Home Blog Page 1868

જો બિડેનને વિદેશ મંત્રી જયશંકરે બતાવ્યો અરીસો

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે યુએસ પ્રમુખ જો બિડેનના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે ભારત અને જાપાનને ‘ઝેનોફોબિક’ દેશો કહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે એક મુલાકાત દરમિયાન કહ્યું કે ભારતીય સમાજ હંમેશા અન્ય સમાજના લોકો માટે “ખુલ્લો” રહ્યો છે. કેન્દ્ર સરકારનો નાગરિકતા સુધારો કાયદો (CAA) મુશ્કેલીમાં રહેલા લોકો માટે દરવાજા ખોલે છે. એક અહેવાલ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતની તુલના રશિયા અને ચીન જેવા દેશો સાથે કરી અને તેને ‘ઝેનોફોબિક’ દેશ ગણાવ્યો. ઝેનોફોબિક એટલે એવા દેશો કે જેઓ તેમના દેશમાં ઇમિગ્રન્ટ્સને બિલકુલ ઇચ્છતા નથી અથવા તેમની સામે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે.

જાણો CAA પર જો બિડેને શું કહ્યું?

બુધવારે સાંજે એક કાર્યક્રમમાં એશિયન-અમેરિકન લોકો સાથે વાત કરતી વખતે યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું હતું કે અમે ઇમિગ્રન્ટ્સનું સ્વાગત કરીએ છીએ. આશ્ચર્ય થાય છે કે ચીન આર્થિક રીતે આટલું ખરાબ કેમ અટવાયું છે? જાપાન શા માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે? રશિયા શા માટે મુશ્કેલીમાં છે? ભારત શા માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે? કારણ કે તેઓ ઝેનોફોબિક છે. તેઓ ઇમિગ્રન્ટ્સ ઇચ્છતા નથી.

 

જયશંકરે CAAનો વિરોધ કરનારાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી

જયશંકરે ભારતના નવા નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે કેવી રીતે ભારત લોકોનું સ્વાગત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે ભારતમાં CAA કાયદો છે જે મુશ્કેલીમાં રહેલા લોકોને ભારતીય નાગરિકતા આપવાનું કામ કરે છે. એસ જયશંકરે કહ્યું કે જેને આવવાની જરૂર છે અને આવવાનો અધિકાર છે તેને આવકારવા આપણે તૈયાર રહેવું જોઈએ. વિદેશ મંત્રી એસ જયશંકરે CAAનો વિરોધ કરનારાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે એવા લોકો છે જેમણે જાહેરમાં કહ્યું છે કે CAAને કારણે ભારતમાં 10 લાખ મુસ્લિમો તેમની નાગરિકતા ગુમાવશે.

પશ્ચિમી મીડિયાનો એક ભાગ ભારતને નિશાન બનાવે છેઃ જયશંકર

એસ જયશંકરે ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે આ દાવાઓ છતાં ભારતમાં કોઈએ તેમની નાગરિકતા ગુમાવી નથી. તેમણે કહ્યું કે પશ્ચિમી મીડિયાનો એક ભાગ વૈશ્વિક કથાને પોતાની રીતે ચલાવવા માંગે છે અને આ ક્રમમાં તે ભારતને નિશાન બનાવે છે. તેમણે કહ્યું કે આ એવા લોકો છે જેઓ માને છે કે તેમણે કથાને નિયંત્રિત કરવી જોઈએ.

પ્રિન્સિપાલે શિક્ષિકાની મોડા આવવા બદલ મારપીટ કરી, વિડિયો વાઇરલ

આગરાઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓની ભૂલ પર સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડતા હોય છે, એ સામાન્ય બાબત છે, પણ મોડા આવવા બદલ સ્કૂલના પ્રિન્સિપાલ ટીચરને મારે એ નવી ઘટના છે.  ઉત્તર પ્રદેશની એક સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા અન્ય ટીચરને પીટવાનો એક વિડિયો સામે આવ્યો છે. હાલમાં જ UPની એક સ્કૂલમાં પ્રિન્સિપાલે ફેશિયલ કરતાં પકડી હતી, જે પછી તેણે વિડિયો બનાવતાં શિક્ષિકાને બચકું ભરી લીધું હતું.

