Home Blog Page 2550

Asia Cup : નેપાળે ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો

નેપાળે પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયા સામે 230 રન બનાવ્યા હતા. નેપાળ તરફથી ઓપનર આસિફ શેખે 58 અને આઠમા નંબરના બેટ્સમેન સોમપાલ કામીએ 48 રન બનાવ્યા હતા. જ્યારે કુશલ ભુર્તેલે 38, ગુલશન ઝાએ 23 અને દીપેન્દ્ર સિંહ એરીએ 29 રન બનાવ્યા હતા.

 

એશિયા કપ 2023ની પાંચમી મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાઈ રહી છે. ગ્રુપ Aની આ છેલ્લી મેચ છે. બંને ટીમો માટે સુપર-4માં જગ્યા બનાવવા માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. આ મેચ કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. નેપાળને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. નેપાળ સામેની મેચ વરસાદમાં ધોવાઈ જાય તો પણ ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચી જશે. બીજી તરફ પાકિસ્તાન ગ્રૂપ-Aમાંથી 3 પોઈન્ટ સાથે સુપર-4માં પહોંચી ગયું છે.

ટીમ ઈન્ડિયાને 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો

ભારત સામે પ્રથમ વખત રમી રહેલી નેપાળની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. નેપાળે ભારતને 231 રનનો લક્ષ્યાંક આપ્યો છે. નેપાળ તરફથી આસિફ શેખે 58 રન અને સોમપાલ કામીએ 48 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત તરફથી મોહમ્મદ સિરાજ-રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે પણ એક-એક વિકેટ લીધી હતી.

નાણા મંત્રાલયે બજેટની તૈયારી શરૂ કરી

નાણા મંત્રાલયે 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થનારા વચગાળાના બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ હેઠળના બજેટ વિભાગે બજેટ 2024-25 અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં તેણે તમામ મંત્રાલયો અને વિભાગો પાસેથી તેમના બજેટ અંગેના ઇનપુટ્સ માંગ્યા છે. નાણા મંત્રાલયે આ મંત્રાલયો અને વિભાગોને 5 ઓક્ટોબર, 2023 સુધીમાં તેમના ઈનપુટ સબમિટ કરવા કહ્યું છે.

આ બજેટ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે નાણા મંત્રાલયના ખર્ચ સચિવ ઓક્ટોબરના બીજા સપ્તાહથી આ મંત્રાલયો અને વિભાગો સાથે પ્રી-બજેટ બેઠકો શરૂ કરશે.

પાકિસ્તાની એક્ટર મોઅમ્મર રાણાએ પોડકાસ્ટમાં પ્રિયંકા ચોપરાનું અપમાન કર્યું

મુંબઈઃ પાકિસ્તાનના ફિલ્મ અભિનેતા મોઅમ્મર રાણા અને યૂટ્યૂબર નાદિર અલીએ એક પોડકાસ્ટમાં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસનાં રંગ વિશે એને ‘ભયાનક’, ‘મેડ’ અને ‘કાલા નમક’ કહીને એની મજાક ઉડાવી હતી. ઈન્ટરનેટ, સોશિયલ મિડિયા પર આ બંનેની ખૂબ ઝાટકણી કાઢવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યું છે, પ્રિયંકાની અડધી સંપત્તિ તમારા પાકિસ્તાનના કુલ જીડીપી જેટલી છે. બીજા એક યૂઝરે લખ્યું છે, પ્રિયંકા આ બંને કરતાં ઘણી વધારે સફળ અને ટેલેન્ટેડ છે.

રાણા અને નાદિરે અન્ય બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલની પણ મજાક ઉડાવી હતી.

