Home Blog Page 261

TPL: મુંબઈમાં ગુજરાતી રંગભૂમિના કલાકારો ઊર્તયા ક્રિકેટના મેદાને

મુંબઈમાં બોરીવલી ખાતે ક્રિકેટ સ્પર્ધા થિયેટર પ્રીમિયર લીગ (TPL) સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એક છત નીચે ગુજરાતી રંગભૂમિના કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.

ગુજરાતી રંગભૂમિના કલાકારો એકસાથે ભેગા થાય એ હેતુથી બોરીવલીમાં સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધા થિયેટર પ્રીમિયર લીગ (ટીપીએલ) સિઝન ચારનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. 30 જાન્યુઆરીના રોજ રમાયેલી ટીપીએલ-4 ખૂબ જ રસપ્રદ રહી હતી. નાટકજગતના નામી કલાકારોએ સાથે મળીને ક્રિકેટની મોજ માણી હતી. ટીમ વિશે વાત કરીએ તો સ્પર્ધામાં મહિલા કલાકોરની બે ટીમ અને પુરુષો કલાકારોની દસ ટીમે ભાગ લીધો હતો.

ટીમોનાં નામ હિટ ગુજરાતી નામો ઉપરથી રાખવામાં આવ્યા હતાં. કૉડ મંત્ર, દશેરા, અફલાતૂન, માસ્ટર બ્લાસ્ટર, બ્રેકિંગ ન્યૂઝ, ગોળકેરી, ફન્ટૂશ ફેમિલી, લવારી, લાડકી અને બાવરી રાખવામાં આવ્યાં હતાં. જેમાંથી ફાઈનલમાં પુરુષ વર્ગની બ્રેકિંગ ન્યુઝ ટીમે કો઼ડ મંત્ર ટીમને હરાવી ચેમ્પિયનની ટ્રોફી જીતી હતી. જ્યારે મહિલા વર્ગમાં બાવરી ટીમને માત આપી લાડકી ટીમે ટ્રોફી પોતાને નામ કરી હતી.

ટીપીએલના આયોજક ચિંતન મહેતાએ ચિત્રલેખા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતી રંગભૂમિના તમામ લોકો વર્ષમાં એક વાર એકસાથે ભેગા થાય અને બધા જ ટેન્શનમુક્ત થઈ આનંદ તથા મજા માણે એ હેતુથી ટીપીએલનું આયોજન કરીએ છીએ. અમે છેલ્લા 4 વર્ષથી થિયેટર પ્રીમિયર લીગનું આયોજન કરતા આવીએ છીએ. આ વર્ષે સીઝન 4નું આયોજન બોરીવલી ખાતે કરવામાં આવ્યું હતું. ચિંતન મહેતા પોતે ગુજરાતી રંગભૂમિ પર સહાયક દિગ્દર્શક અને કલાકાર તરીકે છેલ્લા 17 વર્ષથી સક્રિય છે.

ચિંતન મહેતા, વી-પ્લાય, સુકેશ ગ્રુપ, શેમારૂ, યશરાજ રિયલટર્સ, નીલા ફિલ્મ પ્રોડક્શન, રંગત પ્રોડક્શન, રેડ કરી અને અરવિંદભાઈ ખત્રી સન્સના સહયોગથી ટીપીએલ-4નું સફળતાપૂર્વક આયોજન થઈ ચૂક્યું. ક્રિકેટ સ્પર્ધામાં ગુજરાતી રંગભૂમિ અને ટીવી સિરિયલોના જાણીતા કલાકાર- મોટી સંખ્યામાં સામેલ થયા હતાં.

થિયેટર પ્રીમિયર લીગમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા ઉર્ફે કિરણ ભટ્ટ અને બાઘા એટલે કે તન્મય વેકરિયા, વાગલે કી દુનિયાના નયન શુક્લ, અમિત સોની અને પુષ્પા ઇમ્પોસિબલના જયેશ બારભાયા, વિનાયક કેતકર, ઉમેશ શુક્લ અને સનત વ્યાસ સહિતના કલાકારો મેદાનમાં ઊર્તયા હતાં. પ્રતાપ સચદેવ અરવિંદ વેકરિયા, ભરત ઠક્કર અને તુષાર વોરાએ પણ ભાગ લીધો હતો.