આ ઘટનાના કેટલાંક સપ્તાહ પછી હવે એક અન્ય સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલમાં મોડા આવવા બદલ શિક્ષિકાની મારપીટ કરી હતી, જેનો વિડિયો અન્ય એક શિક્ષિકાએ ઉતારી લીધો હતો. આ વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ ગયો હતો. આ કેસ આગરાનો છે.

આગરાના સીગના ગામની એક માધ્યમિક સ્કૂલની પ્રિન્સિપાલે શિક્ષિકા ગુંજન ચૌધરીની સાથે મારપીટ કરવાનો વિડિયો સામે આવ્યો છે. એના પર મારપીટ દરમ્યાન કપડાં ફાડવાના પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. એ દરમ્યાન પ્રિન્સિપાલે એ પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કર્યો કે શિક્ષિકે તેમને પકડ્યા છે. પ્રિન્સિપાલના ડ્રાઇવરે પહેલાં બને જણને અલગ કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ત્યાર બાદ તે પણ શિક્ષિકાની સાથે મારપીટ કરતા નજરે ચઢ્યા હતા.

એક મહિલા શિક્ષિકાએ આ ઘટનાને ફોનના કેમરામાં કેદ કરી લીધી હતી. આ વિડિયો દરમ્યાન શિક્ષિકાને ઇજા પણ થઈ હતી.

 

 

 

 

 

 

 

બંગાળના રાજ્યપાલ પર મહિલાઓની છેડતીનો આરોપ

હવે કોલકાતા પોલીસે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ સામે મહિલાની છેડતીના આરોપના કેસમાં તપાસ ટીમની રચના કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં સાક્ષીઓ સાથે ઇન્ટરવ્યુ શરૂ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે તપાસકર્તાઓએ પહેલાથી જ રાજભવનના સીસીટીવી ફૂટેજ શેર કરવાની વિનંતી કરી છે. સમાચાર એજન્સી અનુસાર અધિકારીએ કહ્યું, અમે એક તપાસ ટીમ બનાવી છે જે આગામી થોડા દિવસોમાં આ કેસમાં કેટલાક સંભવિત સાક્ષીઓ સાથે વાત કરશે. અમે વિનંતી કરી છે કે CCTV ફૂટેજ જ્યારે ઉપલબ્ધ થાય ત્યારે શેર કરે. 3 મેના રોજ, રાજભવનની એક કોન્ટ્રાક્ટવાળી મહિલા કર્મચારીએ કોલકાતા પોલીસમાં બંગાળના રાજ્યપાલ પર રાજભવનમાં જાતીય સતામણીનો આરોપ લગાવતી લેખિત ફરિયાદ નોંધાવી હતી.

રાજભવન દ્વારા પણ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું

બંધારણના અનુચ્છેદ 361 હેઠળ, રાજ્યપાલ વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકાતી નથી. રાજભવને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આનંદ બોઝે ચૂંટણી દરમિયાન રાજકીય આકાઓને ખુશ કરવા માટે અનધિકૃત, ગેરકાયદેસર, બનાવટી અને પ્રેરિત તપાસ ચલાવવાની આડમાં રાજભવનમાં પોલીસ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. રાજભવને આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આ રાજ્યપાલને બદનામ કરવાનું ષડયંત્ર છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ દાવો કર્યો હતો કે રાજ્યપાલ બોઝ પર રાજભવનમાં કામ કરતી એક મહિલા દ્વારા છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે અને બોઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે. રાજભવને આ આરોપોને નકારી કાઢ્યા છે.

