Home Blog Page 2636

રાજસ્થાનમાં બમ્પર ઓફરઃ લગ્ન કરવા પર મળશે રૂ, 10 લાખ, શરતો લાગુ

જયપુરઃ રાજસ્થાનની ગહેલોત સરકારે છેલ્લા કેટલાક સમયથી એક પછી એક મોટા નિર્ણય લઈ રહી છે. મુખ્ય પ્રધાન ગહેલોતે હાલમાં રાજ્યમાં 19 નવા જિલ્લા બનાવવાની ઘોષણા કરી હતી. હવે રાજ્ય સરકારે એક મોટું એલાન કર્યું છે. સામાજિક સમરસતા અને એકતા વધારવાના ઉદ્દેશથી સરકારે આંતરજાતીય લગ્નોને પ્રોત્સાહન રકમને બે ગણી કરી છે.

સરકારે ઇન્ટર કાસ્ટ મેરેજની પ્રોત્સાહન રકમને વધારીને હવે રૂ. 10 લાખ કરવાનું એલાન કર્યું છે. આ પહેલાં રૂ. પાંચ લાખ આપવામાં આવતા હતા. હવે આંતરજાતીય યુગલને રૂ. 10 લાખ આપવામાં આવશે. સરકારે કહ્યું હતું કે આનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળશે. સમાજમાં એકતા અને ભાઇચારો વધશે. સરકારે હાલમાં વિધાનસભામાં રજૂ કરેલા બજેટ 2023-24માં આ રકમ વધારવાનું એલાન કર્યું હતું. સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટે હવે એનું નોટિફિકેશન જારી કરી દીધું છે.

સરકારની આ શરતો થશે લાગુ

ડોક્ટર સવિતાબહેન આમ્બેડકર આંતરજાતીય સંશોધિત વિવાહ યોજના હેઠળ લગ્ન કરનાર કપલ ઇન્ટર કાર્ય જ હોવું જોઈએ. એ કપલને લગ્ન કરવા પર રૂ. 10 લાખ આપવામાં આવશે. એમાંથી રૂ. પાંચ લાખ આઠ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવામાં આવશે, જ્યારે બચેલા રૂ. પાંચ લાખ કપલને જોઇન્ટ બેન્ક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જોકે ફિક્સ્ડ ડિપોઝિટવાળા નાણાંના આઠ વર્ષથી પહેલાં કાઢી નહીં શકાય.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2006માં આ યોજના હેઠળ રૂ. 50,000 આપવામાં આવતા હતા, ત્યાર બાદ એપ્રિલ, 2013માં એને વધારીને રૂ. પાંચ લાખ કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો પૈસા આપે છે, એમાં રાજ્ય સરકાર 75 ટકા અને 25 ટકા કેન્દ્ર સરકાર યોગદાન આપે છે.

 

 

 

ધો.12 સાયન્સ-કોમર્સના આ પેપરમાં 5 પ્રશ્નો એક જેવા જ

ગુજરાતી માધ્યમના પેપરમાં છબરડો જોવા મળ્યો છે. જેમાં ધો.12 સાયન્સ-કોમર્સના આ પેપરમાં 5 પ્રશ્નો એક જેવા જ છે. તેમાં 21,509 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. તથા 149 ગેરહાજર છે. ગુજરાતી માધ્યમના પેપરમાં ટાઈપ્સને બદલે ડેટા શબ્દનો ઉલ્લેખ કરાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. તેમજ ધો.12 કોમર્સનું કમ્પ્યુટરનું પેપર એકદંરે સરળ પુછાયું હતું. શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષા અંતર્ગત ધો.10નું ગુજરાતી અને ધો.12 કોમર્સનું કમ્પ્યુટરનું પેપર એકદંરે સરળ પુછાયુ હતું. જોકે, ગત શનિવારે ધો.12 સાયન્સના કમ્પ્યુટર પેપરમાં પુછાયેલા પાંચ પ્રશ્નો આજના ધો.12 કોમર્સના પેપરમાં પણ પુછાયા હોવાનું વિષય શિક્ષકે જણાવ્યું હતું.