તેમજ જાણીતા અભિનેતા ઓજસ રાવલ સ્પર્ધામાં સામેલ થયા હતાં. તેમણે ક્રિકેટ સ્પર્ધાની કૉમેન્ટરી કરી હતી. ચીફ ગેસ્ટ નીલા સંઘવી સાથે મુખ્ય અતિથિઓમાં વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય, નગરસેવક શિવા શેટ્ટી, રામ યાદવ, રેખા યાદવ, દિશા પટેલ શુક્લ અને નિલેશ ભટ્ટ ટીપીએલમાં હાજર રહ્યાં હતાં.

કોંગ્રેસી સરકારો પાસે ન તો વિચાર હતો, ન વિઝન અને ન ઇચ્છાશક્તિઃ PM મોદી

નવી દિલ્હીઃ રાજ્યસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે સંસદમાં ભારતની ઉપલબ્ધિઓ ગણી બતાવી, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષે વોકઆઉટ કર્યું હતું. તેમણે ભાષણ શરૂ કરતાં જ વિરોધ પક્ષના સાંસદોએ હોબાળો કર્યો, છતાં પીએમ મોદીએ સતત બોલવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે અગાઉની સરકારો પાસે ન તો વિચાર હતો, ન વિઝન અને ન ઇચ્છાશક્તિ.

લોકસભામાં પણ ભારે હોબાળા વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. વિરોધ પક્ષના સતત શોરશરાબા અને નારેબાજી છતાં સંસદે બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી અને ચર્ચા સમાપ્ત કરીને બહુમતીથી આભાર પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સાથે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ સંબંધિત ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

TMC પર PMનું નિશાન

તેમણે કહ્યું હતું કે TMCના નેતાઓએ પોતાના ગૌરવ વિશે વિચારવું જોઈએ. તેમની નિર્મમ સરકાર નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે અને અહીં ઉપદેશ આપે છે. આવી સરકારને કારણે ત્યાંના લોકોનું ભવિષ્ય જોખમમાં છે. ઘૂસણખોરી મુદ્દે તેમણે કહ્યું હતું કે દુનિયાના સમૃદ્ધ દેશો પણ ગેરકાયદે નાગરિકોને બહાર કાઢી રહ્યા છે, જ્યારે અહીં ઘૂસણખોરોને બચાવવા પ્રયાસ થઈ રહ્યો છે. ઘૂસણખોરો દેશના નાગરિકોના હકો છીનવી રહ્યા છે.

કોંગ્રેસના મનમાં શીખો માટે નફરત ભરેલી છે – PM મોદી

રાહુલ ગાંધીએ રવનીત બિટ્ટુને “ગદ્દાર” કહીને તેમનું અપમાન કર્યું છે અને આ શીખ સમાજનું પણ અપમાન છે. તેમને આ બાબતે જરાય દુઃખ નથી, નહિતર તેઓ સંસદમાં માફી માગતા. તેમના મનમાં શીખો પ્રત્યે નફરત છે. જેના પરિવારે દેશ માટે શહાદત આપી, તે વ્યક્તિએ પોતાના રાજકીય વિચારો બદલ્યા તો તેઓ ગદ્દાર બની ગયા — આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.

કોંગ્રેસે બંધારણનું અપમાન કર્યું છે – PM

ચૂંટણી બાદ રાષ્ટ્રપતિજી વિશે જે શબ્દો વપરાયા તે આશ્ચર્યજનક છે. કોઈ રાષ્ટ્રપતિ વિશે આવા શબ્દો કેવી રીતે બોલી શકે? ગરીબીમાંથી નીકળેલી અને આદિવાસી પરિવારમાંથી આવેલી મહિલાને બોલવા ન દેવી — આ કોંગ્રેસનું વર્તન છે. કોંગ્રેસે લોકસભામાં બંધારણનું અપમાન કર્યું છે.