નાદિરે જ્યારે પૂછ્યું કે, ‘તારા મતે ભારતમાં કઈ અભિનેત્રી ભયંકર છે?’ ત્યારે રાણાએ કહ્યું, ‘પ્રિયંકા ચોપરા… મને એની ત્યારે ખબર પડી હતી જ્યારે મેં પ્રિયંકા ચોપરાને જોઈ હતી. હું એને ઓળખતો નહોતો. એક કાર્યક્રમમાં એ મારી જમણી બાજુએ બેઠી હતી. એવામાં મારી ડાબી બાજુમાં મારો એક ઓળખીતો આવીને બેઠો. એ બેઉ જણ એકબીજાંને ઓળખતાં હતાં અને વાતો કરવા લાગ્યાં. હું ઘડીકમાં આગળ જાઉં, ઘડીકમાં પાછળ જાઉં. થોડીક વાર રહીને જમણી બાજુમાં બેઠેલી સ્ત્રી ઉઠીને જતી રહી. એ પછી મેં મારી બાજુમાં બેઠેલાને પૂછ્યું કે, ‘એ કોણ હતી?’ ત્યારે એણે કહ્યું, ‘અરે તેં એને ન ઓળખી? એ પ્રિયંકા ચોપરા હતી.’ સાંભળીને પ્રિયંકા પ્રત્યે મારું જે ક્રશ હતું એ… મને થયું ભાડમાં જાય…’ એ સાંભળીને નાદિરે પ્રિયંકા માટે ‘કાલા નમક’ શબ્દ ઉચ્ચાર્યો હતો. બાદમાં રાણાએ અમીષા પટેલને સુંદર કહી હતી. એ સાંભળીને નાદિરે કહ્યું, ‘ચેહરા ક્યા દેખતો હો, દિલ મેં ઉતર કર દેખો…’ ત્યારે રાણાએ જવાબમાં કહ્યું, ‘શું હું અહીંયા બધું કહું?’

એક યૂઝરે નાદિર વિશે લખ્યું છે, ‘આ નાદિર અલી બહુ જ વાયડો છે.’ બીજા એક જણે લખ્યું, ‘સાચી વાત છે. કાલા નમક શબ્દ અપમાનજનક છે.’ એક અન્ય યૂઝરે કમેન્ટમાં લખ્યું છે, ‘ઘટિયા ટાઈપના લોકો એન્કર બની જાય છે. આજકાલ દરેક બેરોજગાર વ્યક્તિ પોડકાસ્ટ શરૂ કરે છે અને એવા લોકોની ટીકા કરે છે જેમણે જીવનમાં કંઈક સિદ્ધ કરી બતાવ્યું હોય છે. આવા લોકો જેવા કંઈ હોતા નથી.’

India vs Nepal: ભારતની ખરાબ ફિલ્ડિંગ, 21 બોલમાં ત્રણ કેચ છોડ્યા

એશિયા કપની પાંચમી મેચમાં ભારત અને નેપાળ આમને સામને છે. સોમવારે કેન્ડીના પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં 104 રનમાં ઓલઆઉટ થયેલી નેપાળની ટીમે પ્રથમ વખત ભારત સામે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. એવું માનવામાં આવતું હતું કે તેના બેટ્સમેનો ટૂંક સમયમાં જ ભારતીય બોલરો સામે ઝઝૂમશે, પરંતુ એવું થયું નહીં. ભારતીય ટીમની ખરાબ ફિલ્ડિંગને કારણે શરૂઆતની ઓવરોમાં નેપાળને ઘણી તક મળી હતી. ત્રણ શાનદાર ખેલાડીઓએ 21 બોલમાં કેચ છોડ્યા અને નેપાળને સારી શરૂઆત અપાવી. શ્રેયસ અય્યરે કેચ છોડવાની પ્રક્રિયા શરૂ કરી. આ પછી વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર ગણાતા વિરાટ કોહલીએ કેચ છોડ્યો. આટલું જ નહીં વિકેટકીપર ઈશાન કિશને એક આસાન કેચ છોડ્યો અને ફોર પણ જવા દીધી.

 

ભારતીય ટીમે ત્રણ કેચ છોડ્યા હતા

શ્રેયસ અય્યર: મોહમ્મદ શમી ભારત માટે ઇનિંગ્સની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. તેનો છઠ્ઠો બોલ નેપાળના ઓપનર કુશલ ભુર્તેલના બેટની બહારની ધાર પર વાગ્યો અને સ્લિપ તરફ ગયો. બીજી સ્લિપ પર ઊભેલા શ્રેયસ અય્યરે જમણી તરફ ઝૂકીને કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. અય્યર એક આસાન કેચ ચૂકી ગયો.

