Home Blog Page 1931

કોંગ્રેસના ઉમેદવારો આ દિવસે ભરશે ફોર્મ

અમદાવાદ: દેશ સહિત રાજ્યમાં ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા એક બાદ એક ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી દેવા આવી છે. ત્યારે હવે તમામ પક્ષોના ઉમેદવારો નોંધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તારીખ 15-16 અને 18 એપ્રિલના કોંગ્રેસના તમામ ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રક નોંધાવશે.

કોંગ્રેસના ઉમેદવારો ક્યારે ભરશે ફોર્મ? જાણી લો…

તા.15 એપ્રિલ 2024

બનાસકાંઠા- ગેનીબેંન ઠાકોર

સુરેન્દ્રનગર શ્રી ઋત્વિક મકવાણા

જામનગર – શ્રી જે પી મારવિયા

બારડોલી – શ્રી સિદ્ધાર્થ ચૌધરી

તા.16 એપ્રિલ 2024

કચ્છ – શ્રી નિતેશ લાલન

સાબરકાંઠા – ડૉ.તુષાર ચૌધરી

ગાંધીનગર – શ્રી સોનલ પટેલ

અમદાવાદ પશ્ચિમ – શ્રી ભરત મકવાણા

અમરેલી – શ્રી જેનીબેન ઠુમ્મર

છોટા ઉદેપુર – શ્રી સુખરામ રાઠવા

વલસાડ – શ્રી અનંત પટેલ

પંચમહાલ – શ્રી ગુલાબસિંહ ચૌહાણ

પોરબંદર – શ્રી લલિત વસોયા

તા.18 એપ્રિલ 2024

પાટણ – શ્રી ચંદનજી ઠાકોર

જૂનાગઢ – શ્રી હીરાભાઈ જોટવા

આણંદ – શ્રી અમિત ચાવડા

ખેડા – શ્રી કાળુસિંહ ડાભી

દાહોદ – ડૉ.પ્રભાબેન તાવિયાડ

વડોદરા – શ્રી જસપાલસિંહ પઢિયાર

સુરત – શ્રી નિલેશ કુંભાણી

ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચાર બેઠક પર કોંગ્રેસ હાલ ઉમેદવાર જાહેર કર્યા નથી. જ્યારે રાજકોટ બેઠક પર રૂપાલા વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાને ટક્કર આપવા માટે કોંગ્રેસ રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીને પસંદગી કરી છે, પણ હજુ એમનું નામ સત્તાવાર રીતે જાહેર થયું નથી. ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ નવસારીથી નૈષદ દેસાઈ, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ, મહેસાણાથી ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ આપવાનું વિચારી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

લોકસભાની સાથે સાથે વિધાનસભા પાંચ બેઠકની પેટાચૂંટણી માટેના ઉમેદવારો પણ જાહેર કરવાના બાકી છે. જોવાનું રહ્યું કે કોંગ્રેસ ભાજપને ટક્કર આપવા માટે ચાર બેઠક પર ક્યા ઉમેદવારોની પસંદગી કરે છે.

કંગના રણોતની વિરુદ્ધ વિક્રમાદિત્ય સિંહ ચૂંટણી લડે એવી શક્યતા

મંડીઃ લોકસભા ચૂંટણીમાં મંડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતની સામે વિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસ વતી મંડીથી લોકસભા ચૂંટણી લડશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે આની જાહેરાત કરી છે. જોકે પાર્ટી દ્વારા તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ આ અંગે સંકેત આપ્યા છે. તેમણે વિક્રમાદિત્ય સિંહના નામની ભલામણ કોંગ્રસના હાઇકમાન્ડને મોકલવામાં આવી છે.

વિક્રમાદિત્ય સિંહના મંડીથી લડવાની જાહેરાત તેમની માતા અને પ્રદેશ કોંગ્રેસ કમિટીની તરફથી કરવામાં આવી છે. જોકે પાર્ટી તરફથી સત્તાવાર તેમના નામની જાહેરાત નથી કરવામાં આવી. હિમાચલ પ્રદેશના ઉમેદવારીને કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થઈ છે.