ગવર્નર બોઝે કહ્યું કે તેઓ ‘બનાવટના આરોપો’થી ડરશે નહીં અને ‘સત્યનો વિજય થશે’. એક નિવેદનમાં તેમણે કહ્યું, ‘સત્યનો વિજય થશે. હું બનાવટી વાર્તાઓથી ડરતો નથી. જો કોઈ મને બદનામ કરીને ચૂંટણીમાં ફાયદો મેળવવા ઈચ્છે છે તો ભગવાન તેમનું ભલું કરે પરંતુ તેઓ બંગાળમાં ભ્રષ્ટાચાર અને હિંસા સામેની મારી લડાઈને રોકી શકતા નથી.

રાજભવન તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘બે અસંતુષ્ટ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલા કેટલાક અનાદરપૂર્ણ કૃત્યોને પગલે, રાજભવનના સ્ટાફે તેમની (રાજ્યપાલ) સાથે એકતા વ્યક્ત કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમને ફરિયાદ મળી છે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે.

‘શહેજાદા’ શબ્દને લઈ PM પર વરસ્યા પ્રિયંકા ગાંધી

લોકસભા ચૂંટણીને 3 દિવસ બાકી છે. તારીખ 5 એપ્રિલના રોજ આચાર સહિંતાને લઈ પ્રચાર-પ્રસાર પર રોક લગાવવામાં આવશે. ત્યારે છેલ્લી ઘડીના પ્રચાર માટે પ્રિયંકા ગાંધી ગુજરાતની ધરા પર આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. જ્યાં તેમણે જંગ જન સભાને સંબોધન કર્યું હતું.

પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધતાં કહ્યું કે ભાજપે તેના 10 વર્ષના શાસનમાં લોકોના અધિકારો ઘટાડી દીધા છે. લોકો હવે ભાજપ સરકારથી કંટાળી ગયા છે. મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. ખેડૂતો પણ તકલીફ વેઠી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું ‘તમને બંધારણમાંથી અધિકારો મળે છે. જ્યારે ભાજપના લોકો કહે છે કે બંધારણ બદલાશે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તેઓ લોકો પાસેથી તેમના અધિકારો છીનવી લેવા માગે છે.’ વેક્સિનની આડઅસર પર તેમણે કહ્યું ‘વેક્સિનની આડઅસરથી અનેક લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર શહેનશાહનો ફોટો હતો. આ વેક્સિન બનાવતી કંપની પાસેથી ભાજપે ફંડ લીધુ છે.’

શહાજાદા શબ્દ પર વળતો પ્રહાર

PM મોદી મારા ભાઈને શહેજાદા કહે છે. હું કહેવા માંગુ છું કે મારા ભાઈ 4,000 કિ.મી. પગપાળા ચાલીને દેશના લોકોની સમસ્યા જાણી છે? શહેનશાહ નરેન્દ્ર મોદીજી મહેલોમાં રહે છે. તે ખેડૂતો અને મહિલાઓની લાચારી કેવી રીતે સમજી શકશે? નરેન્દ્ર મોદી સત્તાથી ઘેરાયેલા છે. આસપાસના લોકો તેમનાથી ડરે છે. તેમને કોઈ કશું કહેતું નથી. જો કોઈ પોતાનો અવાજ ઉઠાવે તો પણ તે અવાજ દબાવી દેવામાં આવે છે.

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર તાક્યું નિશાન 

ભેંસના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ PM મોદી લીધા આડેહાથ “દેશના વડાપ્રધાનને આવી વાતો નથી શોભતી. કોંગ્રેસ પર ભેંસ છીનવી લેવાનો આરોપ મૂકો છો. આ જુઠ્ઠાણું છે. તમે બતાવો કે છેલ્લાં 55 વર્ષોમાં અમે કોની ભેંસ છીનવી લીધી. પીએમ મોદી 10 વર્ષ શાસનમાં રહ્યા પણ અમારું જીવનધોરણ ન સુધર્યું.

