વાંસની કલાકૃતિના નિષ્ણાત વજીરભાઈ કોટવાળિયાને રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતનું આમંત્રણ

દહેજ (ભરૂચ) : ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાળિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવા જ કારીગર વજીરભાઈ કોટવાળિયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા એકાદ વર્ષથી એમની ઝુંબેશને અદાણી ફાઉન્ડેશન, દહેજનો સહયોગ સાંપડ્યા પછી અનેક નવા આયામો એમના કાર્ય અને ઝુંબેશમાં ઉમેરાયા છે. વજીરભાઈ કોટવાળિયાને દેશના રાષ્ટ્રપતિ તરફથી કોન્ફરન્સ-કમ-એક્સપોઝર મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યાં એ પોતાના કોટવાળિયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળશે.

વજીરભાઈ કોટવાળિયાએ મર્યાદિત સંસાધનો સાથે પોતાના સમુદાયના 50 સભ્યોને વ્યવસાયમાં જોડ્યા છે. સરકાર અને સંસ્થાઓના સહયોગથી વિવિધ મેળા અને પ્રદર્શનમાં સહભાગી થતાં રહ્યા છે. એમ છતાં એમને બજારનો સંપર્ક ન હતો. અનેક પરિવારો આવકના અભાવે વાંસકળાનું કામ છોડી દીધું હતું પરંતુ વજીરભાઈ અને એમનો પરિવાર એ કામ સાથે જ રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા જણાવે છે કે અમે જ્યારે વજીરભાઈને મળ્યા ત્યારે આ કળા જીવંત રાખવા માટે કેટલીક મદદની જરૂર હોવાની વાત કરી હતી. અમે વજીરભાઈના સમર્થનથી કોટવાળિયા સમુદાયની મહિલાઓનું એક સખી મંડળ બનાવી એની નોંધણી કરાવી, “જય દેવ મોગરા મા ગ્રુપ હાથાકુંડી”. આ જૂથને અમદાવાદમાં અદાણી સમૂહના કોર્પોરેટ હાઉસમાં યોજાયેલા ગ્રામ ભારતીમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણની તક મળી હતી સાથે જ અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિબહેન અદાણીની મુલાકાતનો અવસર પણ મળ્યો હતો. ગ્રામ ભારતીએ એમના માટે સફળતાનો માર્ગ મોકળો કર્યો અને વસ્તુઓના વેચાણના અનેક દ્વાર ઉઘાડયા છે. એમને સરકારની વિવિધ યોજનાનો પણ લાભ મળે એ માટે DRDA, DIC અને ટ્રાયબલ સબ-પ્લાન જેવી ઓફિસ સાથે સંકલન પણ કરાવ્યુ છે.

વજીરભાઈ અને એમની સાથે સંકળાયેલા જૂથને વધુ મજબૂત બનાવવા માટે અદાણી ફાઉન્ડેશનએ એમણે વાંસકળા માટે જરૂરી એવી મશીનરીનો સહયોગ આપ્યો છે. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન સીએસઆર, ગુજરાતના વડા પંક્તિબેન શાહના હસ્તે વાંસ કાપવા, પોલિશ કરવા ટૂલબોક્સ આપવામાં આવ્યા હતા. આ મશીનો વડે તેઓ બજારમાં સ્પર્ધાત્મક ઉત્પાદનો બનાવશે, વાંસની દોરી કાપવામાં તેમનો સમય બચાવશે અને વધુ કમાણી કરશે.

વજીરભાઈ કોટવાળિયા જૂનના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં જશે. એ માટે તેઓ બહુ ઉત્સાહિત છે. તેઓ કહે છે, કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે છેલ્લા 25 વર્ષથી વાંસ કામ કરું છુ એટલે અનેક સરકારી અધિકારી ઓળખે છે એટલે કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં જવા માટે મારી પસંદગી કરી છે. હું એનાથી બહુ ખુશ છું અને ગૌરવ અનુભુવું છું. અમને અદાણી ફાઉન્ડેશન તરફથી ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. અત્યારે મળેલો મશીનરીનો સહયોગ મને આજ સુધી મળેલો સૌથી મોટો સહયોગ છે.