CM સુખુએ કહ્યું હતું કે એ નિશ્ચિત છે કે અમને મંડીમાંથી યુવા નેતા મળશે. હાલમાં પ્રતિભા સિંહ આ બેઠક પરથી સાંસદ છે. પ્રતિભા સિંહે કહ્યું હતું  કે કંગના શું કરી રહી છે કે શું કહી રહી છે તેની અમને કોઈ પરવા નથી. મંડીના લોકો હંમેશાં અમારી સાથે રહ્યા છે. મેં મુશ્કેલ સંજોગોમાં પણ સીટ જીતી છે.

એવું પણ માનવામાં આવે છે કે જો વિક્રમાદિત્ય સિંહને મંડીથી ઉમેદવાર બનાવવામાં આવે છે  તો તે કોંગ્રેસની અંદર ચાલી રહેલી તિરાડને દૂર કરવામાં પણ મદદ કરશે. તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશ કોંગ્રેસની અંદર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યસભામાં ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કથિત રીતે સુખુ સરકાર માટે ખતરો ઊભો થયો હતો.

 

 

 

 

 

 

 

હિન્દુઓએ બૌદ્ધ બનવું હશે તો લેવી પડશે સરકારની મંજૂરી

અમદાવાદઃ ગુજરાત સરકારે એક સર્ક્યુલર જારી કરીને સ્પષ્ટ કર્યું છે છે કે બૌદ્ધ ધર્મ અલગ છે. એ બૌદ્ધ ધર્મથી  અલગ ધર્મ છે, એવામાં અલગ કોઈ ધર્મ બદલે છે તો એના માટે મંજૂરી લેવાની રહેશે. રાજ્ય સરકારે કોઈ પણ વ્યક્તિ હિન્દુ ધર્મથી બૌદ્ધ બનવા ઇચ્છે છે તો તેણે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ, 2003નું પાલન કરવાનું રહેશે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 8 એપ્રિલે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, એ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસોમાં મનમાની ઢંગથી વ્યાખ્યા કરવામાં આવી રહી છે. એ નોટમાં કહેવામાં આવ્યું હતું કે હિન્દુ ધર્મથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની મંજૂરીને મામલે ઉચિત પ્રક્રિયાનું પાલન નથી કરવામાં આવી રહ્યું. આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે ક્યારેક-ક્યારેક અરજીની સાથે-સાથે સ્વાયત્ત સંગઠનો પણ તર્ક આપે છે કે આ પ્રકારે ધર્માતંરણ માટે કોઈની મંજૂરીની જરૂર નથી.

રાજ્યમાં દરેક દશેરા અને અન્ય તહેવારો પર આયોજિત કાર્યક્રમોમાં મોટા ભાગના દલિતો એકસાથે બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા છે. ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિષય પર સ્પષ્ટતા તરીકે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કેટલાક જિલ્લા મેજિસ્ટ્રેટ હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટેની અરજીઓનો નિકાલ કરતી વખતે એક્ટ અને તેના નિયમોનું ખોટું અર્થઘટન કરી રહ્યા હતા. આ ઉપરાંત કેટલાક જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પણ આ વિષય પર માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. તેથી અમે આ પરિપત્ર દ્વારા સ્પષ્ટતા જાહેર કરી છે.

રાજ્યમાં દલિતોમાં બૌદ્ધ ધર્મ અપનાવવાની વૃત્તિ પ્રવર્તે છે. ગુજરાત બૌદ્ધ એકેડેમી (GBA) એ અગ્રણી સંસ્થાઓમાંની એક છે, જે રાજ્યમાં નિયમિતપણે આવા ધર્માંતરણ કાર્યક્રમોનું આયોજન કરે છે.

