Home Blog Page 2359

BAN vs SL: 146 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

બાંગ્લાદેશ-શ્રીલંકા મેચ દરમિયાન આવું બન્યું જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય બન્યું ન હતું. વાસ્તવમાં શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજ સુધી કોઈ બેટ્સમેનને આ રીતે આઉટ થઈને પેવેલિયન પરત જવું પડ્યું નથી. આ પછી એન્જેલો મેથ્યુસ એકપણ બોલ રમ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો.

એન્જેલો મેથ્યુસને કેવી રીતે સમય આપવામાં આવ્યો?

સદિરા સમરવિક્રમા આઉટ થયા બાદ એન્જેલો મેથ્યુઝ બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ એન્જેલો મેથ્યુસનું હેલ્મેટ યોગ્ય ન હતું, એન્જેલો મેથ્યુસને તે હેલ્મેટ પહેરવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારબાદ એન્જેલો મેથ્યુઝે પેવેલિયનમાંથી અન્ય હેમ્લેટ લાવવાનો સંકેત આપ્યો. પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને મેથ્યુસ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. શાકિબ અલ હસનની અપીલ બાદ અમ્પાયર મેથ્યુસ પાસે ગયા અને તેમને પાછા જવા માટે કહ્યું.

ICCના નિયમો શું કહે છે?

આ પછી અમ્પાયર અને મેથ્યુઝ વચ્ચે દલીલો થતી રહી, પરંતુ અંતે શ્રીલંકાના ખેલાડીને પેવેલિયન પરત ફરવું પડ્યું. નિયમ 40.1.1 અનુસાર, વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના નિવૃત્તિ પછી, અંદર આવતા બેટ્સમેને 3 મિનિટ સુધી બોલ રમવા માટે તૈયાર રહેવું પડશે. જો આમ ન થાય તો વિરોધી ટીમના ખેલાડીઓ ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે. જો શ્રીલંકા-બાંગ્લાદેશ મેચની વાત કરીએ તો બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી શ્રીલંકાની ટીમે 30 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવી લીધા છે. હાલમાં ચરિથ અસલંકા અને ધનંજય ડી સિલ્વા ક્રિઝ પર છે.

દિલ્હી-NCR અને યુપીમાં ભૂકંપના આંચકા

દિલ્હી-એનસીઆર અને યુપીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.6 માપવામાં આવી છે. ત્રણ દિવસમાં આ બીજી વખત ભૂકંપ આવ્યો છે. શુક્રવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળ હતું અને તેના આંચકા દિલ્હી સુધી અનુભવાયા હતા.

શુક્રવારે આવેલા આ ભૂકંપમાં 157 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સેંકડો ઘરોને નુકસાન થયું હતું. નેપાળમાં 2015માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારપછી આવેલા આફ્ટરશોક્સના કારણે લગભગ 9,000 લોકોના મોત થયા હતા અને 22 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

ભૂકંપ આવે ત્યારે શું કરવું?

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ભૂકંપને લઈને એલર્ટ જારી કરી રહી છે. આ મુજબ, જો તમને આંચકો લાગે તો ગભરાશો નહીં, શાંત રહો અને ટેબલની નીચે જાઓ. તમારા માથાને એક હાથથી ઢાંકો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ટેબલને પકડી રાખો.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૬ નવેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૦૬ નવેમ્બર, ૨૦૨૩

હાઇકોર્ટની ફટકાર પછી AMCએ કામગીરીનો અહેવાલ સોંપ્યો

અમદાવાદઃ હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે રખડતા ઢોર અંગે પોલિસી બનાવી હતી. જે મુજબ અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા બે મહિના દરમિયાન બિસ્માર રસ્તા, રખડતા ઢોર, પાર્કિગની સમસ્યાના ઉકેલ માટે કરેલી કામગીરીને સાંકળતો અહેવાલ રજૂ કર્યો હતો.

હાઇકોર્ટે છેલ્લી સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારને 10 દિવસનો સમય આપ્યો હતો, ત્યાર બાદ આવતી કાલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાય એ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલી કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મૂકવામાં આવ્યો છે. બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને પાર્કિંગની સમસ્યા મામલે AMCના એક્શન ટેકન રિપોર્ટમાં છેલ્લા બે મહિનામાં કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા બે મહિનામાં 4671 રખડતા ઢોર પકડવામાં આવ્યા હતાં અને પશુમાલિકો સાથે રૂ. 34 લાખથી વધુની પેનલ્ટી એટલે કે દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાની જાણ કોર્ટને કરવામાં આવી છે. આ ઉપરાંત 198 જેટલી FIR પણ નોંધવામાં આવી હોવાની માહિતી કોર્ટમાં મૂકવામાં આવી છે.

