Home Blog Page 2167

કેન્સરની પીડા બાદ ઓર્ગેનિક ખેતી તરફનો સકારાત્મક અભિગમ

કપડવંજઃ કેન્સરની બીમારી સામે લડી સમાજને નવો રાહ ચીંધી રહેલા કપડવંજના તુષાર પટેલ પણ એક અનોખું વ્યક્તિત્વ છે. કપડવંજના આંબલિયારાના તુષાર પટેલ ઈલેકટ્રિકલ એન્જિનિયર થયા. ઈલેકટ્રિકલ એન્જિનિયર થયા પછી મોબાઈલ કંપનીમાં વર્ષો સુધી ‘ઓપરેશન્સ’ જેવા ઉચ્ચ હોદ્દા પર ‘ઈલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન્સ’માં સફળ સેવાઓ આપી હતી. અચાનક જ કોરોના કાળની આસપાસ ગળામાં તકલીફો થવા માંડી અને કેન્સરનું નિદાન થયું. સારવાર અને બોલવાની તકલીફને કારણે નોકરી મૂકી દીધી.

તુષાર પટેલ ચિત્રલેખા. કોમને કહે છે, સામાન્ય ચાલતી જિંદગીમાં અચાનક જ કેન્સરની બીમારી આવી ગઈ.એક વર્ષ સુધી સતત સારવાર ચાલી જેમાં કીમો આપ્યા. 30 દિવસ સુધી રેડિયેશન આપ્યા. નાક બંધ કરી દીધું શ્વાસ લેવા માટે ગળામાં કાણું પાડવામાં આવ્યું. કોઈ પણ પ્રકારની સુગંધ પણ આવતી નથી..સ્વરપેટી કાઢી નાખી એટલે બોલવા માટે મશીન વાપરવું પડે છે. બોલું એટલે સામે વાળાને રોબોટ બોલતો હોય એવું લાગે.

તુષારભાઈ કહે છે, સારવાર ચાલતી એ દરમિયાન ઘણું મનોમંથન કર્યુ. સાજો થઈશ તો એકદમ શુદ્ધ ઓર્ગેનિક ખેતી કરીશ. સમાજને સારું શાકભાજી ફળફળાદિ ઉગાડી આપવા પ્રયત્નો કરીશ..ચોથા સ્ટેજના કેન્સરમાંથી બહાર આવ્યા પછી કપડવંજ અને સૌરાષ્ટ્ર પંથકમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી શુદ્ધ શાકભાજી, શક્કર ટેટી અને તડબૂચ ઉગાડવા નું શરૂ કર્યુ. સૌરાષ્ટ્ર તરફની વાડીમાં કેરીઓ પણ છે. ભાડે રાખેલી ખેતીની જગ્યા ઓ પર ઝેરીલા કેમિકલ, ગટરના પાણીથી મુક્ત એવાં શાકભાજી -ફળો ઉગાડવાનો પ્રયાસ છે. કેન્સરમાંથી સારવાર મેળવ્યા બાદ ઓર્ગેનિક ખેતીની સાથે “કેન્સરના દર્દીઓ ‘ ને સકારાત્મક વાત કરી હોંસલો આપવાનું કામ પણ તુષારભાઈ કરે છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

આંગણવાડીની બહેનો હવે કર્મચારી, ગ્રેચ્યુઇટી મળશેઃ SC

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે રાજ્યની આંગણવાડીની બહેનો માટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારે કરેલી પુન:વિચારણાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે આંગણવાડીની બહેનોને હવે કર્મચારી ગણવા તેમ જ તમામને ગ્રેચ્યુઇટીના લાભ આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં આંગણવાડી બહેનોના મુદ્દાને લઈને પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી કરતાં કોર્ટે આંગણવાડીની બહેનોને કર્મચારી હોવાના હકનો આદેશ આપતાં ગુજરાત સરકારની પુન:વિચારણાની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, ICDSને પ્રોજેક્ટના બદલે એક સંસ્થા તરીકે ગણતરી કરી તે મુજબના લાભો આપવા તેમ જ માનદ વેતનને વેતન તરીકે જ ગણવું.