વિરાટ કોહલી: આ પછી બીજા જ બોલ પર એટલે કે બીજી ઓવરના પહેલા બોલ પર નેપાળના બેટ્સમેનને બીજું જીવનદાન મળ્યું. મોહમ્મદ સિરાજ બીજી ઓવર નાખવા આવ્યો હતો. તેનો બોલ આસિફ શેખે કવર પોઈન્ટ તરફ અથડાયો હતો, પરંતુ સામે ઉભેલો વિરાટ કોહલી આ આસાન કેચ લઈ શક્યો નહોતો. આ જોઈને કેપ્ટન રોહિત શર્મા પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

ઈશાન કિશનઃ ઐયર અને કોહલી બાદ ઈશાન કિશન પણ ભૂલ કરી ચૂક્યો છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચમી ઓવર ફેંકી હતી. તેની ઓવરનો બીજો બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો. ભુર્તેલે પુલ શોટ રમ્યો હતો, પરંતુ તે યોગ્ય રીતે માર્યો નહોતો. બોલ તેના ગ્લોવ્ઝ સાથે અથડાયો અને વિકેટકીપર ઈશાન કિશન તરફ ગયો. કિશન સરળ કેચ લઈ શક્યો ન હતો અને બોલ બાઉન્ડ્રીની બહાર ગયો હતો.

ભારતે બદલાવ કર્યો

ભારતીય ટીમ આ મેચમાં એક ફેરફાર સાથે પ્રવેશી છે. પોતાના પુત્રના જન્મ પ્રસંગે મુંબઈ પરત ફરેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમીને ટીમમાં લેવામાં આવ્યો હતો. તે આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમી રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં તેને તક મળી ન હતી.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

નેપાળ: કુશલ ભુર્તેલ, આસિફ શેખ (wk), રોહિત પૌડેલ (c), ભીમ શાર્કી, સોમપાલ કામી, ગુલસન ઝા, દીપેન્દ્ર સિંહ એરે, કુશલ મલ્લા, સંદીપ લામિછાને, કરણ કેસી, લલિત રાજબંશી.

આઇસી15 ઇન્ડેક્સ 58 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.17 ટકા (58 પોઇન્ટ) વધીને 33,951 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,893 ખૂલીને 34,171ની ઉપલી અને 33,763 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના વધેલા કોઇન સોલાના, ચેઇનલિંક, યુનિસ્વોપ અને કાર્ડાનો હતા, જ્યારે શિબા ઇનુ, ટ્રોન, ડોઝકોઇન અને લાઇટકોઇન ટોચના ઘટેલા કોઇન હતા.

દરમિયાન, ભારતમાં યસ બેન્કે યુપીઆઇ ક્યુઆર કોડથી ડિજિટલ રૂપી દ્વારા પેમેન્ટ થઈ શકે એ માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને પેમેન્ટ સિસ્ટમ સાથે સાંકળી લીધું છે. બીજી બાજુ, ચીન સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી)નો ઉપયોગ વધારવાની દૃષ્ટિએ પગલાં ભરી રહ્યું છે.

અન્ય એક અહેવાલ મુજબ લંડન સ્ટોક એક્સચેન્જ ગ્રુપ પરંપરાગત નાણાકીય એસેટ્સ પારદર્શક રીતે અને ઓછા ખર્ચે ઉપલબ્ધ કરાવવા માટે બ્લોકચેઇન આધારિત પ્લેટફોર્મ રચવાનું આયોજન ધરાવે છે.

શું કોંગ્રેસ સાથે ગઠબંધનના મૂડમાં નથી કેજરીવાલ?

નવી દિલ્હીઃ સનાતન ધર્મને લઈને DMK નેતા ઉદનિધિ સ્ટાલિનના નિવેદન મુદ્દે કોંગ્રેસથી માંડીને આમ આદમી પાર્ટી  સુધી –બધા પક્ષોના નેતાઓ ધર્મસંકટમાં મુકાયા છે. ઉદયનિધિ પોતાના નિવેદન પર કાયમ છે. ત્યારે INDIAના નેતાઓની હાલત કફોડી કરી દીધી છે, ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે રાજસ્થાનમાં પાર્ટીનો પ્રચાર કરતા ગહેલોત સરકારની ખામીઓ ઉજાગર કરી હતી.

