કેન્સરની પીડા બાદ ઓર્ગેનિક ખેતી તરફનો સકારાત્મક અભિગમ

કપડવંજઃ કેન્સરની બીમારી સામે લડી સમાજને નવો રાહ ચીંધી રહેલા કપડવંજના તુષાર પટેલ પણ એક અનોખું વ્યક્તિત્વ છે. કપડવંજના આંબલિયારાના તુષાર પટેલ ઈલેકટ્રિકલ એન્જિનિયર થયા. ઈલેકટ્રિકલ એન્જિનિયર થયા પછી મોબાઈલ કંપનીમાં વર્ષો સુધી ‘ઓપરેશન્સ’ જેવા ઉચ્ચ હોદ્દા પર ‘ઈલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન્સ’માં સફળ સેવાઓ આપી હતી. અચાનક જ કોરોના કાળની આસપાસ ગળામાં તકલીફો થવા માંડી અને કેન્સરનું નિદાન થયું. સારવાર અને બોલવાની તકલીફને કારણે નોકરી મૂકી દીધી.

તુષાર પટેલ ચિત્રલેખા. કોમને કહે છે, સામાન્ય ચાલતી જિંદગીમાં અચાનક જ કેન્સરની બીમારી આવી ગઈ.એક વર્ષ સુધી સતત સારવાર ચાલી જેમાં કીમો આપ્યા. 30 દિવસ સુધી રેડિયેશન આપ્યા. નાક બંધ કરી દીધું શ્વાસ લેવા માટે ગળામાં કાણું પાડવામાં આવ્યું. કોઈ પણ પ્રકારની સુગંધ પણ આવતી નથી..સ્વરપેટી કાઢી નાખી એટલે બોલવા માટે મશીન વાપરવું પડે છે. બોલું એટલે સામે વાળાને રોબોટ બોલતો હોય એવું લાગે.

તુષારભાઈ કહે છે, સારવાર ચાલતી એ દરમિયાન ઘણું મનોમંથન કર્યુ. સાજો થઈશ તો એકદમ શુદ્ધ ઓર્ગેનિક ખેતી કરીશ. સમાજને સારું શાકભાજી ફળફળાદિ ઉગાડી આપવા પ્રયત્નો કરીશ..ચોથા સ્ટેજના કેન્સરમાંથી બહાર આવ્યા પછી કપડવંજ અને સૌરાષ્ટ્ર પંથકમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી શુદ્ધ શાકભાજી, શક્કર ટેટી અને તડબૂચ ઉગાડવા નું શરૂ કર્યુ. સૌરાષ્ટ્ર તરફની વાડીમાં કેરીઓ પણ છે. ભાડે રાખેલી ખેતીની જગ્યા ઓ પર ઝેરીલા કેમિકલ, ગટરના પાણીથી મુક્ત એવાં શાકભાજી -ફળો ઉગાડવાનો પ્રયાસ છે. કેન્સરમાંથી સારવાર મેળવ્યા બાદ ઓર્ગેનિક ખેતીની સાથે “કેન્સરના દર્દીઓ ‘ ને સકારાત્મક વાત કરી હોંસલો આપવાનું કામ પણ તુષારભાઈ કરે છે.

 

(પ્રજ્ઞેશ વ્યાસ)