આ સાથે શહેરમાં 3892 પશુઓના RFID ટેગિંગની કામગીરી કરવામાં આવી છે. બિસ્માર રોડ મામલે સાત ઝોન અને રોડ પ્રોજેક્ટ બ્રિજ માટે છેલ્લા બે મહિનામાં 29,390થી વધુ મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. માઇક્રો સર્ફેસિંગની કામગીરીમાં છેલ્લા બે મહિનામાં 1096 મેટ્રિક ટનથી વધુની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર રોડ પર હોય અને ટ્રાફિકને અડચણ કરતી હોય તેમાં સાત ઝોનમાં 3340 લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે અને 11,314 ગેરકાયદે બોર્ડ અને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યાં છે.

આ સાથે જાહેર રસ્તા ઉપર ગેરકાયદે પાર્ક થયેલાં 794 વાહનો ટોઈંગ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય નાનાં-મોટાં 18686 દબાણ દૂર કરવામાં આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વેશનમાં આવેલા 1241 દબાણો દૂર કરાયા હોવાની માહિતી પણ કોર્ટને આપવામાં આવી છે. જેમાં વહીવટી ખર્ચ પેટે રૂ. 64.75 લાખથી વધુની રકમનો દંડ કરવામાં આવ્યો છે.

 

 

 

 

રાજ્યમાં નવ નિયુક્ત ૪,૧૫૯ યુવા કર્મીઓને નિમણૂક પત્ર એનાયત

રાજ્યમાં ૩,૦૧૪ તલાટી કમ મંત્રી સહિત ૪,૧૫૯ નવ નિયુક્ત યુવા કર્મીઓને CMના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરવાનો સમારોહ સોમવારે ગાંધીનગરમાં યોજાયો હતો. જ્યાં નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પના સંવાહક બનવા નવનિયુક્ત પંચાયત કર્મીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે “ નવ નિયુક્ત યુવા કર્મીઓ ગુડ ગવર્નન્સમાં ગુજરાતની અગ્રેસરતા તમારા સેવા ભાવથી વધુ ઉજાગર કરે, યોજનાઓનો ૧૦૦ ટકા લાભાર્થીઓને લાભ પહોંચાડી સેચ્યુરેશન પોઇન્ટ પાર પહોંચાડે, ૨૦૪૭ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બને તેવી આશા છે.”

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા ૩,૦૧૪ તલાટી કમ મંત્રી, ૯૯૮ જુનિયર ક્લાર્ક, ૭૨ નાયબ સેક્શન ઓફિસર, ૫૮ અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા ૧૭ હવાલદાર મળીને ૪,૧૫૯ નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂકના પત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં એનાયત કરાયા હતા.

મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય, શિક્ષણ સહિત સમાજ કલ્યાણની દરેક યોજનાઓથી છેવાડાના માનવી અને જરૂરતમંદ લોકોને ૧૦૦ ટકા આવરી લેવાનાં આપેલા સેચ્યુરેશન પોઇન્ટના લક્ષ્યાંકને પાર પાડવાનું સેવા દાયિત્વ આ નવ યુવા કર્મીઓએ નિભાવવાનું છે. સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જન સેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે.

પોતાનાં ‘ડીપફેક’ વીડિયોથી રશ્મિકાને આઘાત; અમિતાભે કરી કાનૂની પગલું ભરવાની માગણી

મુંબઈઃ ઈન્ટરનેટ પર ફરી રહેલો પોતાનો ડીપફેક (બનાવટી) વીડિયો જોઈને દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ટેક્નોલોજીનો કેવો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તે અત્યંત ડરામણું છે. બે દિવસથી ઈન્ટરનેટ પર એક વીડિયો વાઈરલ થયો છે. એક ફેક્ટ ચેકરે ડીપફેક ક્લિપ પોસ્ટ કરી હતી. તેમાં ડાબી બાજુ ઓરિજિનલ વીડિયો છે અને જમણી બાજુ બનાવટી વીડિયો છે. ઓરિજિનલ વીડિયોમાં જાણીતી બ્રિટિશ-ભારતીય સોશિયલ મીડિયા સ્ટાર ઝારા પટેલ છે તો ડાબી બાજુના બનાવટી વીડિયોમાં AI (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ)  ટેક્નોલોજી વડે રશ્મિકાનો ચહેરો મૂકી દેવામાં આવ્યો છે. ‘ગુડબાય’ હિન્દી ફિલ્મમાં રશ્મિકા સાથે અભિનય કરનાર અમિતાભ બચ્ચને આ વીડિયો જોઈને આકરાં પ્રત્યાઘાત આપ્યા છે. એમણે કહ્યું છે કે, ‘આ તો સ્પષ્ટપણે કાનૂની પગલું ભરવાનો કેસ બને છે.’