કોર્ટે જણાવ્યું હતું કે વેતનને માત્ર માનદ વેતન ન ગણી શકાય, ICDSને પ્રોજેક્ટ નહીં, પણ સંસ્થા ગણવી પડશે. જેથી સરકારે લાખો આંગણવાડીની બહેનોને ગ્રેચ્યુઇટી ફરજિયાત ચૂકવવી પડશે. આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય તે માટે નોકરિયાત ગણવામાં આવ્યા છે. અને તેઓને મળતા માનદ વેતનને વેતન ગણવામાં આવે વધારામાં સુપ્રીમે ચુકાદામાં જણાવ્યું કે, ICDSને પ્રોજેક્ટ નહીં, પરંતુ સંસ્થા ગણાવી.

વર્ષ 2022માં આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુઈટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે અરજીને પુનઃ વિચારણા માટે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, પણ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના તથા જસ્ટિસ અભય ઓકાની બેંચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરતાં આંગણવાડી કાર્યકરોને કર્મચારી તરીકે ગણવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો.

 

 

 

 

પનીર હંગામા

નવા વર્ષની શરૂઆત સાથે પનીરના શાકની પણ એક નવી વેરાયટી ‘પનીર હંગામા’ બનાવી લો. જે ઝટપટ બની જાય છે. તેમજ બહુ જ સ્વાદિષ્ટ પણ બને છે!

સામગ્રીઃ

  • પનીર 500 ગ્રામ
  • મોટાં કાંદા 4
  • લવિંગ 4
  • લીલી એલચી 4
  • તજનો ટુકડો 1 ઈંચ
  • તેજ પત્તાનું પાન 1
  • તેલ વઘાર તેમજ પનીર સાંતળવા માટે
  • લાલ સૂકાં મરચાં 4
  • લીલાં મરચાં 3
  • ટામેટાં મોટાં 2
  • કાજુ 10-15 નંગ
  • સિમલા મરચું 1
  • જીરુ 1 ટી.સ્પૂન
  • કાશમીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરુ પાઉડર ½ ટી.સ્પૂન
  • આદુ-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન

રીતઃ 2 કાંદાની લાંબી પાતળી સ્લાઈસ કરી લો. ટામેટાંની પણ લાંબી સ્લાઈસ સુધારીને અલગ રાખો.

પનીરને મિડીયમ સાઈઝના ચોરસ ટુકડામાં કટ કરી લો. એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા ગેસની તેજ આંચે હલકા ગુલાબી રંગના સાંતળી લો.

આ પનીરના ટુકડાને એક પ્લેટમાં કાઢી લો. હવે આ જ તેલમાં તજનો ટુકડો, એલચી, લવિંગ, તેજ પત્તાનું પાન તેમજ સૂકાં લાલ મરચાં નાખીને 1 મિનિટ જેવું સાંતળીને તેમાં કાંદાની ચીરી નાખીને સાંતળો. કાંદા થોડા લાલ થાય એટલે તેમાં લીલાં મરચાંના ટુકડા, ટામેટાં, કાજુ નાખીને પેન અથવા કઢાઈ ઢાંકીને પાંચ મિનિટ ગેસની મધ્યમ આંચે થવા દો.

ટામેટાં, કાજુ નરમ થયા બાદ ગેસ બંધ કરીને આ મિશ્રણ ઠંડું કરીને મિક્સીમાં તેની પેસ્ટ કરી લો.