કેજરીવાલે જયપુરમાં એક જનસભાને લોકોને ચૂંટણી વચન આપ્યું હતું કે તેમની પાર્ટીની સરકાર બનવા પર તેઓ રાજ્યમાં 24 કલાક મફત વીજળી આપશે. રાજ્યમાં જૂનાં બધાં વીજળીનાં બિલો માફ થશે અને 300 યુનિટ સુધી મફત વીજ આપવામાં આવશે. જેમાં રાજ્યના 90 ટકા લોકો કવર થઈ જશે.તેમણે જનતાને સંબોધિત કરતાં કહ્યું હતું કે મને માલૂમ છે કે રાજસ્થાનમાં 7-8 કલાક પાવર કટ થાય છે. બિલ આવે છે, પણ વીજળી નથી આવતી. પહેલાં દિલ્હીમાં 8-8 કલાક પાવર કટ થાય છે. હવે દિલ્હીમાં 24 કલાક વીજ આવે છે. ત્યાં જનરેટર અને ઇન્વર્ટરની દુકાનો બંધ થઈ ગઈ છે.

તેમણે કહ્યું હતું કે એક તક આપો રાજસ્થાનવાસીઓ- તમને 24 કલાક વીજ આપીશું. 24 કલાક વીજ આવશે અને એ પણ મફત આવશે. આ સાથે તેમણે શિક્ષણ, હેલ્થની પણ ગેરન્ટી આપી હતી. તેમણે ભ્રષ્ટાચારમુક્ત રાજસ્થાનની ગેરન્ટી આપી હતી.

 

 

 

 

 

 

 

મુંબઈમાં એર ઈન્ડિયાની ટ્રેની એરહોસ્ટેસની હત્યાઃ આરોપીની ધરપકડ

મુંબઈઃ એર ઈન્ડિયામાં ટ્રેની ફ્લાઈટ અટેન્ડન્ટ તરીકે કામ કરતી 24 વર્ષની રૂપલ ઓગ્રે નામની યુવતી આજે વહેલી સવારે અહીં અંધેરી (ઈસ્ટ)સ્થિત તેનાં એક ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. એનું ગળું ચીરીને એની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહ અંધેરી ઈસ્ટના મરોલ વિસ્તારમાં આવેલા એન.જી. કોમ્પ્લેક્સ બિલ્ડિંગના ફ્લેટમાં મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી અને અમુક કલાકોમાં જ આરોપીને પકડી લીધો છે. તે અંધેરી (ઈસ્ટ)ના જ વિસ્તાર ચાંદીવલીનો રહેવાસી છે. આરોપી 40 વર્ષીય વિક્રમ અટવાલ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. તે રૂપલ રહેતી હતી તે સોસાયટીમાં અવારનવાર કામ કરવા આવતો હતો.

રવિવારે બપોરે તે સફાઈના બહાને રૂપલનાં ઘરમાં ઘૂસ્યો હતો. આજે સવારે રૂપલનાં ગરદન પર એક ઊંડો ઘા જોવા મળ્યો હતો. ચાકૂ કે કોઈક તીક્ષ્ણ હથિયાર વડે એનું ગળું ચીરી નાખવામાં આવ્યું હતું. આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી છે અને પોલીસે હથિયાર પણ કબજે કરી લીધું છે.

મૃતક રૂપલ છત્તીસગઢની રહેવાસી હતી. તે એર ઈન્ડિયામાં એની તાલીમ માટે ગયા એપ્રિલમાં મુંબઈ આવી હતી. તે જે ફ્લેટમાં મૃત મળી આવી હતી એમાં તે એની બહેન અને બહેનનાં બોયફ્રેન્ડની સાથે રહેતી હતી. આઠેક દિવસ પહેલાં બહેન અને એનો બોયફ્રેન્ડ અંગત કારણસર એમનાં વતનમાં ગયાં હતાં. રૂપલની હત્યાના સમાચાર અપાયા બાદ બંને જણ મુંબઈ પાછાં ફર્યાં છે.

રૂપલે ગઈ કાલે સવારે પરિવારજનો સાથે વોટ્સએપ પર વિડિયો કોલ પર વાત કરી હતી. તેથી પોલીસને શંકા હતી કે હત્યા રવિવાર બપોર અને સોમવાર વહેલી સવારની વચ્ચેના સમયે થઈ હોવી જોઈએ. એ પછી રૂપલે પરિવારજનોએ કરેલા ફોનનો જવાબ આપ્યો નહોતો. પરિવારજનોનાં કહેવાથી અંધેરીસ્થિત એમનાં અમુક મિત્રો રૂપલનાં ઘેર જઈને તપાસ કરવા ગયા હતા. ઘર અંદરથી બંધ હતું અને ડોરબેલનો વગાડાતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. બાદમાં એમણે પોલીસને જાણ કરી હતી. પોલીસોએ આવીને ડુપ્લીકેટ ચાવીથી ફ્લેટનો દરવાજો ખોલ્યો હતો ત્યારે રૂપલ ગળું ચીરેલી હાલતમાં મળી આવી હતી.