સરકારે 2021માં ધર્મ અધિનિયમમાં સુધારો કર્યો હતો

તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકાર ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ લાવી હતી. આ કાયદા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય લાલચ, બળજબરી, ખોટી રજૂઆત અથવા અન્ય કોઈપણ ખોટા માધ્યમો દ્વારા ધર્મ પરિવર્તનને રોકવાનો હતો. વર્ષ 2021 માં, ગુજરાત સરકારે લગ્ન દ્વારા બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદામાં સુધારો કર્યો હતો.

 

 

 

 

 

 

 

 

કમોસમી વરસાદના ઘેરાયા વાદળા, વાતાવરણ બન્યું ખેડૂતોનું વેરી

અમદાવાદ: હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ ગરમીનો પારો પણ યથાવત રહેવાની સંભાવના નકારી શકાય એમ નથી.

ઉલ્લેખનીય છે કે આગાહી પ્રમાણે તારીખ 13 એપ્રિલના રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા કે વાદળછાયા વાતાવરણનો અનુભવ થવાની સંભાવના કરી છે. અમદાવાદ હવામાન વિભાગના નિષ્ણાતે રાજ્યમાં બે દિવસ વરસાદ અંગેની આગાહી કરી છે. એમણે જણાવ્યું કે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહિસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે. ત્યારે આવતીકાલ એટલે કે 14 એપ્રિલ રવિવારના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદ થવાની પૂરી શક્યતા છે.

તો આ સાથે હવામાન નિષ્ણાત ગરમી અંગે વાત કરતા જણાવ્યું કે આગામી બે દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. આજે બંને શહેરોમાં 39 ડિગ્રીની તાપમાન રહેશે.

આ ઉપરાંત  દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ત્રણ દિવસ ડિસકમ્ફર્ટ સિચ્યુએશનની સ્થિતિનું નિર્માણ થશે. સાથે જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાવાની પણ શક્યતા છે.

જ્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે ઉત્તર ઓમાન તરફ એક સિસ્ટમ સક્રિય થશે. જે સિસ્ટમનો માર્ગ ભારત તરફ રહેવાની શક્યતા છે. જેના કારણે 18 1થી 20 એપ્રિલના વાદળછાયુ વાતાવરણ રહેશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. પ્રિ મોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે. અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે

14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું

લોકસભાની ચૂંટણીના રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા 14 એપ્રિલના રોજ રવિવારે રાજકોટ નજીક આવેલા રતનપર પાસે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ અને બહેનો હાજર રહેવાના છે. ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં સંમેલનમાં લોકો હાજર રહે તે માટે રાજપૂત સંકલન સમિતિ દ્વારા સમાજના વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી 500થી વધુ લક્ઝરી બસો અને એક હજારથી વધુ ગાડીઓમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો રાજકોટ સંમેલનમાં પહોંચશે.

અમદાવાદથી 100થી વધુ ગાડીઓમાં લોકો રાજકોટ પહોંચશે

અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ લક્ઝરી બસો અને 100થી વધુ ગાડીઓમાં લોકો રાજકોટ પહોંચશે.શનિવારે રાત સુધીમાં તમામ લોકોને ક્યાંથી બસ ઉપડશે તે તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે.ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન માટેમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી લક્ઝરી બસો અને ગાડીઓ લઈને પહોંચનારા ભાઈઓ અને બહેનોને પોલીસ દ્વારા કોઈપણ કારણો આગળ ધરી અને સંમેલન સુધી ન પહોંચવા દેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી શકે તેવી શક્યતા રાજપૂત સંકલન સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેથી સંકલન સમિતિ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, તેને ધ્યાનમાં રાખી અને સમયસર સંમેલનમાં પહોંચવા જણાવ્યું છે.