બાકી રહેલાં કાંદા તેમજ સિમલા મરચું અલગ અલગ ઝીણાં ચોરસ સમારી લો. ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું તતડાવી લો. હવે તેમાં ઝીણાં સમારેલાં કાંદા સોનેરી રંગના સાંતળીને સિમલા મરચું પણ સાંતળી લો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ સાંતળીને કાજુ, ટામેટાંની પેસ્ટ સાંતળી લો. ત્યારબાદ હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, જીરા પાઉડર મેળવીને 2-3 મિનિટ સાંતડીને તેમાં 1-2 કપ જેટલું પાણી મેળવીને 3-4 મિનિટ થવા દો. જેવું તેલ છૂટું પડે એટલે તેમાં સાંતળેલા પનીરના ટુકડા મેળવીને ગેસની આંચ મધ્યમ કરીને 4-5 મિનિટ થવા દો.

ત્યારબાદ તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી તેમજ ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને મિક્સ કરીને 1 મિનિટ સાંતળી લો. ત્યારબાદ ગેસ બંધ કરીને ગરમાગરમ રોટલી અથવા પરોઠા સાથે પીરસો.

તમામ રોગોની આધુનિક સારવાર સાત જાન્યુ. સુધી તદ્દન મફત

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ઉચ્ચ ગુણવત્તાની વ્યાપક તબીબી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ૧-૭ જાન્યુઆરી સુધી સાત દિવસ સવારે ૮:૩૦થી સાંજે 4 વાગ્યા સુધી ‘મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ’ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં તમામ રોગોની સામાન્યથી લઈને સર્જીકલ એમ દરેક પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદ્દન મફત આપવામાં આવી રહી છે. આ કેમ્પમાં અંદાજિત ૨૫,૦૦૦ લોકો લાભાન્વિત થશે.

આ મફત સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં યુ.એસ.એ., કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, સિંગાપોર વગેરે એમ દેશ-વિદેશના ૨૦૦થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જોડાયા છે, જેઓ પોતાના વર્ષોના અનુભવ અને જ્ઞાનનો લાભ આ ક્ષેત્રના લોકોને આપી સહાય કરી રહ્યા છે. કેમ્પની પૂર્વતૈયારી રૂપે ધરમપુર, કપરાડા, ડાંગ, આહવા, પારડી, વાંસદા આદિ સાત તાલુકાના ૬.૫ લાખ લોકોમાં આ કેમ્પનો પ્રચાર અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે અગાઉથી જ ૨૦૦થી વધુ સર્જરીઓ યોજવામાં આવી હતી, જે શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલના છ અત્યાધુનિક ઓપેરશન થિએટરમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આ કેમ્પમાં ૧૫૦થી વધુ  સર્જરીઓ થઈ ચૂકી છે અને ૫૦૦૦થી વધુ સર્જરીઓ તથા અન્ય પ્રક્રિયાઓ જેમ કે સોનોગ્રાફી, એક્સ રે, એમ.આર.આઈ, સિટી સ્કેન વગેરેની નોંધણી કરાઈ છે, જે કરવામાં આવશે.

અહીં વ્યાપક મફત સારવાર સેવાઓ આપવામાં આવી રહી છે જેમ કે જનરલ  મેડિસિન, જનરલ સર્જરી, વિકલાંગ, પ્રસૂતિ અને સ્ત્રીરોગ, બાળરોગ ચિકિત્સા, હૃદયરોગ, કેન્સર, કાન, નાક અને ગળું, ચામડીના રોગો, પ્રોસ્ટેટ, હાડકાના રોગ, નેત્રરોગ (મફત ચશ્માં આપવામાં આવશે ), આંતરડા, કિડની, ફેફસાં, માનસિક રોગ, દાંતના રોગ, મગજની બીમારી (ન્યુરોલોજી) વગેરે. સાથે જ રેડિઓલોજી (સી.ટી.સ્કેન વગેરે), પેથોલોજી, તમામ પ્રકારની દવાઓ, ફિઝિયોથેરાપી, લોહીની તપાસ (એનિમિયા) વગેરે પણ ઉપલબ્ધ છે. પ્લાસ્ટિક સર્જરી, હૃદય રોગ અને કેન્સર સહિત અનેક સર્જરીઓ પણ કરવામાં આવી રહી છે. આ સાથે કેમ્પના પ્રથમ દિવસે અહીં બે વિશિષ્ટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પહેલી એમ્બ્યુલન્સ ‘ચશ્માં પ્રોજેક્ટ’ માટે છે, જે દૂરના વિસ્તારોમાં ફરશે અને દર્દીઓની આંખની તપાસ કરી ચશ્માં આપશે. બીજી કાર્ડિયાક એમ્બ્યુલન્સ છે.

 

 

 

 

 

 

 

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૫ જાન્યુઆરી, ૨૦૨૪

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિ – ૦૫ જાન્યુઆરી, ૨૦૨૪

બજેટ 2024: ચાર વર્ગ પર વિશેષ ફોક્સ કરશે મોદી સરકાર

નવી દિલ્હીઃ બજેટ રજૂ થવામાં હવે એક મહિનાથી પણ ઓછો સમય છે. સરકારના પ્રયાસ છે કે આ વચગાળાના બજેટમાં ચાર વર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવે. આ ચાર વર્ગોને સરકારે ચાર જાતિઓની ઉપમા આપી છે, એમાં ગરીબ. યુવા, ખેડૂત અને મહિલાઓ માટે ખાસ જાહેરાત થાય એવી શક્યતા છે. સરકારે આગામી બજેટ GYANની થીમ પર રાખવાનો નિર્ણય કર્યો છે. Gyanનો અર્થ G= ગરીબ, Y= યુવા, A=અન્નદાતા, N= નારી છે.

સરકાર બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો વ્યાપ વધારે એવી શક્યતા છે. આ પગલાથી દેશના ખેડૂતોને લાભ થશે. મધ્ય પ્રદેશની લાડલી બહેનાની થીમ પર કેન્દ્ર સરકાર મહિલાઓ માટે નવી યોજના લાવે એવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલાં સરકાર જો મહિલાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરશે તો એ મોટું ચૂંટણીલક્ષી પગલું હશે.

ખેડૂતો, મહિલાઓ સિવાય કેન્દ્ર સરકારનું ગરીબો પર ધ્યાન કેન્દ્રિત છે. જેથી સરકાર કલ્યાણકારી યોજનાનો વ્યાપ વધારવા તૈયાર છે. સરકારે જેતે યોજનાઓનો વ્યાપ વધારે એવી શક્યતા છે, જેની સીધી અસર ગરીબો પર થશે. ચોથી જાતિ તરીકે યુવાઓ માટે સરકાર કોઈ મોટો નિર્ણય કરે એવી સંભાવના છે. સરકાર નવી પેન્શન સ્કીમમાં રિટર્નની ગેરન્ટી જેવો પ્રસ્તાવ લાવે એવી શક્યતા છે. એ સાથે-સાથે સરકારનું ધ્યાન યુવાઓ માટે રોજગારીની તકો વધારવા પર છે. આમ સરકાર વચગાળાના બજેટમાં ચાર ખાસ જાતિઓ પર ફોકસ કરે એવી શક્યતા છે.

 

 

 

 

વાઈબ્રન્ટ સમિટમાં ‘સેન્ટ્રલ વિસ્ટા’ સુધીની વિવિધ થીમથી ઝગમગાટ

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪એ ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થશે ત્યારે સૌને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

વડા પ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની રાજધાની ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે, જેમાં ગાંધીનગરના હાર્દસમા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને રાત્રે વાઈબ્રન્ટ-તિરંગા સહિતની વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવ્યું છે, જેના પરિણામે સેન્ટ્રલ વિસ્ટા નગરજનો માટે સેલ્ફી પોઇન્ટ બન્યો છે.

વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે ગુજરાત વિધાનસભાને ગોલ્ડનરોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, વિવિધ ફૂલ છોડ-વૃક્ષો પર અલગ અલગ કલરની સિરીઝ, કલરફૂલ સ્કલ્પચર, વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ને પ્રદર્શિત કરતા વિવિધ આકર્ષિત લોગો તેમ જ દાંડી કુટિરને  લાઇટિંગ-લેઝર દ્વારા અદભુત રીતે સજાવવામાં આવ્યું છે. આ ‘સેન્ટ્રલ વિસ્ટા’નો રાત્રિનો અદભુત નજરો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

આ ઉપરાંત સ્વર્ણિમ સંકુલ-૧ અને ૨, ઉદ્યોગ ભવન, કલેકટર કચેરી, બેંક ઓફ બરોડા ભવન, સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને તિરંગા આધારિત વિવિધ રોશનીથી શણગારવામાં આવી છે.

રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જે વિસ્તારમાંથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવનાર ડેલિગેશન પસાર થવાનું છે. એ તમામ વિસ્તારને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે.

વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાવવાનો છે. આ રોડ-શોમાં વડા પ્રધાન સાથે યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ જોડાશે. અમદાવાદ શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રોડ-શો ગાંધી આશ્રમ તરફ જશે.

ગુજરાતમાં યોજાનારી ગ્લોબલ સમિટ અને વડા પ્રધાનના રોડ શો પહેલાં સમગ્ર રોડ પર  જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ એક્ટિવિટી માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોડના ડિવાઇડર, રેલિંગનું રંગરોગાન થઈ રહ્યું છે. આખાય માર્ગ પરના તૂટેલા ભાગોનું સમારકામ થઈ રહ્યું છે.

આ સાથે નવાં વૃક્ષો રોપાઈ રહ્યાં છે. ડિઝાઇનર થાંભલા ઊભા કરી એમાં લટકતાં છાબડાં અને રંગબેરંગી છોડ તૈયાર કરાઈ રહ્યાં છે. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ તરફ જતા માર્ગ પર ખજૂરીના વિશાળ વૃક્ષને રોપવામાં આવી રહ્યાં છે.

અમદાવાદના એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ તરફ જતા માર્ગને સ્વચ્છ અને સમારકામ કરવા માટે  રાજ્ય સરકારના જુદા-જદા વિભાગ તેમ જ મ્યુનિસિપલ કોર્પોરેશન કામે લાગી ગયું છે. શહેરના માર્ગો પરનાં દબાણો હટાવી વીવીઆઇપી મુવમેન્ટને ધ્યાનમાં રાખી બેરિકેડ બનાવવામાં આવી રહ્યા છે.

વાઇબ્રન્ટ સમિટ પહેલાં રોશનીથી અમદાવાદ શહેર અને ગાંધીનગરના માર્ગોને સજાવવામાં આવી રહ્યા છે. આ સાથે ગ્રોથ એન્જિન ગુજરાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વાઇબ્રન્ટ ગુજરાત, ડેવલપમેન્ટને લગતાં વિશાળ હોર્ડિંગ્સ તમામ માર્ગો પર મૂકવામાં આવ્યાં છે.

વાઇબ્રન્ટ સમિટ, PMના રોડ-શો પહેલાં તડામાર તૈયારીઓ શરૂ

અમદાવાદઃ રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જે વિસ્તારમાંથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવનાર ડેલિગેશન પસાર થવાનું છે. એ તમામ વિસ્તારને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાવવાનો છે. આ રોડ-શોમાં વડા પ્રધાન સાથે યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન પણ જોડાશે. અમદાવાદ શહેરના આંતરરાષ્ટ્રીય  એરપોર્ટ પરથી રોડ-શો ગાંધી આશ્રમ તરફ જશે. ગુજરાતમાં યોજાનારી ગ્લોબલ સમિટ અને વડા પ્રધાનના રોડ શો પહેલાં સમગ્ર રોડ પર  જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ એક્ટિવિટી માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોડના ડિવાઇડર, રેલિંગનું રંગરોગાન થઈ રહ્યું છે.