સુપ્રીમ કોર્ટની અકબર લોનના પાક સમર્થિત ભાષણ પર લાલ આંખ

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોના સંગઠન રૂટ ઇન કાશ્મીર તરફથી અમિત રૈનાએ અરજીમાં કહ્યું હતું કે આર્ટિકલ 370ને દૂર કરવા અરજી દાખલ કરનાર મોહમ્મદ અકબર લોન જમ્મુ-કાશ્મીરમાં સક્રિય અલગાવવાદીના ટેક્દાર રૂપે જોવાય છે. જે પાકિસ્તાનનું સમર્થન કરે છે. તેઓ નેશનલ કોન્ફરન્સથી સંસદ સભ્ય છે. તેઓ 2002થી 2018 સુધી વિધાનસભાના સભ્ય હતા અને તેમણે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં પાકિસ્તાન જિંદાબાદ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.

સુપ્રીમ કોર્ટના CJIએ કહ્યું છે કે જ્યારે તેઓ આ કોર્ટના અધિકાર ક્ષેત્રનો હવાલો આપે છે, ત્યારે અમે તેમનાથી જાણવા ઇચ્છીએ છીએ કે શું તેઓ માને છે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે? શું તેઓ ભારતની અખંડિતતાનો સ્વીકાર કરે છે. એના જવાબમાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે જો તેમણે એવું કહ્યું છે, તો સોગંદનામું માગો.

CJIએ કહ્યું હતું કે અમારી ધારણા છે કે તેઓ સોગંદનામું દાખલ કરશે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે હું તેમના પક્ષમાં કે તેમણે જે કહ્યું છે એ બાજુ નથી ઊભો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે લોને સુપ્રીમ કોર્ટ પાસે માફી માગવી જોઈએ. તેમણે બંધારણ પ્રત્યે નિષ્ઠા જણાવતા એક સોગંદનામું દાખલ કરવું જોઈએ. તેમણે જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી અને આતંકવાદી કામગીરીની નિંદા કરવી જોઈએ. તેઓ સંસદના સભ્ય છે અને તેમણે જવાબદારીથી કામ કરવું જોઈએ.

 

 

 

 

 

G-20 સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નહીં PM લી કિઆંગ ભાગ લેશે

વડા પ્રધાન લી કિઆંગ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સ્થાને ભારતમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે સોમવારે આ માહિતી આપી હતી. જી-20 સમિટ નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ 18મી જી-20 સમિટ હશે. લી કિઆંગ નવી દિલ્હીમાં ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે, “ભારત પ્રજાસત્તાક સરકારના આમંત્રણ પર, રાજ્ય પરિષદના પ્રીમિયર લી ક્વિઆંગ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી, ભારતમાં આયોજિત 18મી G20 સમિટમાં ભાગ લેશે.” નિવેદન પ્રવક્તા માઓએ પ્રથમ વખત ભારત દ્વારા આયોજિત આ ઉચ્ચ સ્તરીય સમિટમાં શીની ગેરહાજરી માટે કોઈ કારણ આપ્યું ન હતું.