પાંચ માર્ક્સના પ્રશ્નો સાયન્સ અને કોમર્સના કમ્પ્યુટરના પેપરમાં એકસરખા

શહેર અને જિલ્લામાં ધો.10ના 10,665 વિદ્યાર્થીઓએ ગુજરાતીની પરીક્ષા આપી હતી. જે પૈકી 59 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતાં. ધો.12 કોમર્સના 10,844 વિદ્યાર્થીઓએ કમ્પ્યુટરની પરીક્ષા આપી, જે પૈકી 90 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતાં. ગત શનિવારે યોજાયેલ ધો.12 સાયન્સના કમ્પ્યુટરનું પેપરમાં પુછાયેલા પાંચ પ્રશ્નો આજે ધો.12 કોમર્સના કોમ્પ્યુટરના પેપરમાં પુછાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે વિષય શિક્ષકે જણાવ્યું હતું કે, ક્લાસ મેથડ, નોર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરવાની રચના, કોન્સોલ ક્લાસ, લોકલ વેરિયેબલ અને ડુ વહાઈલ લુપના પાંચ માર્ક્સના પ્રશ્નો સાયન્સ અને કોમર્સના કમ્પ્યુટરના પેપરમાં એકસરખા હતાં.

શબ્દને બદલે ડેટા શબ્દનો ઉલ્લેખ કરાતા વિદ્યાર્થીઓ મુંઝાયા

ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને પ્રિન્ટિનાં છબરડાને કારણે એક માર્ક્સનું નુકસાન થવાની શક્યતા છે. ગુજરાતી માધ્યમના પેપરમાં પ્રશ્ન પુછાયો હતો કે, નીચેનામાંથી કયો ડેટા વાસ્તવિક સંખ્યાનો સમાવેશ કરે છે ? જ્યારે અંગ્રેજી માધ્યમના પેપરમાં પ્રશ્ન પુછાયો હતો કે, વિચ ઓફ્ ધ ફેલોઈંગ પ્રીમિટિવ ડેટા ટાઇપ્સ હોલ્ડ રીયલ નંબર? ગુજરાતી માધ્યમના પેપરમાં ટાઈપ્સ શબ્દને બદલે ડેટા શબ્દનો ઉલ્લેખ કરાતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતાં.

ભારતીય સેનાની ત્રણે પાંખમાં 1.55 લાખ પદો ખાલીઃ સરકાર

નવી દિલ્હીઃ ત્રણે સશસ્ત્ર દળો આશરે 1.55 લાખ કર્મચારીઓની અછતનો સામનો કરી રહ્યાં છે, જેમાં સેનામાં સૌથી વધુ 1.36 લાખ ખાલી પદો છે, એમ રાજ્યસભાને એની માહિતી આપવામાં આવી છે. સંરક્ષણ રાજ્યપ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યું હતું કે સશસ્ત્ર દળોના કર્મચારીઓની અછતની નિયમિત રૂપથી સમીક્ષા કરવામાં આવે છે અને ખાલી પદો ભરવા અને યુવાઓની સેવાઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલાય ઉપાય શરૂ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે ભારતીય સેનામાં 8129 અધિકારીઓની અછત છે, જેમાં આર્મી મેડિકલ કોર અને આર્મી ડેન્ટલ કોર સામેલ છે. મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)માં 509 પદ ખાલી છે અને જેસીઓ અને અન્ય રેન્કમાં 1,27,673 પદ પણ ખાલી છે. તેમણે કહ્યું હતું કે સેના દ્વારા નિયોજિત નાગરિકોમાં ગ્રુપ Aમાં 252 ખાલી પદો છે. ગ્રુપ Bમાં 2549માં ખાલી પદો છે અને ગ્રુપ Cમાં 35,368 પદો છે, જે ખાલી છે.

નેવીમાં 12,428 કર્મચારીઓની અછત છે. તેમણે કહ્યું હતું કે નેવીમાં 1653 અધિકારીઓ, 29 મેડિકલ અને ડેન્ટલ અધિકારીઓ અને 10,746 નાવિકોમાં અછત છે. સિવિલિયન કર્મચારીઓમાં ગ્રુપ Aમાં 165, ગ્રુપ Bમાં 4207 અને ગ્રુપ Cમાં 6156ની અછત છે. એરફોર્સમાં 7031 જવાનોની અછત છે. તેમણે કહ્યું હતું કે 721 અધિકારીઓ, 16 મેડિકલ અધિકારીઓ, 4734 એરમેન અને મેડિકલ સહાયક ટ્રેડના 113 એરમેનની પણ અછત છે. કાર્યરત નાગરિકોમાં ગ્રુપ Aમાં 22, ગ્રુપ Bમાં 1303 અને ગ્રુપ Cમાં 5531 કર્મચારીઓની અછત છે.