આખાય માર્ગ પરના તૂટેલા ભાગોનું સમારકામ થઇ રહ્યું છે. આ સાથે નવાં વૃક્ષો રોપાઈ રહ્યાં છે. ડિઝાઇનર થાંભલા ઊભા કરી એમાં લટકતાં છાબડાં અને રંગબેરંગી છોડ તૈયાર કરાઈ રહ્યાં છે. એરપોર્ટથી ઇન્દિરાબ્રિજ તરફ જતા માર્ગ પર ખજૂરીના વિશાળ વૃક્ષને રોપવામાં આવી રહ્યાં છે.

અમદાવાદના એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ તરફ જતા માર્ગને સ્વચ્છ અને સમારકામ કરવા માટે  રાજ્ય સરકારના જુદા-જદા વિભાગ તેમ જ મ્યુનિસિપલ કોર્પોરેશન કામે લાગી ગયું છે. શહેરના માર્ગો પરનાં દબાણો હટાવી વીવીઆઇપી મુવમેન્ટને ધ્યાનમાં રાખી બેરિકેડ બનાવવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટ પહેલાં રોશનીથી અમદાવાદ શહેર અને ગાંધીનગરના માર્ગોને સજાવવામાં આવી રહ્યા છે. આ સાથે ગ્રોથ એન્જિન ગુજરાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, વાઇબ્રન્ટ ગુજરાત, ડેવલપમેન્ટને લગતાં વિશાળ હોર્ડિંગ્સ તમામ માર્ગો પર મૂકવામાં આવ્યાં છે.

(પ્રજ્ઞેશ વ્યાસ) 

પ્રતિભાશાળી એથ્લીટોને સહયોગ કરવા ગ્રુપને ગર્વ રહેશેઃ ગૌતમ અદાણી

અમદાવાદઃ દેશના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદે પાંચ વર્ષની વયે ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2018માં 12 વર્ષની વયે તે વિશ્વનો બીજા ક્રમનો ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. તે અભિમન્યુ મિશ્રા, સર્ગેઇ કારજાકિન, ગુકેશ ડી અને જાવેખિર સિંદારાવ પછી આ ટાઇટલ મેળવનાર સૌથી નાની વયે ગ્રાન્ડ માસ્ટર બનનાર પાંચમા ક્રમનો ખેલાડી હતો. વળી તેની મોટી બહેન વૈશાલી પણ ગ્રાન્ડમાસ્ટર છે. આમ વિશ્વની આ પ્રથમ ભાઇબહેનની જોડી છે, જે ગ્રાન્ડમાસ્ટર છે.ગ્રાન્ડમાસ્ટ આર. પ્રજ્ઞાનંદની કેરિયરને વેગ આપવા માટે અદાણી ગ્રુપ સહયોગ કરશે. ગ્રુપ દેશના સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને પીઠબળ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે.

સ્પોર્ટ્સ ક્ષેત્રે ચેસના ગ્રાન્ડમાસ્ટર સાથે મુલાકાત પછી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમને ચેસના પ્રતિભાશાળી પ્રજ્ઞાનંદને ટેકો આપવા પર બહુ ગર્વ થઈ રહ્યો છે. તેણે સ્પોર્ટ્સમાં ચેસમાં જે હરણફાળ ભરી છે એ કાબિલેદાદ છે અને બધા ભારતીયો માટે એક દાખલા સમાન છે. દેશનું પ્રતિનિધિત્વ કરવામાં અને ટોચના સ્તરે પહોંચવાથી વિશેષ બીજું કશું નથી અને ગ્રુપ આવા પ્રતિભાશાળી એથ્લીટોને પૂરેપૂરો સહયોગ કરશે.

હું પણ દેશ માટે બહુ ઉત્સુક છું અને વૈશ્વિક સ્તરે મારી રમતનો સારો દેખાવ કરવા ઉત્સાહિત છું. હું જ્યારે પણ દેશ વતી કોઈ પણ સ્પર્ધામાં રમું છું, ત્યારે મારું જીતવાનું લક્ષ્ય હોય છે. હું અદાણી ગ્રુપનો મારી પર ક્ષમતા અને વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું, એમ પ્રજ્ઞાનંદે જણાવ્યું હતું.