શી જિનપિંગ આસિયાન સમિટમાં પણ ભાગ લેશે નહીં

રાષ્ટ્રપતિ શી આ અઠવાડિયે જકાર્તામાં આસિયાન (એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ) અને પૂર્વ એશિયા સમિટમાં પણ ભાગ લેશે નહીં. પ્રીમિયર લી ઈન્ડોનેશિયામાં આસિયાન સમિટમાં ચીનનું પ્રતિનિધિત્વ કરશે. ચીનના વિદેશ મંત્રાલયના અન્ય પ્રવક્તા વાંગ વેનબિને 1 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણ પર વર્તમાન આસિયાન અધ્યક્ષ, સ્ટેટ કાઉન્સિલના પ્રીમિયર લી ઇન્ડોનેશિયાના જકાર્તામાં 26મી ચીન-આસિયાન સમિટમાં ભાગ લેશે. 5 થી 8 સપ્ટેમ્બર, 26મી આસિયાન પ્લસ થ્રી સમિટ અને 18મી પૂર્વ એશિયા સમિટમાં હાજરી આપશે અને ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાત લેશે. હવે પ્રીમિયર લી જકાર્તામાં પૂર્વ એશિયા સમિટમાં ભાગ લીધા બાદ ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. 2021 માં ચીનના રાષ્ટ્રપતિ શીએ ચીનના COVID-19 પ્રતિબંધોને કારણે ઇટાલીમાં યોજાયેલી G-20 સમિટમાં હાજરી આપી ન હતી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ G-20 સમિટમાં ભાગ લેશે નહીં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલાથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમિટમાં રૂબરૂ હાજરી ન આપવાના તેમના નિર્ણયની જાણ કરી દીધી છે કારણ કે તેમને યુક્રેનમાં ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન’ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ રશિયન રાષ્ટ્રપતિ જી-20ની બાલી સમિટમાં સામેલ થયા ન હતા.

G-20 સમિટ શા માટે મહત્વપૂર્ણ છે?

G-20 સભ્ય દેશો વૈશ્વિક જીડીપીના આશરે 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ જૂથમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

સાળંગપુરઃ ભીંતચિત્રોની ભીતરમાં…

ગયા એપ્રિલમાં ‘કિંગ ઓફ સાળંગપુર’ નામે હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ વખતે આ મૂર્તિ અને સાળંગપુર મિડીયામાં છવાયેલું હતું. બરાબર ચાર મહિના પછી એ જ મૂર્તિ અને એ જ સાળંગપુર ફરીથી ચર્ચામાં છે. મૂર્તિની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક દર્શાવાયા એ મુદ્દે સનાતનીઓમાં ફાટી નીકળેલા આક્રોશની આગ છેક સત્તાની પરસાળ સુધી પહોંચી ચૂકી છે.

અલબત્ત, આ આગ ભરખી ખાય એ પહેલાં એને ઠારવા માટેના પ્રયત્નો પાછલા દરવાજેથી શરૂ થઇ ચૂક્યા છે. સનાતની સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મિટીંગો પણ યોજાઇ રહી છે. સંભવતઃ એક-બે દિવસમાં આ મુદ્દે કોઇ સમાધાનકારી રસ્તો નીકળી આવે અને ઘી આગના બદલે ઘી ના જ ઠામમાં પડી રહે એવી શક્યતા છે, પરંતુ અત્યારે સાળંગપુરને લઇને બન્ને તરફના ધાર્મિક આગેવાનો-અનુયાયીઓમાં જે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તે છે એમાંથી કેટલાક મુદ્દાઓ સમજવા જરૂરી બને છે. એક પછી એક એ મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીએઃ

એકઃ સનાતનીઓનો આક્રોશ

એટલું યાદ રહે છે મોરારિબાપુથી લઇને જેટલા સંતો-ધાર્મિક આગેવાનોએ આ ભીંતચિત્રોને લઇને આક્રોશ ઠાલવ્યો છે એમાં ક્યાંય સ્વામિનારાયણ સંપ્રદાયનો કે સહજાનંદ સ્વામીનો વિરોધ નથી. નથી એક સંપ્રદાય તરીકે એમની અવગણના. વાત એટલી જ સીધીસાદી છે કે, હનુમાનજી આદિકાળથી કરોડો હિન્દુઓની શ્રધ્ધાનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો-પુરાણો ઉથલાવીને જોઇ લો. એ સેવક ફક્ત ભગવાન શ્રી રામના જ છે. આદિકાળના આ તમામ ઇશ્વરીય સ્વરૂપો, ફક્ત અઢીસો વર્ષ જૂના સંપ્રદાયના આસ્થા-કેન્દ્રના સેવક કઇ રીતે હોઇ શકે?