કોંગ્રેસ દેશવાસીઓને સમસ્યા માને છે – PM

તેમણે કહ્યું હતું કે હું આસામમાં ચૂંટણી છે એટલે નથી બોલતો, પરંતુ તેમનાં પાપો છે એટલે કહી રહ્યો છું. અમે અસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેનો પૂલ પૂર્ણ કર્યો. અમલીકરણ કરવાની શક્તિ અમારી સરકારમાં બહુ વધારે છે. અમે આ વાત ડેટા સાથે કહી રહ્યા છીએ. સમસ્યાના ઉકેલ અંગે અમારી અને કોંગ્રેસની વિચારસરણીમાં મોટો ફરક છે. અમારી વિચારસરણી છે કે 140 કરોડ દેશવાસીઓ કંઈ પણ કરી શકે છે અને અમને તેમની ક્ષમતા પર વિશ્વાસ છે. જ્યારે કોંગ્રેસ દેશને સમસ્યા માને છે. નેહરુજીએ ઇરાનમાં 35 કરોડ દેશવાસીઓને સમસ્યા ગણાવ્યા હતા, આ વાત ઇંદિરાજીએ પણ સ્વીકારી હતી. પરંતુ મારું માનવું છે કે સમસ્યા કેટલી પણ મોટી હોય, અમારી પાસે 140 કરોડ ઉકેલ છે.

સરદાર પટેલનું સપનું અમે પૂર્ણ કર્યું – PM

તેમણે કહ્યું હતું કે મારો જન્મ પણ થયો નહોતો ત્યારે સરદાર પટેલે નર્મદા પર બંધ બનાવવાની કલ્પના કરી હતી. તેઓ રહ્યા નહોતા ત્યારે પંડિત નેહરુએ નર્મદા બંધનો પાયો રાખી. કામની ગતિ એવી હતી કે તેનું ઉદ્ઘાટન મને મુખ્ય મંત્રી બન્યા પછી કરવું પડ્યું. સીએમ તરીકે મને તેના માટે ત્રણ દિવસ સુધી અનશન પણ કરવું પડ્યું હતું.

10 વર્ષથી અટકેલા DA મામલે મમતા સરકારને ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યના કર્મચારીઓ વચ્ચે મોઘવારી ભથ્થા (DA)ને લઈને ચાલતા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 20 લાખ કર્મચારીઓને મોટી રાહત મળશે. સુપ્રીમ કોર્ટે 2008થી 2019 દરમિયાન બાકી રહેલા DAની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે અગાઉ આપેલા વચગાળાના આદેશ મુજબ બાકી DAમાંથી 25 ટકા રકમ 6 માર્ચ સુધી ચૂકવવી પડશે. બાકી રહેલી રકમ હપતાઓમાં કેવી રીતે આપવી તે નક્કી કરવા માટે કમિટી બનાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં કમિટી બનાવી છે. આ કમિટીમાં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા, જસ્ટિસ તરલોચન સિંહ ચૌહાણ, જસ્ટિસ ગૌતમ વિધુડી અને CAGના એક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટી નક્કી કરશે કે બાકી DA કેવી રીતે ચૂકવવું. કોર્ટે કમિટી પાસેથી 16 મે સુધી રિપોર્ટ માગ્યો છે અને આગળની સુનાવણી 16 મેએ  થશે.

રાજ્ય સરકારને ચૂકવવા પડશે 43,000 કરોડ

આ નિર્ણયથી 20 લાખ કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ કુલ અંદાજે 43,000  કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કર્મચારીઓ માટે DA તેમનો હક છે. મમતા સરકારએ કલકત્તા હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

હાઇકોર્ટે પણ ચુકવણીનો આદેશ આપ્યો હતો

કલકત્તા હાઇકોર્ટે મે, 2022માં રાજ્ય સરકારને જુલાઈ 2008થી બાકી રહેલા મોઘવારી ભથ્થાનું ત્રણ મહિનામાં ચુકવણી કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય સામે મમતા સરકારની અપીલ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપીને કહ્યું હતું કે કુલ બાકી DAમાંથી ઓછામાં ઓછા 25 ટકા રકમ ત્રણ મહિનામાં કર્મચારીઓને આપવી જોઈએ.

રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબાર મામલે એક શખ્સની ધરપકડ

નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત ઘરની બહાર થયેલા ગોળીબારની પોલીસ તપાસ ચાલુ છે. ક્રાઈમ બ્રાન્ચે વધુ એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગયા શનિવારે મોડી રાત્રે નિર્માતા-દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટનામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. સમાચાર એજન્સી ANI અનુસાર, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરે થયેલી ગોળીબારની ઘટનાના સંદર્ભમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આરોપીએ રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારમાં વપરાયેલ હથિયાર સપ્લાય કર્યું હતું.

આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-એક્સટોર્શન સેલે બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે ગોળીબારની ઘટનાના સંદર્ભમાં આસારામ ફસાલે ઉર્ફે બાબુની ધરપકડ કરી છે. તેણે ગોળીબારમાં વપરાયેલ હથિયાર સપ્લાય કર્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે આરોપીને મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટ (ફોર્ટ કોર્ટ)માં રજૂ કરશે.

ચાર આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી

નોંધનીય છે કે ગોળીબારની ઘટનાના સંદર્ભમાં અગાઉ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પોલીસ કસ્ટડી આજે પૂરી થાય છે. 3 ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસે ગોળીબારમાં વપરાયેલ સ્કૂટરની માહિતી પુણેના એક વ્યક્તિ પાસેથી મળી હતી. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર પુણેના એક વ્યક્તિએ થોડા દિવસો પહેલા ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક આદિત્ય ગાયકવાડને સ્કૂટર ₹30,000 માં વેચી દીધું હતું. તેણે કોરા કાગળ પર ગાયકવાડની સહી પણ મેળવી હતી. ગાયકવાડ, અન્ય એક ધરપકડ કરાયેલ વ્યક્તિ, સમર્થ પોમાજી સાથે, મુંબઈના જુહુ વિસ્તારમાં પૂર્વ-આયોજિત સ્થળે સ્કૂટર છોડીને ગયા હતા.

મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે

એવો આરોપ છે કે આ વ્યક્તિઓ શુભમ લોંકર પાસેથી સીધી સૂચનાઓ લઈ રહ્યા હતા.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓ વાહન ખરીદ્યા ત્યારથી લઈને તેને મુંબઈ લાવવા સુધી ગોળીબાર કરનારની ઓળખથી અજાણ હતા. તેમણે જણાવ્યું હતું કે શુભમ લોંકરે શૂટરને નિયુક્ત સ્થળેથી સ્કૂટર ઉપાડવા અને ગોળીબાર કરવા સૂચના આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અગાઉના ગુનાઓમાં પણ આવી જ યુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં એક જ ગુનો કરવા માટે અનેક નાના જૂથોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કરનાર વ્યક્તિ હજુ પણ ફરાર છે. વધુ તપાસ ચાલુ છે.

વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાતે ટોચના ત્રણ રાજ્યોમાં સ્થાન

ગાંધીનગર: વર્ષ 2024માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે, જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી પહોંચી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા પણ વધીને 2.05 કરોડ થઇ છે જે કોવિડ પહેલાના વર્ષ 2019ની સરખામણીએ 14.85 ટકાનો વધારો દર્શાવે છે. રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી આ વૃદ્ધિમાં ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજા સૌથી પસંદગીના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે, જે વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે રાજ્યની વધી રહેલી પ્રતિષ્ઠાને પ્રકાશિત કરે છે.રાજ્ય સરકારે ગુજરાતની સંસ્કૃતિ, પ્રાકૃતિક લાક્ષણિકતાઓ અને આધુનિક આકર્ષણ કેન્દ્રોને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે સતત પ્રયાસો કર્યા છે. તેમના અવિરત પ્રયાસોના લીધે ગુજરાત આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક પસંદગીનું પ્રવાસન ક્ષેત્ર બન્યું છે અને ભારતના પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ, 2024માં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓના આગમન બાબતે, ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મંત્રાયલ દ્વારા જણાવ્યા અનુસાર 2024માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં ભારત વૈશ્વિક સ્તરે 20મા ક્રમે છે જેમાં 2.05 કરોડ મુલાકાતીઓએ ભારતની મુલાકાત લીધી છે. વર્ષ 2023-24માં પ્રવાસન ક્ષેત્રમાં 8.46 કરોડ લોકોને રોજગારની તકો પ્રાપ્ત થઇ છે. મૂડી રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાય (નાણાકીય અને માળખાકીય સહાય) અને સ્વદેશ દર્શન 2.0 જેવી યોજનાઓના સહયોગથી આ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.

