નવી દિલ્હીઃ ઉદ્યોગ મંત્રાલયે હેલ્થ ડ્રિન્ક પર ઈકોમર્સ કંપનીઓને એડવાઇઝરી જારી કરી છે. મંત્રાલયે કંપનીઓને ચેતવણી જારી કરતાં કહ્યું હતું કે બોર્નવિટા અને અન્ય ડ્રિન્ક અથવા બેવરેજીસને હેલ્થ ડ્રિન્ક કેટેગરીમાં સામેલ નહીં કરો. બધી ઈ-કોમર્સ કંપનીઓની વેબસાઇટો પરથી બોર્નવિટા સહિત પેય પદાર્થોને હેલ્થી પેય પદાર્થોની કેટેગરીમાંથી દૂર કરવામાં આવે, એમ મંત્રાલયે કહ્યું હતું.
આ પહેલાં બીજી એપ્રિલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ બધી ઈ-કોમર્સ કંપનીઓને નિર્દેશ આપતાં કહ્યું હતું તેઓ તેમની વેબસાઇટ્સ પરથી વેચવામાં આવતાં ફૂડ ઉત્પાદનોને ઉચિત કેટેગરીમાં રાખે. આ સાથે ઓથોરિટીએ કોઈ પણ પેય પદાર્થના વેચાણને વધારવા માટે હેલ્થ ડ્રિન્ક અને એનર્જી ડ્રિંક જેવા શબ્દોનો દુરુપયોગ નહીં કરવા માટે કહ્યું હતું.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR)એ ગયા વર્ષે બોર્નવિટા બનાવતી કંપની મોડેલેઝ ઇન્ટરનેશનલ ઇન્ડિયા લિ.ને નોટિસ મોકલી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોડક્ટમાં વધુપડતી શુગર હોવાની ફરિયાદ છે. કેટલાંક એવાં તત્ત્વો પણ છે, જે બાળકોના આયોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેથી કંપની આ ઉત્પાદનની બધી ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલની સમીક્ષા કરે અને એ ઉત્પાદનોને પરત લે.
ઇન્ડિયન એનર્જી ડ્રિન્ક અને સ્પોર્ટ્સ ડ્રિન્કનું હાલનું બજાર કદ 4.7 અબજ ડોલર છ, જે 2028 સુધીમાં 5.71 ટકાના CAGR ગ્રોથની સાથે વધવાની અપેક્ષા છે. જો ચોકલેટ પાઉડર અથવા આર્ટિફિશિયલ ફ્લેવર દૂધમાં મેળવીને બાળકને આપવામાં આવે તો એમાં ખાંડ હોવાને કારણે એ અનહેલ્થી છે, એમ ડોક્ટરે કહ્યું હતું.
સુરત: દેવોની નવરાત્રિ તરીકે ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના મોટી સંખ્યમાં માઈ ભક્તો કરતા હોય છે. ત્યારે વલસાડ જિલ્લાના રાબડામાં આવેલા માં વિશ્વંભરી ધામમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવે છે.આ ધામ એ જગત જનનીનું વિશ્વનું એક માત્ર મંદિર છે. માં વિશ્વંભરી ધામ ખાતે ચૈત્રી નવરાત્રીના નોરતા દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે-સાથે દેશ-વિદેશથી માઇ ભક્તો માતાજીની આરાધના કરવા માટે ઊમટી પડે છે. અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
આ ભવ્ય મંદિરમાં બિરાજતા ત્રિભુવન રચનારાં માઁ વિશ્વંભરીના સમક્ષ ચૈત્રી નવરાત્રિમાં માત્ર પ્રાચીન ગરબા થકી જ આરાધના થાય છે. જેમાં આસો નવરાત્રીની જેમ માતાજીના ભક્તો ગરબા કરી અને માતાજીની આરાધના કરાય છે.