વળી, હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો-શાસ્ત્રોમાં કોટી કોટી દેવતાઓનો ઉલ્લેખ છે. અનેક પંથો અને અનેક ગ્રંથો છે, પણ કોઇ જગ્યાએ એકપણ દેવી-દેવતાને એકબીજાથી નીચા કે સેવક દેખાડવાનો ક્યાંય પ્રયત્ન થયો હોય એવું ધ્યાનમાં નથી. તો પછી, એના પ્રમાણમાં સાવ આધુનિક કહી શકાય એવા સંપ્રદાયમાં આવું કેમ? સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી ન હોય એવા અનેક હિન્દુઓ ફક્ત સાળંગપુર જ નહીં, સંપ્રદાયના અન્ય મંદિરોમાં પણ દર્શને જાય જ છે અને એમાં કોઇ સનાતનીને ક્યારેય વાંધો નથી, પણ ભીંતચિત્રોનું આ ચિત્રણ એમની આસ્થા પર કુઠારાઘાત છે. આક્રોશના મૂળ એમાં છે.

 

બેઃ સ્વામિનારાયણના સંતોની સમાજસેવા

સોશિયલ મિડીયામાં એક અઠવાડિયાથી બન્ને પક્ષે જે સામસામે દલીલો ચાલે છે એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સમર્થકોની એક દલીલ સંપ્રદાય અને સંતો દ્વારા કરાતા સમાજસેવાના કાર્યો અને મંદિરો દ્વારા દેશ-વિદેશમાં થઇ રહેલા હિન્દુ ધર્મ-સનાતની પરંપરાના પ્રસાર-પ્રચારની છે. નો ડાઉટ, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ મોરચે થયેલા કામોનો કોઇ ઇન્કાર કરી શકે નહીં. (ઇન ફેક્ટ, ભીંતચિત્રોનો વિરોધ કરનારા પણ આ મુદ્દે વિરોધ કરતા જ નથી!) હિન્દુ ધર્મના શિવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતિ, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો ય સંપ્રદાયના મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે વાત ય કબૂલ, પરંતુ આ સેવાકાર્યોથી કે આ ઉજવણી કરવાથી અન્યની આસ્થા પર આઘાત કરવાનો એમને અધિકાર મળતો નથી. સંપ્રદાયના જ અમુક સંતોના નિવેદનો અને એમાં છૂપાયેલો હુંકાર આ દલીલને વધારે નબળી પાડે છે. આ હુંકારની પાછળ આર્થિક અને રાજકીય પાવરનું પીઠબળ હોય તો પણ સનાતનીઓથી ડરવાની જરૂર નથી, કોર્ટમાં જવાબ આપીશું…  મતલબના નિવેદનો ભગવી પંરપરાને શોભતા નથી.

એ પણ નોંધી લો કે, સંપ્રદાયમાં સાચા અર્થમાં વિચારશીલ, વિદ્વાન અને સમજુ કહી શકાય એવા સંતો કોઇપણ નિવેદન આપવાથી દૂર રહ્યા છે. એમનું મૌન કદાચ ઘણું કહી જાય છે.

ત્રણઃ મોરારિબાપુની વ્યથા

આ પહેલીવાર નથી બન્યું કે, મોરારિબાપુએ પોતાની વ્યથા ખુલ્લેઆમ વ્યક્ત કરવી પડી હોય. અગાઉ પણ આવો વિવાદ થયો હતો. ખુદ બાપુએ ભીંતચિત્રોના મામલે મોં ખોલ્યું ત્યારે પણ નિરાશસ્વરે કહ્યું કે, હું અગાઉ બોલ્યો ત્યારે મારી પડખે કોઇ ઊભું ન રહ્યું…

અલબત્ત, આ વખતે એમના સમર્થનમાં ભાગવત કથાકાર ભાઇશ્રી અને અખિલ ભારતીય સંત સમિતી સહિતા અનેક સનાતની સંતો-ધાર્મિક અગ્રણીઓ ખુલીને બહાર આવ્યા છે, પણ એમાના મોટાભાગના કાં તો ધર્મસ્થાનકોના વડા છે, કાં તો ભક્તો-અનુયાયીઓ છે. બૌધ્ધિક વર્ગ હજુ આ મામલે મૌન છે. કાં તો એ અવઢવમાં છે, કાં તો એ તટસ્થતાના નામે દૂધ-દહીં બન્નેમાં પગ રાખવા ઇચ્છે છે.