ગુજરાતે આ પહેલોના સહયોગ સાથે રાજ્યના ધાર્મિક સ્થળો, ઇકો ટુરિઝમ, સાંસ્કૃતિક વારસો અને આઇકોનિક સ્થળોને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે. ગુજરાતની આ સફળતા રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા આઇકોનિક પ્રોજેક્ટ અને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જેવા કાર્યક્રમોએ પ્રવાસન ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે અને પ્રવાસીઓના અનુભવને સમૃદ્ધ બનાવીને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનું ત્રીજુ સ્થાન એ માત્ર આંકડાકીય ઉપલબ્ધિ નથી પરંતુ તે એક સ્પષ્ટ વિઝન, સશક્ત નેતૃત્વ અને સાંસ્કૃતિક ગૌરવને દર્શાવે છે. હેરિટેજ, ઇકો ટુરિઝમ અને આઇકોનિક સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાત પસંદગીના વૈશ્વિક પ્રવાસન ક્ષેત્ર તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે.

વર્ષ 2024માં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ રાજ્યના વૈવિધ્યપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ધાર્મિક ક્ષેત્રો, હેરિટેજ સ્થળો, વાઇલ્ડલાઇફ અને આધુનિક કેન્દ્રોનો સમાવેશ થાય છે. સોમનાથ જ્યોતિર્લિંગમાં દર વર્ષે બહોળી સંખ્યામાં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે. જ્યારે આધ્યાત્મિક સાધકો માટે દ્વારકા હંમેશાથી પસંદગીનું સ્થળ રહ્યું છે. એશિયાટિક સિંહો માટે જાણીતું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પણ ગુજરાત આવતા પ્રવાસીઓ માટે હંમેશાથી પસંદગીનું સ્થળ રહ્યું છે અને કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા ભારતની એકતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક બન્યું છે. આ સ્થળો પર દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે. કચ્છના સફેદ રણે પ્રવાસીઓ માટે એક અનોખા લેન્ડસ્કેપ અને સાંસ્કૃતિક અનુભવના દ્વાર ખોલ્યા છે. આ સ્થળોના આકર્ષણના લીધે વર્ષ 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું છે.

શ્રીલંકાના PMએ કરી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોની પૂજા!

શ્રીલંકા:  ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષોનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન શ્રીલંકામાં યોજાય રહ્યું છે. જે ભારત સરકારના સાંસ્કૃતિક રાજદ્વારા અને આધ્યાત્મિક સંપર્કના ભાગરૂપે યોજાઈ રહ્યું છે.પવિત્ર દેવનીમોરી અવશેષોના પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે, ઇન્ટરનેશનલ બૌદ્ધ કોન્ફેડરેશન દ્વારા બે પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનોના શીર્ષક છે: “𝐔𝐧𝐞𝐚𝐫𝐭𝐡𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐒𝐚𝐜𝐫𝐞𝐝 𝐏𝐢𝐩𝐫𝐚𝐡𝐰𝐚: 𝐓𝐡𝐞 𝐒𝐭𝐨𝐫𝐲 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐇𝐨𝐥𝐲 𝐁𝐮𝐝𝐝𝐡𝐚 𝐑𝐞𝐥𝐢𝐜𝐬 𝐚𝐧𝐝 𝐈𝐭𝐬 𝐑𝐞𝐥𝐚𝐭𝐞𝐝 𝐀𝐜𝐭𝐢𝐯𝐢𝐭𝐢𝐞𝐬 𝐰𝐢𝐭𝐡 𝐒𝐫𝐢 𝐋𝐚𝐧𝐤𝐚” અને “𝐒𝐚𝐜𝐫𝐞𝐝 𝐑𝐞𝐥𝐢𝐜𝐬 𝐚𝐧𝐝 𝐂𝐮𝐥𝐭𝐮𝐫𝐚𝐥 𝐄𝐧𝐠𝐚𝐠𝐞𝐦𝐞𝐧𝐭 𝐨𝐟 𝐂𝐨𝐧𝐭𝐞𝐦𝐩𝐨𝐫𝐚𝐫𝐲 𝐈𝐧𝐝𝐢𝐚.”આ પ્રદર્શનોનું ઔપચારિક ઉદ્ઘાટન શ્રીલંકાના બુદ્ધસાસન, ધાર્મિક અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી ડૉ. હિનિદુમા સુનિલ સેનેવી અને શ્રીલંકા સરકારના આરોગ્ય તેમજ માસ મીડિયા મંત્રી ડૉ. નલિન્દ જયતિસ્સા દ્વારા કરવામાં આવ્યું હતું.પાછળથી, શ્રીલંકાના વડાપ્રધાન ડૉ. હરિણી અમરસૂરિયાએ પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી અને તેની ક્યુરેશનની પ્રશંસા કરી.આ પ્રદર્શન ભારત અને શ્રીલંકા વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને દર્શાવે છે, જેમાં દેવનિમોરી (ગુજરાત)ના પવિત્ર બુદ્ધ અવશેષોનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ગંગારામય મંદિર, કોલંબોમાં યોજાઈ રહ્યું છે.