રાજપૂત સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલી કેટલીક સૂચનાઓ

  • કાર અને બસોને વ્યવસ્થિત પાર્ક કરી કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે સહયોગ આપવો
  • સંમેલન સ્થળ પર આવી ગ્રાઉન્ડ પર રાખેલી બેઠક વ્યવસ્થા મુજબ બેઠક લઇ લેવી.
  • સંપૂર્ણ કાર્યક્રમને તમારા FACEBOOK/YOUTUBE પર live કરવો
  • મીડિયામાં બાઇટ નહીં આપવી, રસ્તામાં કોઈપણ સ્થળે નારાબાજી કરવી નહીં
  • ઘરેથી માતાજીને પગે લાગીને નીકળવું અને રસ્તામાં તકરારમાં ઉતરવું નહીં
  • રસ્તામાં સરકારી વ્યવસ્થા માટેની પોલીસ ટીમને સહયોગ કરવો
  • કોઈ જગ્યા પર ટ્રાફિક જામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં
  • જે બસમાં આપ આવતા હોય એ બસના 2 ભાઈને જવાબદારી આપવી
  • બસમાં બેઠેલા દરેક પાસે એમનો મોબાઈલ નંબર આપવો અથવા લઇ લેવો
  • સ્ટીકર/બેનર આપની કાર અને બસના આગળ અથવા પાછળ ફરજીયાત લગાવવા
  • સંમેલનમાં આવનારા દરેક વ્યક્તિએ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રાખવું
  • કાર અથવા બસમાં કોઈ રસ્તામાં તકલીફ થાય એવી વસ્તુ રાખવી નહીં

કાળઝાળ ગરમી સામે લોકોને સાવધાન કરવા AMCની ઝુંબેશ

અમદાવાદ: રાજ્યમાં ઉનાળો જામી રહ્યો છે. ત્યારે વસ્તી અને વાહનોથી ધમધમતા અમદાવાદ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં આગ ઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સાબદું બન્યું છે. અખબારો, સોશિયલ મીડિયા અને એલ.ઈ.ડી. હોર્ડિગ્સ પાટિયાં જેવા અનેક માધ્યમો દ્વારા હીટવેવથી બચવા સૂચના અને સૂચનો અપાઈ રહ્યા છે.ગરમીથી બચવા લોકોએ કેવા કપડાં પહેવા, કામ વગર કાળઝાળ ગરમીમાં બહાર ના નીકળવું‌ , ગરમીમાં સ્ટ્રોકથી બચવા લૂ ના લાગે એ માટે સાવચેતી રાખવી..જેવા અનેક સૂચનો સાથેના બેનર્સ લગાવવામાં આવી રહ્યા છે.

આ વર્ષે ગુજરાતના અનેક શહેરોમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ખૂબ ઝડપથી તાપમાન વધી રહ્યું છે. વિશ્વભરમાં 2023નું વર્ષ સૌથી ગરમ રહ્યું છે. ગત માર્ચ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. જેના આધારે હીટ વેવની આ ચેતવણી આપવામાં આવી છે. વધતી જતી ગરમી સામે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે અને સ્થિતિને જો કાબૂમાં લેવામાં નહીં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાશે તેના વિશે ચેતવી રહ્યા છે. ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખી હોસ્પિટલો, સરકાર અને ખાનગી સ્વૈચ્છિક સંસ્થાઓ મનુષ્ય સાથે અન્ય જીવોની દરકાર કરવા સજ્જ થઈ ગયા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

સિડની મોલમાં આતંકી હુમલો, 7 લોકોના મોત

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થયેલા આતંકી હુમલામાં હુમલાખોર સહિત 7 લોકોના મોત થયા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા અનુસાર, સિડનીના એક શોપિંગ સેન્ટરમાં ગોળીબાર અને છરાબાજી બાદ આ 6 લોકોની હત્યા કરવામાં આવી હતી. બાદમાં હુમલાખોર પણ માર્યો ગયો હતો. સિડની પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલો માની રહી છે. હુમલા બાદ મોલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા દરેક જગ્યાએ દોડવા લાગ્યા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોલમાં ફસાયેલા હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ પોલીસે જણાવ્યું કે સમગ્ર મોલને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. દરમિયાન, સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ્સ, મોલ અને પોલીસ વાહનો અને વિસ્તારમાં કટોકટી સેવાઓમાંથી ભીડ ભાગી રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ બે હુમલાખોરો હતા જેમાંથી એક માર્યો ગયો છે. જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે.