ચારઃ રાજકીય આગેવાનોના મોઢે અલીગઢી તાળાં

વારે-તહેવારે નાના મોટા ધાર્મિક ઉત્સવોમાં ય હરખપદૂડા થઇને સ્ટેજ શોભાવવા દોડી જતા રાજકીય આગેવાનોના મોં આ મુદ્દે સંપૂર્ણ સિવાયેલા છે. સત્તાધારી પક્ષ ભાજપ માટે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે, કેમ કે બન્ને પક્ષે એની મોટી વોટબેંક છે. એકપણ પક્ષની ખુલ્લી તરફેણ (કે વિરોધ) પાલવે એમ નથી. સંભવ છે કે વાતને સીધી રીતે રાજકીય સ્વરૂપ ન મળે એટલે હિન્દુ એકતાના નામે સંઘના રામ માધવને મેદાનમાં ઉતારાયા હોય!  સામે પક્ષે કોંગ્રેસ માટે કાંઇ બોલવા કરતાં મૌન રહેવું રાજકીય રીતે વધારે અનુકૂળ છે. બેમાંથી એકાદ પક્ષે ય ભાજપ માટે નારાજગી વધે તો એનો ફાયદો કોંગ્રેસને જ મળી શકે છે.

પણ સવાલ એ છે કે, સમાજમાં રાજસત્તાથી ય ઉપરનો દરજ્જો ભોગવતી આવેલી ધર્મસત્તાને વિવાદના ઉકેલ માટે રાજસત્તાની મદદની જરૂર કેમ પડે? આપણા ધાર્મિક વડાઓ-સંતો એટલા સમજુ નથી કે વિવાદનો અંત સમજણથી લાવી શકે?

પાંચઃ ભીંતચિત્રો હટાવી લેવાય પછી શું?

સનાતની સંતો અને સ્વામિનારાયણના સંતો વચ્ચે વારાફરતી બેઠકો યોજાઇ રહી છે. બેઠકોના અંતે ટૂંક સમયમાં ઉકેલ લાવવાનું આશ્વાસન ય અપાઇ રહ્યું છે અને પ્રાથમિક અહેવાલો પ્રમાણે, વિવાદનું કેન્દ્ર એવા આ ભીંતચિત્રો હટાવીને સમાધાન થઇ શકે છે. સોમવાર, 4 સપ્ટેમ્બરની બપોરે આ લખાઇ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર પણ આ મુદ્દે પ્રત્યક્ષ-પરોક્ષ મંત્રણા દ્વારા ઉકેલ શોધવા સક્રિય થઇ હોવાના અહેવાલો મળે છે.

પરંતુ આક્રોશનું કારણ ફક્ત આ ભીંતચિત્રો જ છે? આ મુદ્દો ચર્ચામાં આવ્યા પછી ફક્ત સાળંગપુર જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય મંદિરોમાં પણ કાં તો મૂર્તિઓમાં કે અન્ય રીતે હિન્દુ દેવી-દેવતાઓ ભગવાન સ્વામિનારાયણના સેવક હોય એવું દર્શાવાયું હોવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. સંપ્રદાયના સાહિત્યમાં બાળ સહજાનંદે બ્રહ્માનો ગર્વ ઉતાર્યો, એમની જળક્રિડાના દર્શન બ્રહ્મા-વિષ્ણુ-મહેશ કરતા અને એમની સ્તુતિ કરતા, ભગવાન બ્રહ્મા ખુદ પ્રસાદી લેવા કાગડો બનીને આવતા એવા ઉલ્લેખો-પ્રસંગોનું વર્ણન હોવાનું બહાર આવ્યું છે. ભૂતકાળમાં અમુક સ્વામીઓના આ મતલબના પ્રવચનોની ક્લિપ્સ પણ ફરીથી વાઇરલ થઇ રહી છે.

આઇરની એ છે કે, સનાતની પરંપરાના શ્રધ્ધાળુઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓની ધાર્મિક શ્રધ્ધાના કેન્દ્રો અલગ-અલગ હોવા છતાં એમની શ્રધ્ધાનું વિશ્વ તો એક જ છેઃ ઇશ્વરીય તત્વ. માનો કે સમાધાન થાય અને આ ભીંતચિત્રો હટાવી ય લેવાય, પણ આસ્થાળુઓની ભીતરમાં કોતરાયેલા આ ચિત્રણોને કઇ રીતે હટાવાશે? ભીંત પડે ત્યારે ઘણા પોપડાં ઉખડે છે…

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)