આ પ્રદર્શન બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક અવસર છે. આ પ્રદર્શનો દ્વારા પીપ્રહ્વા અને અન્ય પવિત્ર સ્થળોના ઐતિહાસિક મહત્વ તેમજ આધુનિક ભારતની સાંસ્કૃતિક સંલગ્નતા વિશે જાણકારી આપવામાં આવી રહી છે.

આ પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં બૌદ્ધભક્તો પ્રદર્શન સ્થળે પહોંચી રહ્યા છે.

શું બિહાર વિધાનસભા ચૂંટણી ફરીથી થશે?

નવી દિલ્હી: પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. પાર્ટીએ ચૂંટણી દરમિયાન થયેલી કથિત ગેરકાયદે પ્રક્રિયાઓને પડકારતાં રાજ્યમાં ફરીથી ચૂંટણી કરાવવા માગ સાથે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે. ખાસ કરીને રાજ્યમાં મહિલા મતદાતાઓને આચાર સંહિતા લાગુ હોવા છતાં સીધા 10-10,000 રૂપિયા ટ્રાન્સફર કરવાને મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીની ખંડપીઠ આ મામલે કાલે સુનાવણી કરશે.

ચૂંટણી દરમિયાન 10-10,000 મોકલવાને મુદ્દે પડકાર

જન સુરાજ પાર્ટીએ મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાના હેઠળ મહિલા મતદાતાઓને 10-10,000 રૂપિયા મોકલવાને મુદ્દે કાનૂની પડકાર આપ્યો છે. પાર્ટીનું કહેવું છે કે ચૂંટણી દરમિયાન નવા લાભાર્થીઓને સામેલ કરવું અને તે સમયે નાણાં જારી કરવું બંધારણીય અને ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન છે. અનુચ્છેદ 32 હેઠળ દાખલ રિટ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ ચુકવણીઓ અનુચ્છેદ 14, 21, 112, 202 અને 324 સહિતના બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન કરે છે. આથી ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર અસર પડી હોવાનું દાવો કરવામાં આવ્યો છે. પાર્ટીએ કોર્ટને ચૂંટણી પંચને પરિણામ અમાન્ય જાહેર કરવા માટે સૂચના આપવા વિનંતી કરી છે.

આ મુદ્દાને પણ આપવામાં આવ્યો પડકાર

એ ઉપરાંત, જન સુરાજ પાર્ટીએ મતદાન કેન્દ્રો પર જીવિકા સ્વસહાય જૂથોની અંદાજે 1.8 લાખ મહિલાઓની તહેનાતીને પણ પડકારી છે. પાર્ટીનું કહેવું છે કે તેમની હાજરી ગેરકાનૂની હતી અને તેનાથી ચૂંટણીપ્રક્રિયાની પારદર્શિતા અને વિશ્વસનીયતા નબળી પડી હતી. અરજીમાં બંધારણના અનુચ્છેદ 324 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123 હેઠળ પણ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે, જે ચૂંટણીમાં ભ્રષ્ટ આચરણ સાથે સંબંધિત છે. અરજી મુજબ 25થી 35 લાખ મહિલા મતદાતાઓને નાણાકીય લાભ મળ્યો હતો અને તે મતદાનના વર્તન પર અસરકારક થઈ શક્યો હોત.

જો PM મોદી ગઈકાલે સંસદમાં આવ્યા હોત તો કંઈ પણ થઈ શક્યું હોત: સ્પીકર ઓમ બિરલા

ગઈકાલે લોકસભામાં ભારે હોબાળો થયો હતો, વિપક્ષી મહિલા સાંસદો વડા પ્રધાન મોદીની ખુરશી સુધી પહોંચ્યા હતા. હોબાળાને કારણે પીએમ પોતાનું ભાષણ આપી શક્યા ન હતા. સ્પીકર ઓમ બિરલાએ સમજાવ્યું હતું કે વાતાવરણને જોતાં તેમણે પીએમને ગૃહમાં પ્રવેશતા અટકાવ્યા હતા કારણ કે તેમને કોઈ અનિચ્છનીય ઘટના બનવાનો ડર હતો.