વર્ષ ૨૦૧૬માં મહાપાત્ર (વિઠ્ઠલભાઈ)ના નેતૃત્વમાં આ ધામ ધમધમતું થયું હતું. માત્ર ૯૦ દિવસમાં જ આખું ધામ તૈયાર થયું હતું . આજે આ મંદિર માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહીં સમગ્ર વિશ્વના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસનું કનેક્શન ISISના અલ-હિંદ મોડ્યુલ સાથે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને આરોપીઓ ISISના અલ હિંદ મોડ્યુલ સાથે સંકળાયેલા હતા. બંને વિદેશી હેન્ડલરોના સંપર્કમાં હતા. અબ્દુલ માથિન, મુસાવવીરને વિદેશથી સૂચનાઓ મળતી હતી. ISISનું અલ હિંદ મોડ્યુલ દેશ માટે મોટો ખતરો છે. અલ હિંદ મોડ્યુલના સ્લીપર સેલ ઘણા રાજ્યોમાં ફેલાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દરેક ઓપરેશન માટે તેમના મોડ્યુલના અલગ અલગ નામ રાખતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અબ્દુલ માથિન તાહા ISISના અલ-હિંદ મોડ્યુલ સાથે સંકળાયેલો હતો, જેણે 2019માં તમિલનાડુમાં એક અગ્રણી હિન્દુ નેતાની હત્યા કરી હતી. વર્ષ 2020માં NIAએ ISIS સાથે સંકળાયેલા 12 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમાં ISISના સંસ્થાપક મહેબૂબ પાશા અને ખ્વાજા મોઇનુદ્દીનનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આ 12 આતંકવાદીઓમાં સલીમ અને ઝૈદ બંને અબ્દુલ મતીન તાહાના નજીકના હતા.
બેંગલુરુમાં અલ-હિંદ મોડ્યુલનો પર્દાફાશ
તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે કર્ણાટક પોલીસે જાન્યુઆરી 2020 માં બેંગલુરુમાં અલ-હિંદના મોડ્યુલનો પર્દાફાશ કર્યો ત્યારે મોહમ્મદ શારિક અને અરાફત અલી સુરક્ષા એજન્સીઓના ધ્યાન પર આવ્યા હતા. અબ્દુલ મતીન તાહા આ મોડ્યુલનો મુખ્ય નેતા છે અને તેનો પિતરાઈ ભાઈ પણ આ મોડ્યુલમાં સામેલ છે જ્યારે મુસ્વાર શાજીબ હુસૈન તેનો દૂરનો સંબંધી છે.
નવી દિલ્હીઃ રાજકીય દળો તૂટવા અને નવા ગઠબંધનની વચ્ચે મહારાષ્ટ્રમાં 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં આશ્ચર્યજનક પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં એક તરફ નણંદ-ભોજાય સામસામે ચૂંટણી લડી રહ્યાં છે, તો ક્યાંક કાકા—ત્રીજો એકમેકને પડકારી રહ્યા છે. તો વળી, ક્યાંક મિત્ર દુશ્મના પક્ષમાં જતા રહ્યા છે તો ક્યાંક જૂના દુશ્મન જૂની દુશ્મનાવટ ભૂલીને મિત્રતાનો ધર્મ નિભાવી રહ્યા છે. એનું એક તાજું ઉદાહરણ નાંદેડમાં જોવા મળ્યું હતું.
ગૃહપ્રધાન અમિત શાહની સભામાં ભૂતપૂર્વ મંત્રી અશોક ચવ્હાણ અને ભાજપના ઉમેદવાર પ્રતાપરાવ પાટીલ ચિખલીકરે મંચ શેર કર્યો હતો. તેઓ ભાજપમાં સામેલ થયા છે, પણ આ પહેલાં તેમણે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ નાંદેડમાં હાલના કોંગ્રેસી સાંસદ અશોક ચવ્હાણને હરાવી દીધા હતા. જોકે ચવ્હાણ આ વર્ષે ભાજપમાં સામેલ થયા છે. શિવસેના (જૂની)ના બે વારના સાંસદ રાહુલ શેવાલેનો મુકાબલો શિવસેના (UBT)ના અનિલ દેસાઈથી છે. વર્ષ 2022માં તેઓ શિવસેનાના વિભાજન પહેલાં શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા હતા.
બારામતીમાં પવાર પરિવારના બે સભ્યો સામસામે છે. અજિત પવાર પહેલાં કઝિન સુપ્રિયા સુળેના ચૂંટણી સંભાનું મેનેજમેન્ટ કરતા હતા. હવે તેમણે સુપ્રિયા સુલેની વિરુદ્ધ અજિત પવારે પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતાર્યાં છે. આ ચૂંટણી મુકાબલામાં અજિતના પરિવારમાં તિરાડ પડી છે, કેમ કે તેમનો નાનો ભાઈ શ્રીનિવાસ તથા તેમનો પરિવાર સુળેતરફી છે.