ઉલ્લેખનીય છે કે, ડીપફેક એક ડિજિટલ મેથડ છે જેના દ્વારા યૂઝર્સ AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિનો ચહેરો બીજી વ્યક્તિના ચહેરા વડે બદલી શકે છે.

‘પુષ્પા’, ‘મિશન મજનૂ’ જેવી દક્ષિણભાષી ફિલ્મો અને આગામી હિન્દી ફિલ્મ ‘એનિમલ’ની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ મારફત પોતાની નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. એણે લખ્યું છે, ‘મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ઓનલાઈન ફેલાવવામાં આવી રહેલા મારા ડીપફેક વીડિયો વિશે મારે વાત કરવી પડી રહી છે. પ્રામાણિકપણે કહું તો આ બધું માત્ર મારાં માટે જ નહીં, પણ આપણામાંના એ દરેક જણ માટે ખૂબ જ ડરામણું છે જેમને આજે ટેક્નોલોજીના આવા દુરુપયોગને કારણે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આજે એક મહિલા અને એક અભિનેત્રીના રૂપમાં હું મારાં પરિવારજનો, મારાં મિત્રો અને શુભચિંતકોની આભારી છું જેઓ મારાં રક્ષક છે અને સમર્થક છે. પરંતુ જો આવું હું જ્યારે સ્કૂલ કે કોલેજોમાં ભણતી હતી ત્યારે બન્યું હોત તો હું એ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરત તેની હું કલ્પના પણ કરી શકતી નથી. આવી પ્રવૃત્તિ વધુ લોકોને હાનિ પહોંચાડે એ પહેલાં આપણે એક સમાજ તરીકે આનો રસ્તો કાઢવાની જરૂર છે.’

શેરબજારમાં તેજીની હેટ્રિકઃ રોકાણકારોની સંપત્તિમાં 3.5 લાખ કરોડનો વધારો

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે મજબૂત વૈશ્વિક સંકેતોને લીધે સ્થાનિક શેરબજારોએ તેજીની હેટ્રિક લગાવી હતી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય BSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટી પણ 19,400ની પાસ પહોંચ્યો હતો. નિફ્ટી બે સપ્તાહની ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.69 લાખ કરોડનો વધારો થયો હતો.

BSE ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 594.91 પોઇન્ટ ઊછળીને 64,958.69 પોઇન્ટ બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 181.15 પોઇન્ટ ઊછળી 19,411.75ના મથાળે બંધ થયો હતો. મિડકેપ ને સ્મોલ કેપ શેરોમાં પણ ધૂમ લેવાલીથી તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક 301 પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે મિડકેપ 350 પોઇન્ટના ઉછાળા સાથે 39,937ના સ્તરે બંધ થયો હતો.BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 318.91 કરોડ લાખ કરોડે પહોંચ્યું હતું, જે પાછલા સેશનમાં રૂ. 315.22 લાખ કરોડ હતું. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3.69 લાખ કરોડ વધ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.69 લાખ કરોડનો વધારો થયો હતો.

બજારમાં તેજી સાથે બંધ થતા શેરોની સંખ્યા વધુ હતું. એક્સચેન્જ પર કુલ 3964 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, એમાં 2454 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 1335 શેરો ઘટીને બંધ થયા હતા, જ્યારે 175 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 253 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 37 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી બનાવી હતી.

 

 

 

 

 

 

 

 

‘શાહરૂખ ખાનને એક્ટિંગ આવડતી નથી’: પાકિસ્તાની અભિનેત્રી માહનૂર

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગ પર શાહરૂખ ખાન એની અભિનય ક્ષમતા વડે દાયકાઓથી રાજ કરે છે અને તેની લેટેસ્ટ ફિલ્મ ‘જવાન’ તો બોક્સ ઓફિસ પર કમાણીના ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે, પરંતુ ગયા જુલાઈ મહિનામાં માહનૂર બલોચ નામની એક પાકિસ્તાની અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે શાહરૂખ ખાનને એક્ટિંગ કરતાં આવડતું નથી. માહનૂરે એમ કહ્યું હતું કે ‘શાહરૂખ ખાનની પર્સનાલિટી બહુ જ સરસ છે, પરંતુ તમે જેમને હેન્ડસમ માનતા હો એમની કેટેગરીમાં શાહરૂખ ખાન આવતો નથી. એ સારો બિઝનેસમેન છે. એ પોતાનું સારી રીતે માર્કેટિંગ કરી જાણે છે, પણ મારાં મતે શાહરૂખને એક્ટિંગ કરતાં આવડતું નથી. મારી આ વાત સાથે શાહરૂખનાં ચાહકો કદાચ સહમત નહીં થાય, પણ એ ઠીક છે.’