ગઈકાલે લોકસભામાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષી મહિલા સાંસદો વડા પ્રધાન મોદીની ખુરશી સુધી પહોંચ્યા હતા. હોબાળાને કારણે પીએમ મોદીનું ભાષણ ખોરવાઈ ગયું હતું. આ બાબતે સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં કહ્યું હતું કે, ગઈકાલે પીએમ સાથે કંઈ પણ થઈ શક્યું હોત. વાતાવરણને જોતાં મેં તેમને ગૃહમાં ન આવવા વિનંતી કરી હતી. જો પીએમ મોદી ગૃહમાં આવ્યા હોત તો કંઈ પણ થઈ શક્યું હોત.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, દેશે ગઈકાલે ગૃહમાં શું થયું તે જોયું. બધાએ જોયું કે સાંસદોએ કેવી રીતે વડા પ્રધાનની ખુરશી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. મને માહિતી મળી હતી કે કોઈ અનિચ્છનીય ઘટના બની શકે છે. આવી પરિસ્થિતિ ફરી ન બને તે માટે, મેં પીએમ મોદીને ગૃહમાં ન આવવા વિનંતી કરી. સ્પીકરે કહ્યું, કેટલાક વિપક્ષી સભ્યોનું વર્તન પહેલાં ક્યારેય બન્યું નથી. આ ઘટના કાળા ડાઘ જેવી છે. મને વિશ્વસનીય માહિતી મળી છે કે કોંગ્રેસના ઘણા સભ્યો સ્પીકરના પોડિયમ પર પહોંચીને અણધારી ઘટનાને અંજામ આપી શક્યા હોત. જો આવું બન્યું હોત, તો આ ખૂબ જ અપ્રિય દ્રશ્ય દેશની લોકશાહી પરંપરાઓને તોડી નાખત.

વડાપ્રધાનના પોડિયમ પર પહોંચેલી મહિલા સાંસદોના નામ પણ સામે આવ્યા છે. તેમાં આર. સુધા, જ્યોતિમણિ, વર્ષા ગાયકવાડ, જીની બેન ઠાકોર, કે. કાવ્યા અને શોભા બચ્છાવનો સમાવેશ થાય છે. હવે, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે.

સ્પીકરના નિવેદન બાદ પ્રિયંકાએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પીકર ઓમ બિરલાની પાછળ છુપાઈ રહ્યા છે. ગઈકાલે, તેમની પાસે ગૃહમાં આવવાની હિંમત નહોતી કારણ કે ત્રણ મહિલાઓ બેન્ચની સામે ઉભી હતી. આ શું બકવાસ છે? કોઈ ચર્ચા થઈ રહી નથી કારણ કે સરકાર તે ઇચ્છતી નથી.”

 

ગોવિંદાએ બંદૂક લઈને હુમલાખોરોનો પીછો કર્યો હતો, મેનેજરે કર્યો ચોંકાવનારો ખુલાસો

અભિનેતા ગોવિંદાના મેનેજર શશી સિંહાએ ખુલાસો કર્યો કે જ્યારે હુમલાખોરોએ ગોવિંદા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બંદૂક લઈને તેમની પાછળ દોડ્યા હતા. જોકે, શશીએ આ ઘટના ક્યારે બની તે અંગે કંઈ સ્પષ્ટતા આપી નહીં.

ગોવિંદાના મેનેજરે ખુલાસો કર્યો કે તેમને ઘણા દિવસોથી ધમકીઓ મળી રહી છે. તેમણે તાજેતરમાં જ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં તેમના પર હુમલો થવાનો હતો. તેમણે કહ્યું કે જ્યારે ગોવિંદા તેમના ઘરે હતા, ત્યારે કેટલાક હુમલાખોરોએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે, ગોવિંદા પાસે બંદૂક અને ફોન હોવાથી તેઓ ભાગી ગયા.