 

 

 

18 ફાર્મા કંપનીઓ પર સરકારની કાર્યવાહી

ભારત સરકારે નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓનું ઉત્પાદન કરવા બદલ 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. આ કંપનીઓને ઉત્પાદન બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ નકલી દવાઓ અને નબળી ગુણવત્તાની દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ સામે કાર્યવાહી હેઠળ આવ્યો છે.

ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યની ટીમોએ 20 રાજ્યોમાં ઓચિંતી તપાસ કરી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી.

બનાવટી દવાઓ બનાવતી દેશભરની ફાર્મા કંપનીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. લગભગ 15 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં 70, ઉત્તરાખંડમાં 45 અને મધ્ય પ્રદેશમાં 23 કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

ફિલ્મનું નામ ‘ભીડ’, પણ થિયેટરો ખાલીખમ

મુંબઈઃ રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર અભિનીત ‘ભીડ’ ફિલ્મ ગઈ 24 માર્ચથી થિયેટરોમાં રિલીઝ થઈ છે. 2020ના માર્ચ-એપ્રિલમાં કોરોનાવાઈરસ મહામારીની પહેલી લહેર વખતે સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગુ કરાયું હતું. એ વખતે જે કઠિન પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેમજ એ કાળમાં જુદા જુદા લોકોને ભોગવવી પડેલી વેદનાને વિષય બનાવને દિગ્દર્શક અનુભવ સિન્હાએ ‘ભીડ’ ફિલ્મ બનાવી છે.

પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરાવી શકી નથી અને ફ્લોપ સાબિત થઈ રહી છે. ફિલ્મનું બજેટ રૂ. 25 કરોડનું હોવાનું મનાય છે. પરંતુ ફિલ્મ આટલી રકમની કમાણી પણ કરાવી આપે એવું લાગતું નથી. કારણ કે દર્શકોના કંગાળ પ્રતિસાદને કારણે થિયેટરોમાં અનેક શો રદ કરવા પડી રહ્યા છે.

ફિલ્મમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર ઉપરાંત આશુતોષ રાણા, આદિત્ય શ્રીવાસ્તવ, પંકજ કપૂર, દિયા મિર્ઝા જેવા અન્ય કલાકારો પણ છે. અનુભવ સિન્હા આ પહેલાં આર્ટિકલ 15, મુલ્ક જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. ફિલ્મની કથા સિન્હાએ તેમજ સૌમ્યા તિવારી, સોનાલી જૈને સાથે મળીને લખી છે. સિન્હા ફિલ્મના સહ-નિર્માતા પણ છે.

સુપ્રીમ કોર્ટનો Hate Speech પર કેન્દ્રને સવાલ

સુપ્રીમ કોર્ટે Hate Speech મામલાની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે, અભદ્ર ભાષા છોડવી એ મૂળભૂત જરૂરિયાત છે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે માત્ર FIR નોંધવાથી નફરતભર્યા ભાષણની સમસ્યા હલ નહીં થાય, આ માટે શું પગલાં લેવામાં આવ્યા તે જણાવો?

જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણ સામેની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પણ પૂછ્યું હતું કે એફઆઈઆર નોંધવા માટે શું કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે માત્ર ફરિયાદ દાખલ કરવાથી દ્વેષપૂર્ણ ભાષણની સમસ્યા હલ થઈ શકતી નથી.

6 ફેબ્રુઆરીની સુનાવણીમાં કોર્ટની ટિપ્પણી

અગાઉ, ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે નફરતના ભાષણને લઈને સર્વસંમતિ વધી રહી છે અને ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે નફરતના અપરાધને કોઈ અવકાશ નથી.

કોર્ટે કહ્યું, “નફરતભર્યા ભાષણ પર કોઈ સમાધાન થઈ શકે નહીં.” જો રાજ્ય દ્વેષપૂર્ણ ભાષણની સમસ્યાને સ્વીકારે, તો જ તેનો ઉકેલ મળી શકે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના નાગરિકોને આવા જઘન્ય અપરાધથી બચાવવાની પ્રાથમિક ફરજ છે.

જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે કહ્યું, “જ્યારે દ્વેષપૂર્ણ ગુનાઓ સામે પગલાં લેવામાં આવતાં નથી, ત્યારે એવું વાતાવરણ સર્જાય છે જે ખૂબ જ ખતરનાક હોય છે અને આપણા જીવનમાંથી જડમૂળથી ઉખેડી નાખવાનું હોય છે. અપ્રિય ભાષણ પર કોઈ સમાધાન કરી શકાય નહીં.”

20 ફેબ્રુઆરીએ સુનાવણીમાં, કોર્ટે દિલ્હી પોલીસને રાષ્ટ્રીય રાજધાનીમાં ધાર્મિક મેળાવડામાં આપવામાં આવેલા નફરતભર્યા ભાષણોના કેસમાં 2021માં ચાર્જશીટ દાખલ કરવા કહ્યું હતું. તેના પર દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કોર્ટને કહ્યું કે કેસની તપાસ એડવાન્સ સ્ટેજમાં છે.

 

 

 

 

રાહુલ ગાંધીની ઘટના પર બાઇડન વહીવટી તંત્રની બાજ નજર

વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ વિભાગના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમેરિકા ભારતીય કોર્ટોમાં કોંગ્રેસ નેતાના કેસોને જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા અભિવ્યક્તિ સ્વતંત્રતા, માનવાધિકારોની સુરક્ષા અને લોકતાંત્રિક સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા માટે ભારતની સાથે છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કાનૂનના શાસન અને ન્યાયિક સ્વતંત્રતા માટે સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે. અમે રાહુલ ગાંધીના મામલામાં ભારતીય કોર્ટોમાં જોઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યાં અમેરિકાના દ્વિપક્ષી સંબંધ છે, ત્યાં કોઈ પણ દેશ વિરોધ પક્ષોના સભ્યોની સાથે જોડાવું સામાન્ય છે. અમે રાહુલ ગાંધીની ઘટના પર બાજ નજર રાખી રહ્યા છે, એવું તેમણે કહ્યું હતું.

સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને કર્ણાટકમાં એક ચૂંટણી સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી પર માનહાનિ કેસમાં 23 માર્ચે બે વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે રાહુલની વિરુદ્ધ સુરત પશ્ચિમથી ભાજપના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. દોષી ઠેરવવામાં આવ્યા પછી લોકસભામાં તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.

અયોગ્ય ઘોષિત થયાના ત્રણ દિવસ પછી વિરોધ પક્ષોએ મોદી સરકારની સામે હુમલા તેજ કરી દીધા હતા અને સોમવારે લોકતંત્ર માટેનો કાળો દિવસ ઊજવ્યો. ભાજપે સંસદમાં વિરોધ પક્ષોના હંગામાની નિંદા કરી હતી. કોંગ્રેસ પર OBC સમાજની સામે ગાંધીની ટિપ્પણી યોગ્ય ઠેરવતાં નિમ્ન સ્તરના રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વેદાંત પટેલે ભારતના રાજદૂત અને પત્રકાર પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલા પર કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં રાજદૂતની સુવિધાઓ અને કર્મચારીઓની સામે હિંસા અથવા હિંસાની ધમકી ચિંતાનો વિષય છે, એને સાંખી નહીં લેવામાં આવે.

 

 

ઉમેશ અપહરણ પાલ કેસઃ અતીક અહેમદને ઉંમરકેદની સજા

પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLA સ્પેશિયલ કોર્ટે તમામ 10 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. કોર્ટે અતીકને આજીવન કારાવાસની સજા સંભળાવી છે, જ્યારે બાકીના સાત આરોપીઓને કોર્ટે  છોડી મૂક્યા છે. અતીક અને અશરફને કોર્ટમાં હાજર કરતી વખતે કોર્ટ અને જેલના પ્રાંગણમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અતીક અહેમદને સજ્યારે સજા સંભળાવવામાં આવી ત્યારે તેની આંખમાંથી આંસુ આવી ગયા હતા અને તેનો ભાઈ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યો હતો.