વર્ષ 2023માં તે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનાર વિશ્વનો સૌથી યુવા ચેસ પ્લેયર હતો અને વિશ્વનાથન આનંદ પછી આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો ભારતીય છે. વર્ષ 2022માં તેણે મેગ્નસ કાર્લસનને ચેસ વિશ્વમાં અનેક વાર હરાવીને ચેસ વર્લ્ડમાં છવાયો હતો. ચેન્નઈ સ્થિત ગણિતપ્રેમી પ્રજ્ઞાનંદે હાંગઝોઉ એશિયન ગેમ્સ, 2023માં સિલ્વર મેડલ જીત્યો હતો.

અદાણી ગ્રુપ #ગર્વહૈ પહેલ હેઠળ સ્પોર્ટ્સ ક્ષેત્રે બોક્સિંગ, રેસલિંગ, ટેનિસ, ભાલાફેંક, શૂટિંગ, રનિંગ, શોટપુટ બ્રિસ્ક વોકિંગ અને આર્ચરીના 28 પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની પ્રતિભા વધુ નિખારવા માટે સહયોગ કરી રહ્યું છે. ગ્રુપ પાસેથી સહયોગ મેળવાનારા ખેલાડીઓમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ રેસલર્સ રવિ કુમાર દહિયા અને દીપક પૂનિયા અને બોક્સર અમિત પંઘાલ છે. દહિયા અને પૂનિયાએ વર્ષ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 અને એશિયન ગેમ્સ, 2023માં સિલ્વર મેડલ જીત્યો હતો.

 

 

 

 

આજનું પત્રકારત્વ: પત્રકાર તથા તંત્રી સાથે સંવાદનો કાર્યક્રમ

મુંબઈઃ દરરોજ અખબાર હાથમાં આવે કે અઠવાડિયે સાપ્તાહિકની કૉપી એક બેઠકે પૂરી વાંચી જઈએ એ આપણા માટે સહજ હતું. છેલ્લાં બેત્રણ વર્ષથી થોડો બદલાવ આવ્યો છે. હવે હથેળીમાં સેલફોન ગોઠવાઈને અખબારની બધી માહિતી આપણા સુધી પહોંચવા માંડી અને એનાથી પણ આપણે ટેવાવા માંડ્યા છે. આ સહજતા છતાં ન્યૂસ અને વ્યૂઝના ભંડાર તમારી સામે ખુલ્લા કરનાર પત્રકાર કે તંત્રીને સામાન્ય ભાવક સરળતાથી નથી મળી શકતો.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ “આજનું પત્રકારત્વ” આ નામ હેઠળ એક સંવાદ ગોષ્ઠિ યોજીને મુંબઈના પત્રકાર જગતના ત્રણ અવ્વલ પત્રકારોના સંઘર્ષની, આજના કાર્યક્ષેત્રની, વાચકની અપેક્ષાઓની તથા ભવિષ્યના પડકારોની વાત ભાવકો સામે મૂકવાનું આયોજન કર્યું છે. ‘ચિત્રલેખા’ના તંત્રી હીરેન મહેતા, ડિજિટલ મેગેઝિન ‘ મુંબૈયા ગુજરાતી”ના સ્થાપક તથા તંત્રી રાજેશ થાવાણી અને ન્યૂઝ કન્ટિન્યુઝ.કોમના સંપાદક ડૉ.મયુર પરીખ સાથે જ્હાનવી પાલ અને પ્રતિમા પંડ્યા સંવાદ કરશે. હાજર શ્રોતાઓ પણ પેનલના સભ્યોને પ્રશ્ન પૂછી શકશે.

આ કાર્યક્રમ સાત જાન્યુઆરી રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે (સમયસર) કેઈએસ ગુજરાતી ભાષાભવન, બીજે માળે, જયંતીલાલ પટેલ લૉ કૉલેજ, કાંદીવલી રિક્રિએશન ક્લબની બાજુમાં, કાંદિવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. આ જાહેર કાર્યક્રમ છે અને બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોને ધોરણે છે.