શાહરૂખની નવી ફિલ્મ આવી રહી છે ‘ડંકી’. આ ફિલ્મ આ વર્ષમાં રિલીઝ થનાર તેની ત્રીજી ફિલ્મ હશે. અગાઉની બે ફિલ્મ છે, ‘પઠાણ’ અને ‘જવાન’.

https://youtu.be/u_wanO773YU?si=xmE1AXMy3B45zgwZ

કેજરીવાલ, ખટ્ટર અને શિવરાજ સિંહ વચ્ચે ઓનલાઇન ‘વોર’

નવી દિલ્હીઃ દેશનાં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમ છે. બીજી તરફ ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રીઓનું સોશિયલ મિડિયા પર વોર ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના મનોહરલાલ ખટ્ટર પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સથી એકમેકની પાર્ટીઓ પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

આ ત્રણ રાજ્યના મુખ્ય પ્રધાનોની વચ્ચેનું કારણે વડીલોથી જોડાયેલી ‘તીર્થ દર્શન યોજના’ છે. આ મુદ્દે વાદવિવાદ થયો છે અને શિવરાજ સિંહ ચૌહાણે તો કેજરીવાલને ખોટું બોલવા સુધ્ધાં આરોપ લગાવી દીધો છે.

દિલ્હીના CM કેજરીવાલે પાંચ ક્ટોબરે હરિયાણાના CMની એક પોસ્ટ રિટ્વીટ કરતાં લખ્યું હતું કે મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના દેશમાં અત્યાર સુધી માત્ર દિલ્હીમા જ ચાલી રહી હતી. સૌપ્રથમ વાર આમ આદમી પાર્ટીની સરકારે ચલાવી હતી. આ યોજના હેઠળ અમે દિલ્હીના 75,000થી વધુ વયોવૃદ્ધોને તીર્થ યાત્રા કરાવી ચૂક્યા છીએ. અમને આનંદ છે કે અમારી સરકાર પાસેથી શીખીને ભાજપની સરકાર કામ કરવાના પ્રયાસ કરી રહી છે.

હરિયાણાના CMએ લખ્યું હતું કે સરકાર 60 વર્ષથી વધુ વયના લોકો માટે મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના બનાવી છે. લોકોએ આ યોજનાનો લાભ ઉઠાવવો જોઈએ.

ખટ્ટરની પોસ્ટ પર કેજરીવાલની કોમેન્ટ આવ્યા પછી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ જંગમાં કૂદ્યા હતા. તેમણે કેજરીવાની પોસ્ટને રિશેર કરતાં લખ્યું હતું કે અરવિંદજી જૂઠને શીશમહેલથી બહાર કાઢો અને આંખો ખોલીને જુઓ. તેમણે વધુમાં લખ્યું હતું કે જ્યારે ‘આપ’નું અસ્તિત્વ પણ નહોતું, ત્યારથી મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર વડીલોને તીર્થ દર્શન કરાવી રહી છે. ભાજપે 2012માં મુખ્ય મંત્રી તીર્થ દર્શન યોજના શરૂ કરી હતી અને હવે તો અમે ફ્લાઇટ્સથી યાત્રા કરાવી રહ્યા છીએ.

 

 

 

 

 

 

 

 

બે મતદારયાદીમાં નામનો મામલોઃ કેજરીવાલના પત્નીને મોકલાયેલું સમન્સ સ્થગિત

નવી દિલ્હીઃ બે વિધાનસભા મતવિસ્તારોની મતદારયાદીઓમાં નામ લખાવીને કાયદાનું કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલને નીચલી અદાલત દ્વારા મોકલવામાં આવેલા સમન્સ સામે દિલ્હી હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. આરોપના સંબંધમાં 18 નવેમ્બરે કોર્ટમાં ઉપસ્થિત થવાનો આદેશ આપતા ટ્રાયલ કોર્ટના ઓર્ડરને સુનિતા કેજરીવાલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેના સંદર્ભમાં હાઈકોર્ટનાં ન્યાયમૂર્તિ અમિત બંસલે પ્રશાસન તથા ફરિયાદી પક્ષને નોટિસ મોકલી છે.

નીચલી કોર્ટના આદેશની અમલબજવણી પર હાઈકોર્ટના જજે સ્ટે ઓર્ડર પણ આપ્યો છે અને આ બાબત પર હવે પછીની સુનાવણી માટે 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.