Breaking News : દિલ્હી વટહુકમ બિલ લોકસભામાં પાસ થયું

દિલ્હીના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ સંબંધિત વટહુકમને બદલવાનું બિલ ગુરુવારે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારનો પક્ષ રજૂ કર્યો, જ્યારે આ દરમિયાન કોંગ્રેસ, TMC અને DMK સહિત અનેક વિપક્ષી દળોએ તેમનો વિરોધ કર્યો. બિલની તરફેણમાં દલીલ કરતા અમિત શાહે ગૃહમાં કહ્યું હતું કે, વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરે છે. જે જણાવે છે કે સરકારને દિલ્હી સંબંધિત કોઈપણ મુદ્દા પર કાયદો બનાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે અમને બંધારણમાં પણ આ અધિકાર આપવામાં આવ્યો છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, રાજાજી, રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ.બી.આર. આંબેડકર પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા વિરુદ્ધ હતા.

અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, દિલ્હીના લોકોના અધિકારો છીનવી લેનારા બિલ પર અમિત શાહ જીને આજે લોકસભામાં બોલતા સાંભળ્યા. તેમની પાસે બિલને સમર્થન આપવા માટે એક પણ માન્ય દલીલ નથી. માત્ર આમ તેમ બકવાસ વાતો. તેઓ પણ જાણે છે કે તેઓ ખોટું કરી રહ્યા છે. આ બિલ દિલ્હીની જનતાને ગુલામ બનાવવાનું બિલ છે. તેમને લાચાર બનાવવાનું બિલ છે. ભારત આવું ક્યારેય થવા દેશે નહીં.


બિલમાં શું છે જોગવાઈ?

કેન્દ્ર સરકાર વતી, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભામાં નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી સરકાર (સુધારા) બિલ, 2023 રજૂ કર્યું હતું. જેમાં દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ પર લેફ્ટનન્ટ ગવર્નરને અંતિમ સત્તા આપવાની જોગવાઈ છે.

કેન્દ્ર સરકાર બિલ કેમ લાવી?

સુપ્રીમ કોર્ટે 11 મેના રોજ કહ્યું હતું કે દિલ્હી સરકારના અમલદારોના ટ્રાન્સફર અને પોસ્ટિંગ સહિતની સેવાઓ પર દિલ્હીની કેજરીવાલ સરકારનું નિયંત્રણ છે. આને ઉલટાવીને કેન્દ્ર સરકારે 19 મેના રોજ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકાર (સુધારા) વટહુકમ, 2023 બહાર પાડ્યો. આ વટહુકમનું સ્થાન બિલ લઈ રહ્યું છે.