હુમલાખોરો ક્યાંથી આવ્યા? તપાસ ચાલુ છે

રિપોર્ટ અનુસાર, આ આતંકી હુમલો બોન્ડી જંક્શન પર થયો હતો. સિડની પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોનો હેતુ સંભવતઃ દુકાનદારોને નિશાન બનાવવાનો હતો. મોલ કેમ્પસમાં ઇમરજન્સી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળોએ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓએ શોપિંગ સેન્ટરમાં ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો, ત્યારબાદ લોકો ત્યાંથી ભાગતા જોવા મળ્યા હતા.

સરકારનો બોર્નવિટાને હેલ્થ ડ્રિન્કની કેટેગરીમાંથી દૂર કરવાનો નિર્દેશ

નવી દિલ્હીઃ ઉદ્યોગ મંત્રાલયે હેલ્થ ડ્રિન્ક પર ઈકોમર્સ કંપનીઓને એડવાઇઝરી જારી કરી છે. મંત્રાલયે કંપનીઓને ચેતવણી જારી કરતાં કહ્યું હતું કે બોર્નવિટા અને અન્ય ડ્રિન્ક અથવા બેવરેજીસને હેલ્થ ડ્રિન્ક કેટેગરીમાં સામેલ નહીં કરો. બધી ઈ-કોમર્સ કંપનીઓની વેબસાઇટો પરથી બોર્નવિટા સહિત પેય પદાર્થોને હેલ્થી પેય પદાર્થોની કેટેગરીમાંથી દૂર કરવામાં આવે, એમ મંત્રાલયે કહ્યું હતું.

આ પહેલાં બીજી એપ્રિલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ બધી ઈ-કોમર્સ કંપનીઓને નિર્દેશ આપતાં કહ્યું હતું તેઓ તેમની વેબસાઇટ્સ પરથી વેચવામાં આવતાં ફૂડ ઉત્પાદનોને ઉચિત કેટેગરીમાં રાખે.  આ સાથે ઓથોરિટીએ કોઈ પણ પેય પદાર્થના વેચાણને વધારવા માટે હેલ્થ ડ્રિન્ક અને એનર્જી ડ્રિંક જેવા શબ્દોનો દુરુપયોગ નહીં કરવા માટે કહ્યું હતું.

 

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR)એ ગયા વર્ષે બોર્નવિટા બનાવતી કંપની મોડેલેઝ ઇન્ટરનેશનલ ઇન્ડિયા લિ.ને નોટિસ મોકલી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોડક્ટમાં વધુપડતી શુગર હોવાની ફરિયાદ છે. કેટલાંક એવાં તત્ત્વો પણ છે, જે બાળકોના આયોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેથી કંપની આ ઉત્પાદનની બધી ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલની સમીક્ષા કરે અને એ ઉત્પાદનોને પરત લે.

ઇન્ડિયન એનર્જી ડ્રિન્ક અને સ્પોર્ટ્સ ડ્રિન્કનું હાલનું બજાર કદ 4.7 અબજ ડોલર છ, જે 2028 સુધીમાં 5.71 ટકાના CAGR ગ્રોથની સાથે વધવાની અપેક્ષા છે. જો ચોકલેટ પાઉડર અથવા આર્ટિફિશિયલ ફ્લેવર દૂધમાં મેળવીને બાળકને આપવામાં આવે તો એમાં ખાંડ હોવાને કારણે એ અનહેલ્થી છે, એમ ડોક્ટરે કહ્યું હતું.