પાલનાં પત્ની જયાની ફરિયાદ પર પ્રયાગરાજના ધૂમનગંજ સ્ટેશનમાં અહેમદ, તેના ભાઈ, પત્ની શાઇસ્તા પરવીન, બે પુત્રો, સહયોગી ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ તથા નવ અન્ય જણની સામે કેસ નોંધવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ પહેલાં કોર્ટની બહાર એક યુવક અહેમદને જૂતાં-ચંપલોનો હાર પહેરાવા માટે પહોંચ્યો હતો. અતીક અહેમદ છેલ્લાં ચાર વર્ષોથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતો. કોર્ટે પોલીસે તેને પ્રયાગરાજ લાવવાના નિર્દેશ આપ્યા હતા. જેથી UP પોલીસ તેને સાબરમતી જેલમાંથી સોમવારે સાંજે પ્રયાગરાજ લઈને પહોંચી હતી. અતીક અહમદ પર 100થી વધુ કેસ નોંધાયેલા છે. અતીક પાંચ વાર વિધાનસભ્ય અને ફૂલપુર લોકસભા સીટથી સાંસદ પણ રહી ચૂક્યો છે.

17 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે. આ પહેલો કેસ છે, જેમાં અતીક અહેમદની સામે આરોપ નક્કી થયા છે. કોર્ટે અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત બધા આરોપીઓને દોષી કરાર ઠેરવ્યા છે.

25 જાન્યુઆરી, 2005એ BSP વિધાનસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 11 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી, 2006એ અપહરણ થયું હતું. એનો આરોપ અતીક અહેમદ અને તેના સાથીઓ પર આ અપહરણનો આરોપ લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉમેશ પાલને ફેબ્રુઆરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનો આરોપ અતીક અહેમદ પર છે.કોર્ટે અતીક અહેમદ, અશરફ, દિનેશ પાસી, અન્સાર અહેમદ ઉર્ફે અન્સાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન ઇસરાર, આબિદ પ્રધાન, આશિફ મલ્લી અને એઝાઝ અખતરને દોષી ઠેરવ્યા છે.

 

 

 

 

 

બંગલો ખાલી કરી દઈશઃ રાહુલ ગાંધી (લોકસભા-સચિવાલયને)

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લોકસભાના સદસ્ય તરીકે અયોગ્ય ઘોષિત કરાયા બાદ સરકાર તરફથી એમને આપવામાં આવેલો બંગલો ખાલી કરવાની એમને લોકસભા સચિવાલય તરફથી નોટિસ મળી છે. એને કારણે કોંગ્રેસ પાર્ટીમાં રોષ ફેલાયો છે. પણ ખુદ રાહુલે જ સચિવાલયને નોટિસનો જવાબ આપીને જણાવ્યું છે કે તેઓ આદેશનું પાલન કરશે અને સરકારી બંગલો ખાલી કરી દેશે.

સરકારી બંગલો ખાલી કરી દેવાની નોટિસ રાહુલને ગઈ કાલે મોકલવામાં આવી હતી. રાહુલે તેનો આજે જવાબ મોકલ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલને માનહાનિના એક કેસમાં સુરતની કોર્ટે કસુરવાર જાહેર કરતા અને બે વર્ષની સસ્પેન્ડેડ સજા ફરમાવી છે. તે ચુકાદાને પગલે રાહુલનું સંસદસભ્યપદ આપોઆપ રદબાતલ થઈ ગયું છે. આ કેસ રાહુલે ‘મોદી અટક’ વિશે કરેલી એક ટિપ્પણીનો છે.

ઉમેશ પાલ કેસઃ અતીક અહેમદ સહિત 10 આરોપી દોષી ઠેરવાયા

પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLA સ્પેશિયલ કોર્ટે તમામ 10 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. 17 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે. આ પહેલો કેસ છે, જેમાં અતીક અહેમદની સામે આરોપ નક્કી થયા છે. કોર્ટે અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત બધા આરોપીઓને દોષી કરાર ઠેરવ્યા છે.

25 જાન્યુઆરી, 2005એ BSP વિધાનસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 11 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી, 2006એ અપહરણ થયું હતું. એનો આરોપ અતીક અહેમદ અને તેના સાથીઓ પર આ અપહરણનો આરોપ લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉમેશ પાલને ફેબ્રુઆરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનો આરોપ અતીક અહેમદ પર છે.

કોર્ટે અતીક અહેમદ, અશરફ, દિનેશ પાસી, અન્સાર અહેમદ ઉર્ફે અન્સાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન ઇસરાર, આબિદ પ્રધાન, આશિફ મલ્લી અને એઝાઝ અખતરને દોષી ઠેરવ્યા છે. આ પહેલાં અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજથી લાવવામાં આવ્યો હતો. આ સિવાય એક અન્ય આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.