બીડમાં ભાજપે હાલના સાંસદ પ્રીતમ મુંડેને સ્થાને તેમની મોટી બહેન અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી પંકજા મુંડેને ઉમેદવાર બનાવ્યાં છે. 2019માં પંકજાએ તેમના કઝિન ભાઈ ધનંજય મુંડેને હરાવી દીધાં હતાં, પણ હવે તેઓ પંકજા માટે પ્રચાર કરશે.
રાયગઢમાં NCPના સુનીલ તટકરેએ 2019માં શિવસેનાએ અનંત ગીતેને હરાવ્યા હતા. કોંગ્રેસે ત્યારે તટકરને ટેકો આપ્યો હતો, કેમ કે તેઓ NCPની સાથે ગઠબંધનમાં હતી. હવે તટકરે અજિત પવારની NCPની સાથે છે, જ્યારે ગીતે શિવસેનાના વિભાજન પછી ઉદ્ધવ ઠાકરે જૂથની સાથે છે. મહારાષ્ટ્રમાં હવે ચૂંટણી મહાભારત યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે.
ભારતમાં લોકસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે ત્યારે ચૂંટણીમાં કરવામાં આવતા ખર્ચા વિશે ઘણી બધી ચર્ચાઓ થતી રહેતી હોય છે. પરંતુ તમને ભાગ્યે જ ખબર હશે કે તમારા એક મત માટે ચૂંટણી પંચને કેટલા રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તો ચાલો જાણીએ આ વખતે તમારા એક વોટ ચૂંટણી પંચના ખિસ્સાનું કેટલુ ભારણ વધારશે. સાથે જ વિતેલા વર્ષો પર પણ જરા ડોકિયુ કરીએ.
ચૂંટણી હવે દરેક જન માટે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ બની ગયો છે. મતદાન માટે પણ ઘણા બધાપ્રચાર પ્રસાર કરવામાં આવે છે. ઘણા લોકો તો એવા ડાયલોગ મારતા પણ સંભળાય છે કે મારો એક મત કોઈ પણ પક્ષની જીત કે હારનું કારણ બની શકે છે. જો કે આ વાત સાચી પણ છે. કારણ કે દરેક વોટ કિંમતી છે. જો કે આપણે વાત કરીએ છીએ ચૂંટણી પંચની. છેલ્લા 2019ની વાત કરીએ તો એ સમયે 91 કરોડ મતદારો હતા જેની માટે લગભગ 5500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એક મત માટે ચૂંટણી પંચ દ્રારા 60 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
હવે વાત કરીએ ભારતના પ્રથમ લોકસભા ઇલેક્શનની. તો દેશમાં પહેલીવાર 1952માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પંચે એક મતદાર પર 6 પૈસા ખર્ચ કરવા પડ્યા હતા.
મતનો ખર્ચ કેવી રીતે થાય છે?
ચૂંટણી પંચ મતદાન પ્રક્રિયા હાથ ધરવા, મતદાર જાગૃતિ અને નિરીક્ષણોનો ખર્ચ કરે છે. ચૂંટણી કમિશનને આ નાણાં કેન્દ્ર સરકાર પાસેથી બજેટના રૂપમાં મળે છે. પંચના આ ખર્ચમાં રાજકીય પક્ષો દ્ધારા આવેલા ખર્ચ અને સુરક્ષા વ્યવસ્થા પર કરવામાં આવેલા ખર્ચનો સમાવેશ થતો નથી. અહીં એ વાત જાણવી જરૂરી છે કે ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના 1950માં કરવામાં આવી હતી. ચૂંટણી પંચને ચૂંટણી કરાવવાની વિશેષ સત્તાઓ છે જેથી એને ચૂંટણી પંચ પણ કહેવામાં આવે છે.
ચૂંટણી ખર્ચનો સંપૂર્ણ હિસાબ
ભારતમાં લોકસભાની પ્રથમ ચૂંટણી 1951-52માં યોજાઈ હતી. એ સમયે દેશમાં કુલ 17.32 કરોડ નોંધાયેલા મતદારો હતા. લગભગ 6 મહિનામાં સમગ્ર મતદાન પૂર્ણ થયું હતું. મતદાન કરાવવા માટે પંચ દ્વારા કુલ રૂપિયા 10.45 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો એક મતદારની દ્રષ્ટિએ જોવામાં આવે તો, પંચે મતદાન કરવા માટે પ્રતિ મતદાર 6 પૈસા ખર્ચ્યા હતા.
જયારે 1957ની લોકસભા ચૂંટણીમાં 5.9 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ રકમ 1962માં વધીને 7.32 કરોડ રૂપિયા અને 1967માં 10.79 કરોડ રૂપિયા થઈ ગઈ. 1971ની ચૂંટણીમાં પંચે ચૂંટણી કરાવવામાં કુલ રૂપિયા 11.64 કરોડનો ખર્ચ કર્યો હતો. આ ચારેય ચૂંટણીઓમાં ચૂંટણીપંચે મતદાર દીઠ 6 પૈસાથી ઓછો ખર્ચ કર્યો હતો.
એવી જ રીતે 1977માં ઈમરજન્સી બાદ ચૂંટણી થઈ ત્યારે 6 પૈસાનો રેકોર્ડ તૂટી ગયો હતો. અને એક મતદાર પાછળ 7 પૈસા ખર્ચવામાં આવ્યા હતા. 1980માં મધ્યવર્તી ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ 54.57 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ લોકસભા ચૂંટણીમાં મતદાર દીઠ 1.5 રૂપિયા ખર્ચ થયો હતો. 1984માં ખર્ચ વધીને 2 રૂપિયા થઈ ગયો હતો. 1989થી 1999 સુધી દેશમાં 5 લોકસભા ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણી પંચે 1989માં ચૂંટણી કરાવવા માટે 154 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જેમાં મતદાર દીઠ ખર્ચ 3.1 રૂપિયાનો હતો. 1991માં વધીને જે 7 રૂપિયા થઈ ગયો.
1996માં પંચે પ્રતિ મતદાતા 10.1 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. 3 વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં આ રકમ 15.3 રૂપિયા હતી. 2004માં મતદાર દીઠ ખર્ચમાં ઘટાડો થયો હતો. ત્યારની ચૂંટણીમાં એક મતદાર પર માત્ર 15.1 રૂપિયાનો ખર્ચ થયો હતો.
2014માં મતદારોના ખર્ચનો આંકડો 46 રૂપિયાને પાર કરી ગયો હતો. ત્યારે ચૂંટણી પંચે ચૂંટણી કરાવવા માટે કુલ 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. 2019માં પંચે કુલ રૂપિયા 5500 કરોડનો ખર્ચ કર્યો હતો. જો મતદાર દીઠ ખર્ચની ગણતરી કરવામાં આવે તો પંચે આ ચૂંટણીમાં એક મતદાર પર 60 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.મ
મતદારોની સંખ્માં વધારો
1952ની સરખામણીમાં 2019માં મતદારોની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે. 1952માં માત્ર 17 કરોડ મતદારો હતા, જે 2019માં વધીને 91 કરોડ થઈ ગયા. હાલમાં દેશમાં કુલ મતદારોની સંખ્યા 100 કરોડની આસપાસ છે. મતદારોની સંખ્યા સાથે ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો થયો છે. 1952ની ચૂંટણીમાં એક બેઠક માટે સરેરાશ 3-4 ઉમેદવારો હતા, જે 2019માં વધીને 14-15 થઈ ગયા છે. યોગ્ય સીમાંકનના અભાવે દરેક સીટ પર 20 લાખ મતદારો છે. કમિશન પણ એક સાથે આ હાંસલ કરવાના પડકારનો સામનો કરે છે.
વર્ષ
કુલ ખર્ચ
કુલ મતદાર
એક મતદાર પર ખર્ચ
1952
10.45 કરોડ
17.32 કરોડ
0.6 પૈસા
1957
5.9 કરોડ
19.36 કરોડ
0.3 પૈસા
1962
7.32 કરોડ
21.63 કરોડ
0.3 પૈસા
1967
10.79 કરોડ
25.02 કરોડ
0.4 પૈસા
1971
11.64 કરોડ
27.41 કરોડ
0.4 પૈસા
1977
23.03 કરોડ
32.11 કરોડ
0.7 પૈસા
1980
54.57 કરોડ
35.62 કરોડ
1.5 રૂપિયા
1984
81.54 કરોડ
40.03 કરોડ
2.0 રૂપિયા
1989
154 કરોડ
49.89 કરોડ
3.1 રૂપિયા
1991
359 કરોડ
51.15 કરોડ
7.0 રૂપિયા
1996
597 કરોડ
59.25 કરોડ
10.1 રૂપિયા
1998
666 કરોડ
60.58 કરોડ
11.0 રૂપિયા
1999
947 કરોડ
61.95 કરોડ
15.3 રૂપિયા
2004
1016 કરોડ
67.14 કરોડ
15.1 રૂપિયા
2009
1114 કરોડ
71.69 કરોડ
15.5 રૂપિયા
2014
3870 કરોડ
83.41 કરોડ
46.4 રૂપિયા
2019
5500 કરોડ
91.00 કરોડ
60 રૂપિયા
ચૂંટણી પંચનો સૌથી મોટો ખર્ચ મતદારોને જાગૃત કરવા પર છે. મતદારોને જાગૃત કરવા કમિશન આઉટડોર ઝુંબેશ ચલાવે છે. આ માટે છાપાઓ, ટીવી અને અન્ય ઘણા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. નોંધનીય બાબત એ છે કે 1952ની ચૂંટણીમાં લગભગ 44 ટકા વોટ પડ્યા હતા, જે 2019માં વધીને 67 ટકા થઈ ગયા. પંચનો પ્રયાસ આ વખતે વોટ ટકાવારી 80ની આસપાસ પહોંચવાનો છે. હવે જોવુ એ રહ્યું કે આ વખતે ચૂંટણીપંચને એક મતદારનો ખર્ચ કેટલો થાય છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ જશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 26 લોકસભા તથા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 05 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આગામી તા.19 એપ્રિલ, 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરના 03 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20 એપ્રિલ, 2024ના રોજ સવારે 11 કલાકે હાથ ધરાશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તા.22 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 03 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.
વોટર્સ
મતદારયાદીમાં નોંધાયેલા 85 વર્ષથી વધુ વય ધરાવતા કુલ 4.19 લાખ કરતાં વધુ વરિષ્ઠ મતદારો તથા 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 3.75 લાખ કરતાં વધુ દિવ્યાંગ મતદારો; જો તેઓ ઈચ્છે તો પોતાના ઘરેથી મતદાન કરી શકે તે માટે તેઓને નિયત ફોર્મ-12D વિતરણ કરવાની અને ભરેલા ફોર્મ પરત મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી 12 જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે રાજ્ય તથા જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી પોસ્ટલ બેલેટથી મતદાનની પદ્ધતિની સમજણ આપવામાં આવી છે. તેઓને આ માટેના નિયત ફોર્મ-12D પહોંચાડવાની કામગીરી હાલ ચાલુ છે.
લોકસભાની ચૂંટણી માટેનું સત્તાવાર નોટિફિકેશનની જાહેરાત સાથે જ સુરતમાં ઉમેદવારી પત્ર મેળવી અને ભરીને પરત કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. શુક્રવારે પહેલા દિવસે સુરત લોકસભા મત વિસ્તાર માટે ચૂંટણી લડવા માટે કુલ 21 ઉમેદવારો 43 લોકો કોરા ઉમેદવારીપત્રો સુરત કલેક્ટરેટમાંથી લઇ ગયા હતા. અલબત્ત, પહેલો દિવસ હોવાથી આજે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું ન હતું.
આમ તો જાહેરનામુ પ્રસિદ્ધ થાય તે પહેલાં જ સુરત જિલ્લા ચૂંટણી તંત્રએ મોડલ કોડ ઓફ કન્ડક્ટ (ચૂંટણીની આદર્શ આચારસંહિતા)નો અમલ તેમજ રોકડ રકમની લેવડ દેવડ ઉપર નજર રાખવા સ્ટેટીક સ્ક્વોડની કામગીરી શરૂ કરી દીધી હતી. મતદાન વધુ કેવી રીતે થાય તે માટેના પ્રયાસો પણ હાથ ધર્યા હતાં. જોકે, શુક્રવારે રાજ્ય ચૂંટણી પંચની સાથે તમામ જિલ્લા કલેક્ટર દ્વારા લોકસભાની ચૂંટણીનું સત્તાવાર નોટિફિકેશન દરેક લોકસભા બેઠકો માટે અલગથી જાહેર કર્યુ હતું. નોટિફિકેશનની સાથે જ આજે સુરતમાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા સનદી અધિકારીઓએ પણ પહેલી બેઠક યોજી હતી. આદર્શ આચારસંહિતાનો અમલ, ઉમેદવારો દ્વારા થતાં ખર્ચના હિસાબોની ચકાસણી સહિતના મુદ્દાઓની વ્યવસ્થાનું અવલોકન કર્યુ હતું.
દરેક જિલ્લા ચૂંટણી તંત્રને વીડિયો સર્વેલન્સ ટીમ બનાવવાની સૂચના છે. આ ટીમ દરેક રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા યોજાનારી પોલિટીકલ ઇવેન્ટ પર દેખરેખ રાખશે. પોસ્ટર, બેનરથી માંડીને વાહનના પુરાવા, તેનો બનાવટ અને નોંધણી નંબર, ફર્નિચરની સંખ્યા, રોસ્ટ્રમનું કદ, બેનર અને કટ-આઉટ વગેરે સ્પષ્ટપણે જોઈ શકાય તે રીતે શુટિંગ કરાશે. સંવેદનશીલ મતક્ષેત્રોમાં રાજ્યની બહારના ડીઆઈજી સ્તરના અધિકારીઓની રેન્કથી નીચે ન હોય તેવા પોલીસ નિરીક્ષકને અન્ય બાબતોની સાથે-સાથે ફ્લાઈંગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમોની કામગીરીની ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર કે સભા સરઘસ પર દેખરેખ માટે તૈનાત કરવામાં આવશે.
દરેક જિલ્લામાં મીડિયા સર્ટિફિકેટ અને મોનિટરિંગ કમિટી હશે. સુરત જિલ્લા લોકસભા મત વિસ્તાર માટે આ કમિટીનું કેન્દ્ર બહુમાળી ભવન ખાતે છે. જ્યાં 50થી વધારે ચૂંટણી સ્ટાફ વિવિધ ચેનલો અને સમાચાર પત્રનું અવલોકન કરી જરૂર જણાય પેઇડ ન્યુઝ બાબતેનું રેકોર્ડિંગ કરી સંબંધિત કમિટીને સ્ક્રૂટની માટે મોકલી આપશે. જિલ્લા ચૂંટણી અધિકારી, પોલીસ તંત્રના અહેવાલ સાથએ કારણોનો અભ્યાસ કરી કેન્દ્રીય ચૂંટણીપંચ અને રાજ્ય ચૂંટણી પંચને રિપોર્ટ કરાશે.
રાજકોટઃ દેશભર સહિત રાજ્યમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. તમામ પક્ષો તરફથી આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ભાજપની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. થોડા સમય પહેલાં પરશોત્તમ રૂપાલા જે ભાજપના રાજકોટ બેઠક ઉમેદવાર છે. તેમને ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્યનાં કેટલાંક શહેરો અને ગામડાઓમાં ભાજપના કાર્યકર્તા અને ઉમેદવારો પર પ્રવેશ બંધના પોસ્ટર લગાડવામાં આવ્યાં છે. ત્યારે આજે ફરી એક વાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશબંધીના પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં. પોસ્ટર લાગતાની સાથે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ શાંતિ પૂર્ણ વિરોધ ઉગ્ર ન બને તે માટે પહોંચેલી પોલીસ પર ભાજપના ગુલામ હોવાનો સ્થાનિક વિરોધ પ્રદર્શન કરતા ક્ષત્રિય સમાજે આરોપ પણ લગાવ્યો.
રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી થયેલા વિવાદને 20 દિવસ જેટલો સમય વીતવા છતાં હજુ આ વિવાદ શાંત થયો નથી. આ વિવાદ વચ્ચે રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. સભા સંબોધી રહ્યા છે અને ક્ષત્રિય મહિલાઓ અને પુરુષો આક્રમક વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે રૂપાલાએ શાયરી બોલીને આડકતરી રીતે તેમના વિરોધીઓને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો કે તેમને કોઈ નહી હલાવી શકે. તો આ વાતને લઈને રાજપૂતો પણ બરાબરના અકળાયા છે. રાજપૂત સમાજની સંકલન સમિતિએ કહ્યુ કે થોડી શરમ કરો. ટિકિટ પરત આપવાની જગ્યાએ શાયરીઓ કરી રહ્યા છો ?
રૂપાલાએ રાજકોટમાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી રોડ શોની શરૂઆત કરી હતી. આ રોડ શો પહેલા તેમનું સ્વાગત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે રોડ-શો દરમિયાન સાસંદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબહેન શાહ અને પ્રદેશધ્યક્ષ ભરત મોગરા પણ હાજર હતા. ક્ષત્રિય સમાજના અભિવાદન ઝીલતા રૂપાલાને જોઈ ભાજપમાં ક્યાંક ને ક્યાંક હાશકારો જોવા મળ્યો. હવે જોવાનું એ રહે છે કે ભાજપ આ વિવાદનો સંપૂર્ણ પણે અંત લાવી ફરીથી ક્ષત્રિય સમાજની વોટ બેન્ક પોતાના તરફ ખેંચી શકશે કે કેમ?
પાણી વિના વલખા મારતા લોકોને જોયા પછી પણ પાણીનો બગાડ કરવાની ઈચ્છા થાય એને પણ માનવ મન કહેવાય. “ મારે શું?” ની ભાવના પ્રબળ હોય ત્યારે માત્ર પોતાનો જ વિચાર આવે. ગુલામી આ રીતે જ આવી હતી ને? દરેકને કોઈ સમસ્યા પોતાના સુધી ન આવે ત્યાં સુધી એની ચિંતા ન થાય એ ભાવના સાચે જ ઘાતક ગણાય. પણ માણસ અન્યની ભૂલ માંથી ક્યાં શીખે છે? અરે, ક્યારેક તો એ પોતાની ભૂલ માંથી પણ નથી શીખતો. હોળી રમવી એ આનંદનો વિષય છે. પણ રેઇન ડાન્સ કરીને લાખો લીટર પાણી રસ્તા પર ઢોળી દેવું એ મનોરંજન માત્ર છે. જેની સામે આપણા શાસ્ત્રો લખાયા ત્યારે અઢળક પાણી હોવા છતા એમાં પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જો કે શાસ્ત્રોને સમજવામાં રસ કેટલા ને છે?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ આપના ઘરના વાસ્તુને લઈને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: શું બે ખોટા થી એક સાચું થાય? કોઈ એક વ્યક્તિ પાણીનો વેડફાટ કરે તો એ કરવાનો અધિકાર અન્યને મળે એવું કહેવાય? ભારતમાં ઘણી જગ્યાએ પાણીનો બગાડ થઇ રહ્યો છે. એની સામે મોજશોખના નામે પાણીનો વેડફાટ થાય છે. શું આ અંગે સજાગતા જરૂરી નથી? વાસ્તુશાસ્ત્રના નિયમો આ અંગે શું કહે છે?
જવાબ: બહેન શ્રી. પશ્ચિમના વિચારોની ગુલામી માણસને ક્યાં લઇ જશે એ સમજવું અઘરું છે. કોઈ રસ્તા પણ તરફડતું હોય તો પણ અન્ય લોકોને વિડીયો વાયરલ કરવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારધારા માટે ચોક્કસ ચિંતા થાય. પણ આ સડો મૂળને અડવા જઈ રહ્યો છે. જે દયનીય સ્થિતિ છે. ટોળું જે તરફ જાય એ જ સત્ય. અને ભૌતિકતાના આવરણો હેઠળ દબાયેલા લોકો વધતા જાય એ પણ સારી નિશાની નથી. મને આનંદ છે કે આપને શાસ્ત્રોમાં રસ છે. વાસ્તુશાસ્ત્રમાં પાણીના બગાડને લક્ષ્મી સાથે જોડવામાં આવ્યો છે. જો ઘરમાં પાણી લીક થતું હોય તો જાવકનું પ્રમાણ વધે. પાણીનો વેડફાટ દરિદ્ર બનાવી શકે. પાણી જો ખોટી જગ્યાએ અને ખોટી સ્થિતિમાં હોય તો તે આર્થિક, શારીરિક કે માનસિક નુકશાન પહોંચાડી શકે.
સવાલ: મારી સોસાયટીમાં નવી કમિટી આવ્યા પછી અમે ખુબ તકલીફમાં છીએ. મારી ઉમર ૭૪ વરસ છે. ક્યારેક નીચે બગીચામાં જાઉં. એક વાર બગીચાની ખુરસી કોઈ ઓફિસમાં લઇ ગયું હતું. મેં ગાર્ડ પાસે માંગી તો એણે પંદર ફૂટ સુધી ખુરસી લાવવાના 300 રૂપિયા માંગ્યા. એક કમિટી મેમ્બરના રીલેટીવ આવું કરાવે છે. જયારે હોય ત્યારે એ પૈસા જ માંગતો હોય. હવે તો ચાર રસ્તા પર પેલા લોકો પાછળ પડી જાય એવું એને જોઇને લાગે છે. આખો દિવસ એના ઘરના લોકો સોસાયટી ઓફિસમાં એસી ચાલુ કરીને પડ્યા રહે. એના મમ્મી તો ત્યાં સોફા પર સુઈ પણ જાય. મારી ઉમર થઇ. એકલા કેટલું સાચવીએ? અને બાકીના લોકો એના ત્રાસથી દબાઈ ગયા છે. એ સતત પોલીટીકલ માણસોના નામ આપે છે અને કમિશ્નરની ધમકી આપે છે. મેં ઓફિસનો દુરુપયોગ ન કરવા કહ્યું તો મને તો જેલમાં પુરાવી દેવાનું પણ કહ્યું. અમારી સોસાયટીની એન્ટ્રી ત્રાંસી છે. શું એના લીધે આવું થાય?
જવાબ: એન્ટ્રી ઉપરાંત અન્ય બાબતો નકારાત્મક હોય તો આવું ચોક્કસ થાય. માત્ર એન્ટ્રીને દોષ ન આપી શકાય. તમે જેટલા ડરશો એટલું એ વધારે રંજાડશે. હિંમત રાખો. કારણ વિના પૈસા ન જ આપો. જરૂર પડે તો ફરિયાદ પણ કરો. સોસાયટી કમિશ્નર કોઈના ઈશારા પણ કામ ન કરે. કોઈ પોલીટીકલ માણસ આવા લોકો માટે પોતાની આબરૂ ઓછી ન કરે. કોઈ સાથ આપે કે ન આપે, તમે ગભરાવ નહિ. ઘરમાં મહામૃત્યુંન્જય મંત્રના જાપ કરો. એ શક્તિ પ્રદાન કરશે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે મોદી સરકારના બધા મંત્રીઓ અને વિપક્ષના નેતાઓ હેલિકોપ્ટરનો ઉપયોગ ચૂંટણીપ્રચારમાં કરી રહ્યા છે. જેથી 81 દિવસના શિડ્યુલ 19 એપ્રિલથી પહેલી જૂન) સુધીમાં ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરની માગમાં જે વધારો થયો છે, એ આ પહેલાં ક્યારેય નહોતો જોવા મળ્યો. રાજકીય નેતાઓની હેલિકોપ્ટરની માગમાં 15થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે.
દેશમા આશરે 200 હેલિકોપ્ટર છે. સરકારી અને અર્ધસરકારી વિભાગોને છોડી દઈએ તો ખાનગી ક્ષેત્રની પાસે આશરે 160 હેલિકોપ્ટર છે, જેમાંથી 100નો ઉપયોગ ચૂંટણીપ્રચાર માટે વિવિધ પક્ષોના નેતાઓ અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે.ચૂંટણી દરમ્યાન હેલિકોપ્ટરનું ભાડું આશરે રૂ. પાંચ લાખ પ્રતિ કલાક પહોંચી જાય છે. સામાન્ય રીતે પ્રતિ કલાકનું હેલિકોપ્ટરનું ભાડું રૂ. 1.5-25 લાખ હોય છે. સામાન્ય રીતે હેલિકોપ્ટર મહિને 275થી 300 કલાક ઉપયોગમાં લેવાતું હોય છે, પણ હાલ એપ્રિલ, મે મહિનામાં ચૂંટણીને કારણે 450 કલાકની ઉડાન ભરે છે, એમ ક્લબ વન એરના CEO રાજન મહેરાએ જણાવ્યું હતું.
લોકસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ હજી બધી સીટો પર ઉમેદવારોની જાહેરાત નથી કરી, તેમ છતાં એડવાન્સમાં જ તમામ ચાર્ટર્ડ પ્લેન અને ચોપરનાં બુકિંગ ફુલ થઈ ચૂક્યાં છે.લોકસભા ચૂંટણી દરમ્યાન ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા પર ચૂંટણી પંચ પણ સતર્ક છે. ચૂંટણી પંચે તમામ એરપોર્ટ, એરલાઇન્સ અને એવિયેશન સેક્ટર સંબંધિત વિભાગોને દિશા-નિર્દેશ આપ્યા છે, જેનો હેતુ આ માધ્યમથી પૈસાના આદાનપ્રદાન સહિત અન્ય પ્રકારના દુરુપયોગને અટકાવવાનો છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,393 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,573 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,333 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 91 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 589 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,547 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 28 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.