કમોસમી વરસાદના ઘેરાયા વાદળા, વાતાવરણ બન્યું ખેડૂતોનું વેરી

અમદાવાદ: હવામાન વિભાગે રાજ્યમાં આજથી ત્રણ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. તો બીજી બાજુ ગરમીનો પારો પણ યથાવત રહેવાની સંભાવના નકારી શકાય એમ નથી.

ઉલ્લેખનીય છે કે આગાહી પ્રમાણે તારીખ 13 એપ્રિલના રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા કે વાદળછાયા વાતાવરણનો અનુભવ થવાની સંભાવના કરી છે. અમદાવાદ હવામાન વિભાગના નિષ્ણાતે રાજ્યમાં બે દિવસ વરસાદ અંગેની આગાહી કરી છે. એમણે જણાવ્યું કે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, મહિસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદની શક્યતા છે. ત્યારે આવતીકાલ એટલે કે 14 એપ્રિલ રવિવારના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે સામાન્ય વરસાદ થવાની પૂરી શક્યતા છે.

તો આ સાથે હવામાન નિષ્ણાત ગરમી અંગે વાત કરતા જણાવ્યું કે આગામી બે દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. આજે બંને શહેરોમાં 39 ડિગ્રીની તાપમાન રહેશે.

આ ઉપરાંત  દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો ત્રણ દિવસ ડિસકમ્ફર્ટ સિચ્યુએશનની સ્થિતિનું નિર્માણ થશે. સાથે જ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાવાની પણ શક્યતા છે.

જ્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે ઉત્તર ઓમાન તરફ એક સિસ્ટમ સક્રિય થશે. જે સિસ્ટમનો માર્ગ ભારત તરફ રહેવાની શક્યતા છે. જેના કારણે 18 1થી 20 એપ્રિલના વાદળછાયુ વાતાવરણ રહેશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. પ્રિ મોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે. અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે