ફાઉન્ડેશન તરફથી ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. અત્યારે મળેલો મશીનરીનો સહયોગ મને આજ સુધી મળેલો સૌથી મોટો સહયોગ છે.

કેદારનાથ ધામમાં તાંબાથી બનેલા ‘ઓમ’ની આકૃતિ સ્થાપિત થશે

રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામની ભવ્યતાને હવે વધુ વધારવા માટે ધામના ગોળ પ્લાઝામાં ઓમની આકૃતિ સ્થાપિત કરવામાં આવશે. આ આકૃતિનું વજન 60 ક્વિન્ટલ હશે, જેને તાંબામાંથી બનાવવામાં આવશે. આ આકૃતિ ધામમાં સ્થાપિત કરવા માટે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ ઓમને જલદીમાં જલદી સ્થાયી રીતે સ્થાપિત કરવામાં આવશે. કેદારનાથ ધામમાં લગનારી આ 60 ક્વિન્ટલ ઓમની આકૃતિને ગુજરાતના કલાકારોએ તાંબાથી બનાવી છે. આ ધામમાં સ્થાપિત કરવા માટે તાંબાથી વેલ્ડિંગ કરવામાં આવશે, જેથી ધામમાં આવતી કોઈ પણ દુર્ઘટનાની એના પર અસર ના થાય. પહેલા તબક્કામાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને PWDએ હાઇડ્રો મશીનની મદદથી ગોળ પ્લાઝામાં ઓમની આકૃતિને સ્થાપિત કરવા માટે ટ્રાયલ લીધી હતી, જે સફળ રહી હતી.

ઓમની આકૃતિને સ્થાપિત કરવા માટે એક વિડિયો પણ શેર કર્યો હતો, જેમાં ઓમને દોરી અને જેસીબીની મદદથી સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેટલાય લોકો પણ આ કાર્યમાં લાગેલા છે. ઓમને સ્થાપિત કર્યા પછી એના પર લાઇટિંગ પણ કરવામાં આવશે, જેથી રાત્રિના સમયે એ વધુ ભવ્ય રીતે દેખાય.

ઓમની આકૃતિને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવશે. એની સાથે એ સ્નોફોલ અને કોઈ દુર્ઘટના વખતે ક્ષતિગ્રસ્ત ના થઈ શકે, એમ EE વિનય ઝિકવાંએ જણાવ્યું હતું. રુદ્રપ્રયાગના જિલ્લાધિકારી મયૂર દીક્ષિતે કહ્યું હતું કે ઓમની આકૃતિ સ્થાપિત થવાથી કેદારનાથ ગોળ પ્લાઝાની ભવ્યતા વધુ વધી જશે. ઓમ આકૃતિને સ્થાપિત કરવા માટે DDMA દ્વારા આવશ્યક કાર્યવાહી પૂરી કરવામાં આવી રહી છે.

 

 

PM મોદી પાપુઆ ન્યુ ગિની, ફિજીના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીને ફિજીના સર્વોચ્ચ સન્માનથી સન્માનવામાં આવ્યા છે. ફિજી દેશના વડા પ્રધાન સિત્વની રાબુકા દ્વારા ફિજીના સર્વોચ્ચ સન્માન- કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર અને ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે અત્યાર સુધી ચુનંદા લોકોને ફિજી લોકોનું એ સન્માન મળ્યું છે. આવામાં ભારત માટે આ સન્માનનું અલગ મહત્ત્વ છે. એ સાથે રિપબ્લિક ઓફ પલાઉએ પણ વડા પ્રધાન મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપબ્લિક ઓફ પલાઉએ વડા પ્રધાન મોદીને એબાક્લ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન મોદીને બંને એવોર્ડ પાપુઆ ન્યુ ગિનીમાં આપવામાં આવ્યા હતા. PMO ઇન્ડિયાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે પલાઉના રાષ્ટ્રપતિ સુરંગેલ વ્હિપ્સ જુનિયરે વડા પ્રધાનને ભેટ આપી હતી.

વડા પ્રધાન મોદી એબકલની સાથે – એ પલાઉના લોકો માટે સૌથી મહત્ત્વનાં ઉપકરણોમાંથી એક છે અને એની સ્થાનિક સંસ્કૃતિથી ઊંડો સંબંધ છે, જે નેતૃત્વ અને જ્ઞાન પણ પ્રતીક છે.