 

 

 

 

 

 

ચૈત્રી નવરાત્રીએ આ મંદિરમાં યોજાય છે પ્રાચીન ગરબા!

સુરત: દેવોની નવરાત્રિ તરીકે ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના મોટી સંખ્યમાં માઈ ભક્તો કરતા હોય છે.  ત્યારે વલસાડ જિલ્લાના રાબડામાં આવેલા માં વિશ્વંભરી ધામમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવે છે.આ ધામ એ જગત જનનીનું વિશ્વનું એક માત્ર મંદિર છે. માં વિશ્વંભરી ધામ ખાતે ચૈત્રી નવરાત્રીના નોરતા દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે-સાથે દેશ-વિદેશથી માઇ ભક્તો માતાજીની આરાધના કરવા માટે ઊમટી પડે છે. અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આ ભવ્ય મંદિરમાં બિરાજતા ત્રિભુવન રચનારાં માઁ વિશ્વંભરીના સમક્ષ ચૈત્રી નવરાત્રિમાં માત્ર પ્રાચીન ગરબા થકી જ આરાધના થાય છે. જેમાં આસો નવરાત્રીની જેમ માતાજીના ભક્તો ગરબા કરી અને માતાજીની આરાધના કરાય છે.

વર્ષ ૨૦૧૬માં મહાપાત્ર (વિઠ્ઠલભાઈ)ના નેતૃત્વમાં આ ધામ ધમધમતું થયું હતું. માત્ર ૯૦ દિવસમાં જ આખું ધામ તૈયાર થયું હતું . આજે આ મંદિર માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહીં સમગ્ર વિશ્વના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

રામેશ્વરમ કાફે બ્લાસ્ટમાં અલ-હિંદ કનેક્શન સામે આવ્યું

બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસનું કનેક્શન ISISના અલ-હિંદ મોડ્યુલ સાથે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ ISISના અલ હિંદ મોડ્યુલ સાથે સંકળાયેલા હતા. બંને વિદેશી હેન્ડલરોના સંપર્કમાં હતા. અબ્દુલ માથિન, મુસાવવીરને વિદેશથી સૂચનાઓ મળતી હતી. ISISનું અલ હિંદ મોડ્યુલ દેશ માટે મોટો ખતરો છે. અલ હિંદ મોડ્યુલના સ્લીપર સેલ ઘણા રાજ્યોમાં ફેલાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દરેક ઓપરેશન માટે તેમના મોડ્યુલના અલગ અલગ નામ રાખતા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ માથિન તાહા ISISના અલ-હિંદ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો, જેણે 2019માં તમિલનાડુમાં એક અગ્રણી હિન્દુ નેતાની હત્યા કરી હતી. વર્ષ 2020માં NIAએ ISIS સાથે સંકળાયેલા 12 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમાં ISISના સંસ્થાપક મહેબૂબ પાશા અને ખ્વાજા મોઇનુદ્દીનનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આ 12 આતંકવાદીઓમાં સલીમ અને ઝૈદ બંને અબ્દુલ મતીન તાહાના નજીકના હતા.

બેંગલુરુમાં અલ-હિંદ મોડ્યુલનો પર્દાફાશ

તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે કર્ણાટક પોલીસે જાન્યુઆરી 2020 માં બેંગલુરુમાં અલ-હિંદના મોડ્યુલનો પર્દાફાશ કર્યો ત્યારે મોહમ્મદ શારિક અને અરાફત અલી સુરક્ષા એજન્સીઓના ધ્યાન પર આવ્યા હતા. અબ્દુલ મતીન તાહા આ મોડ્યુલનો મુખ્ય નેતા છે અને તેનો પિતરાઈ ભાઈ પણ આ મોડ્યુલમાં સામેલ છે જ્યારે મુસ્વાર શાજીબ હુસૈન તેનો દૂરનો સંબંધી છે.