આ ઘટના બાદ FIR દાખલ કરવામાં આવી હતી

ANI સાથે વાત કરતા શશી સિંહાએ કહ્યું, “ગોવિંદાને નિયમિતપણે જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. ભગવાનનો આભાર કે જે દિવસે તેમના પર હુમલો થયો તે દિવસે તેમની પાસે બંદૂક હતી. નહીંતર, ભગવાન જાણે શું થયું હોત. હું તે દિવસે સવારે 4 વાગ્યે તેમની પાસે દોડી ગયો હતો. ઘટના પછી અમે FIR નોંધાવી હતી. અમારી પાસે તે રાતનો વીડિયો પણ છે.” જોકે, શશીએ આ ઘટના ક્યારે બની તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી.

શશીએ એમ પણ કહ્યું હતું કે ગોવિંદાને એક વાર આકસ્મિક રીતે ગોળી વાગી હતી. ઓક્ટોબર 2024 માં જ્યારે ગોવિંદા તેની બંદૂક સાફ કરી રહ્યો હતો, ત્યારે ગોળી આકસ્મિક રીતે તેના પગમાં વાગી ગઈ. ગોવિંદાને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

પોલીસે અહેવાલ આપ્યો કે આ ઘટના તેના મુંબઈના ઘરે બની હતી. ગોવિંદા એરપોર્ટ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેની બંદૂકમાં અચાનક ગોળી વાગી, જેનાથી તેના પગમાં ઈજા થઈ. ત્યારબાદ ગોવિંદાએ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં જણાવ્યું કે ડોક્ટરોએ તેના ઘામાંથી ગોળી કાઢી નાખી છે.

સાણંદમાં હાઈ-પ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસના દરોડાઃ 81ની અટકાયત

અમદાવાદઃ રાજ્યના સાણંદમાં પોલીસે બુધવારે રાત્રે એક હાઈ-પ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડા પાડી 81 લોકોને કસ્ટડીમાં લીધા છે. આ પાર્ટી સાણંદ-નલસરોવર રોડ પર આવેલા એક વીકએન્ડ હોમમાં ચાલી રહી હતી. નિર્વાણ ગ્રીન્સ યોજાયેલી આ હાઈ-પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી પર દરોડામાં 43 પુરુષ અને 38 મહિલાઓ સહિત કુલ 81 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ પાર્ટી આદર્શ અગ્રવાલ નામની વ્યક્તિની 25મી લગ્નવર્ષ ગાંઠની નિમિત્તે રાખવામાં આવી હતી, જેમાં અમદાવાદના બિલ્ડરો, વેપારીઓ અને ડોક્ટરો સહિત ઘણા મહેમાનો હાજર હતા.

પોલીસના જણાવ્યાનુસાર પ્રાઇવેટ સ્થળે 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ ગોઠવવામાં આવ્યા હતા. ગુપ્ત માહિતીને આધારે પોલીસે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો, જેમાં દારૂ, હુક્કા સામાન અને BMW તથા Audi જેવી 20થી વધુ લક્ઝરી કારો જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા માલસામાનની કુલ કિંમત અંદાજે રૂ. 2.91 કરોડ ગણાવવામાં આવી રહી છે.

કસ્ટડીમાં લેવાયેલા લોકોનો મેડિકલ ટેસ્ટ કરાવાયો

કસ્ટડીમાં લેવાયેલા તમામ લોકોને સાણંદ પોલીસ સ્ટેશન લઈ જવાયા અને ત્યાર બાદ મેડિકલ તપાસ માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા. હાલમાં તમામ લોકોની મેડિકલ તપાસ ચાલી રહી છે અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ મોટા ભાગના આરોપીઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે. પોલીસે જણાવ્યું હતું કે સાણંદ વિસ્તારમાં પ્રાઇવેટ દારૂ-હુક્કા પાર્ટીઓના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નિયમોના ઉલ્લંઘન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

છ મહિના પહેલાં પણ મોટી દારૂ પાર્ટી પર કાર્યવાહી

છ મહિના પહેલાં સાણંદના ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં એક જાણીતા બિલ્ડર/રિયલ એસ્ટેટ વ્યવસાયી પ્રતીક સંઘવીના જન્મદિવસની પાર્ટી યોજાઈ હતી. ત્યારે પણ પોલીસે રાત્રે દરોડો પાડી 39 લોકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં 13 પુરુષોને ધરપકડ કરવામાં આવી હતી અને 26 મહિલાઓને નોટિસ મોકલવામાં આવી હતી. સ્થળ પરથી 11 દારૂની બોટલો અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.