પાપુઆ ન્યુ ગિનીએ પણ વડા પ્રધાન મોદીને દેશનું સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાપુઆ ન્યુ ગિનીએ પ્રશાંત દ્વીપ દેશોની એકતાને કારણે અને ગ્લોબલ સાઉથને કારણે આગેવાની કરવા માટે વડા પ્રધાન મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુથી સન્માનિત કર્યા હતા.  પાપુઆ ન્યુ ગિનીની તરફથી પુરસ્કાર બહુ ઓછા લોકોને આપવામાં આવે છે.

 

 

 

 

કોરાનાના 472 નવા કેસો, છનાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 472 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,86,934 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,839 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,47,472 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 958 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 7623એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.02 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 51,274 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.94 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.70 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.90 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,98,600 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 468 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મુકેશ અંબાણીએ સિદ્ધિવિનાયક મંદિરમાં જઈ દર્શન કર્યા

મુંબઈઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ એમના પરિવારજનો સાથે ગઈ કાલે અહીંના પ્રભાદેવી ઉપનગરમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. એમની સાથે એમના મોટા પુત્ર આકાશ, પુત્રવધુ શ્લોકા અને પૌત્ર પૃથ્વી પણ હતાં. મુકેશભાઈએ પૌત્ર પૃથ્વીને હાથમાં તેડ્યો હતો. એમનાં આગમનની જાણ થતાં અસંખ્ય પ્રેસ ફોટોગ્રાફરો તથા સ્વતંત્ર ફોટોગ્રાફરો મંદિર ખાતે પહોંચી ગયા હતા અને મંદિરની બહાર ભીડ જમાવી હતી. અંબાણી પરિવારજનો મંદિરમાં ગણપતિ ભગવાનના આશીર્વાદ લઈને પાછા નીકળ્યાં ત્યારે એમની ફોટોગ્રાફરોએ ધડાધડ એમની તસવીરો પાડી હતી અને વિડિયો ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, શ્લોકા મહેતા-અંબાણી બીજી વાર ગર્ભવતી બન્યાં છે.

અંબાણી પરિવારે ગયા અઠવાડિયે પણ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. એ વખતે આકાશ અંબાણી સાથે એમના પત્ની શ્લોકા અને પુત્ર પૃથ્વી પણ હતાં.

સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ શ્રીનગરમાં આજથી G20 શિખર સંમેલનનો આરંભ

શ્રીનગરઃ G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક આજે અહીં યોજાશે. એ માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થાને પણ અત્યંત કડક બનાવવામાં આવી છે. આ બેઠક ત્રણ દિવસ સુધીની છે. 2019માં જમ્મુ અને કશ્મીરનો વિશેષ રાજ્ય તરીકેનો દરજ્જો સમાપ્ત કરીને એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો તે પછી શ્રીનગરમાં આ પહેલી વાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

આ શિખર સંમેલન માટે ત્રણ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ડ્રોનની મદદથી હવાઈ નિરીક્ષણ રખાશે, બેઠકના સ્થળે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) અને MARCOS કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. તદુપરાંત કોઈ અનિચ્છનીય બનાવ બનતો રોકવા માટે અનેક સ્થળે જમ્મુ અને કશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે. મરીન કમાન્ડોએ સુપ્રસિદ્ધ દાલ સરોવર સ્વચ્છ બનાવડાવી દીધું છે અને લાલ ચોક ખાતે એનએસજીના કમાન્ડોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

પ્રતિષ્ઠિત વિદેશી પ્રતિનિધિઓઓને આવકારવા માટે શ્રીનગર શહેરની દીવાલો અને રસ્તાઓને સુશોભિત કરવામાં આવ્યા  છે. આ કાર્યક્રમના આયોજનથી કશ્મીર પ્રદેશમાં પર્યટન અને વ્યાપાર ક્ષેત્રોને ઘણું પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, ભારતને આ વર્ષમાં G20 શિખર સંમેલનોનું યજમાન બનવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. આખા દેશમાં તમામ શહેરોમાં G20 બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્વાભાવિક રીતે, જમ્મુ અને કશ્મીર તથા લદાખ કેન્દ્રશાસિત પ્રદેશોને પણ એનાથી બાકાત રાખવામાં આવ્યા નથી.

સુવિચાર – ૨૨ મે, ૨૦૨૩

સુવિચાર – ૨૨ મે, ૨૦૨૩

૨૨ મે, ૨૦૨૩

૨૨ મે, ૨૦૨૩