રૂપાલા વિવાદ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા

રૂપાલા વિવાદ અને ક્ષત્રિયોના રોષ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ‘રાજપૂત સમાજની મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીએ સાંભળી તમારી વાત? એ ઉમેદવારને કેમ ન હટાવ્યા? હું બહેનોને વાયદો કરું છું કે અમને મોકો મળ્યો તો અમે મહિલાઓનું આવું અપમાન થવા દઇશું નહીં.’

 

બારડોલી: બળિયો કોણ?

બારડોલી: આઝાદી પહેલાં વર્ષ 1928માં થયેલા બારડોલી સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. જેની સફળતાને પગલે વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં અને દેશના સરદાર તરીકે ઓળખાયા. આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે છતાં અહીં જનરલ અને બક્ષીપંચ મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 2008ના સીમાંકન બાદ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી બે ટર્મથી બારડોલી બેઠક ભાજપ પાસે છે. વર્ષો સુધી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વવાળી રહી છે. સુરત અને તાપી જિલ્લામાં વહેંચાયેલી બેઠક છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. ગુજરાત લોકસભા ચૂંટણી 2024માં સૌથી ઓછાં ઉમેદવાર આ બેઠક પરથી ત્રણ નોંધાયા છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રેખા ચૌધરીનો સમાવેશ થાય છે.ઉમેદવાર

ભાજપ – પ્રભુ વસાવા

પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં. આદિવાસી અનામત બેઠક પર પ્રભુ વસાવાએ 2014 અને 2019માં તુષાર ચૌધરીને માત આપી હતી. સહકારી આગેવાન સાથે સંગઠન ક્ષેત્રે પણ સારી કામગીરી કરી છે.

કોંગ્રેસ – સિદ્ધાર્થ ચૌધરી

સિદ્ધાર્થ ચૌધરી પૂર્વ સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ઝેડ. ચૌધરીના પુત્ર છે. સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચહેરો અને નિર્વિવાદીત છબી ધરાવે છે. વ્યારાના પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા છે. સહકારી ક્ષેત્રે સક્રિય છે. તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે હાલ કાર્યરત છે. તેમના પિતા અમરસિંહ ઝેડ. ચૌધરીએ વ્યારા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ બી. ચૌધરીને હરાવ્યા હતા. 2021થી તાપી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે કાર્ય કરી રહ્યા છે. B.E. મિકેનિકલ અને M.B.A.નો અભ્યાસ કર્યો છે.

PROFILE

  • બારડોલી લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં બારડોલી, માંગરોળ(ST), વ્યારા(ST), માંડવી(ST), નિઝર(ST), મહુવા(ST) અને કામરેજનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રભુ વસાવા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,15,447 વોટની લીડથી જીત્યા હતા.

 

મતદારોની સંખ્યા

કુલ મતદાતા – 20,30,830

પુરુષ મતદાતા – 10,32,104

મહિલા મતદાતા – 9,98,705

વિધાનસભા બેઠકોની સ્થિતિ

બેઠક ઉમેદવાર પક્ષ વોટ લીડ
બારડોલી ઈશ્વર પરમાર ભાજપ 1,18,527 89,948
માંગરોળ(ST) ગણપત વસાવા ભાજપ 93,669 51,423
વ્યારા(ST) મોહન કોંકણી ભાજપ 69,633 22,120
માંડવી(ST) કુંવરજી હળપતિ ભાજપ 74,502 18,109
નિઝર(ST) જયરામ ગામીત ભાજપ 97,461 23,160
મહુવા(ST) મોહન ધોડિયા ભાજપ 81,383 31,508
કામરેજ પ્રફુલ્લ પાનસેરિયા ભાજપ 1,85,585 74,697

બારડોલી બેઠકની વિશેષતા

  • આ બેઠક પહેલાં માંડવી બેઠક તરીકે ઓળખાતી હતી.
  • માંડવી બેઠક પરથી કોંગ્રેસના છીતુભાઈ ગામીત સાત વખત જીત્યા છે
  • 2008માં નવા સીમાંકન બાદ બારડોલી બેઠક અમલમાં આવી
  • 2009માં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની જીત થઈ હતી.
  • આ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપના ફાળે છે.

ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવાયો

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ દૂર કર્યા છે, પરંતુ એ સાથે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (MEP) 550 ડોલર પ્રતિ ટન નક્કી કરી છે. DGFTએ એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે ડુંગળીની નિકાસ નીતિને સંશોધિત કરીને તત્કાળ અસરથી અને આગામી આદેશ સુધી પ્રતિ ટન 550 ડોલરની MEP હેઠળ પ્રતિબંધથી મુક્ત કરવામાં આવી છે. સરકારે ગઈ કાલે રાત્રે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવી હતી.

સરકારે આઠ ડિસેમ્બર, 2023એ આ વર્ષની 31 માર્ચ સુધી ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. માર્ચમાં નિકાસ પ્રતિબંધને આગામી આદેશ સુધી વધારી દેવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલયે માર્ચમાં ડુંગળીનું ઉત્પાદન ગયા વર્ષના આશરે 302.08 લાખ ટનની તુલનામાં આશરે 254.73 લાખ ટન થવાની અપેક્ષા છે.

ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્માટકમાં 9.95 લાખ ટન, આંધ્ર પ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટન ઉત્પાદન ઘટ્યું છે. મહારાષ્ટ્રના ખેડૂતોએ નિકાસ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ ગયા મહિને મોદી સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને કારણે મહારાષ્ટ્રના ખેડૂતોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

 

 

 

 

 

 

લોકશાહીનો મહાપર્વ, આપણો મત આપણી જવાબદારી

લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મહાપર્વને ખાસ બનાવવા દરેક લોકો ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. સરકાર સહિત ખાનગી કંપની અને ગ્રુપ પણ મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. જ્યાં અલગ અલગ રીતે લોકોને મતદાન માટે પ્રેરણા આપવામાં આવે છે.

આ લોકસભા ચૂંટણીમાં પણ લોકો વધુને વધુ મતદાન કરે તેને લઈ ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મૉલમાં દશ મિનિટ દેશ માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી બનાવવામાં આવી છે. 15/12 ફૂટની રંગોળી દ્વારા મૉલમાં આવનાર તમામ લોકો મતદાન માટે જાગૃત થાય તેવો પ્રયાસ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે.

તો બીજી બાજુ અમદાવાદમાં આવેલી ITC નર્મદા હોટલએ લોકસભા ચૂંટણીમાં સારું મતદાન થાય તે માટે મતદારોને પ્રોત્સાહન આપવા ‘પાવર ઑફ યોર વૉટ’ નામની પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે.  આ પહેલ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય મતદારોને એક્સક્લુસિવ ડિસ્કાઉન્ટ્સ આપીને મતદાનની પ્રક્રિયામાં લોકોની સહભાગીદારીને વધારવાનો છે. ITC નર્મદાના ઑલ-ડે ડાઇનર રેસ્ટોરન્ટ અડાલજ પેવેલિયન ખાતે લન્ચ અને ડિનર બુફે પર આકર્ષક ડિસ્કાઉન્ટ્સ ઓફર કર્યું છે. મતદારો પોતાની શાહી લગાડેલી આંગળી દેખાડશે, તેમને લન્ચ બૂફે પર 50%નું ડિસ્કાઉન્ટ અને ડિનર બૂફે પર 25%નું ડિસ્કાઉન્ટ મળશે.

અમદાવાદમાં પાછલા ત્રણ વર્ષથી ચાલી રહેલા યો વુમનિયા કિટી ગ્રુપમાં મતદાન જાગૃતિમાં ઊર્વિ સોની અને સોનલ સોની દ્વારા મતદાન ઉત્સવની ઉજવણી કરાવવામાં આવી રહી છે. જ્યારે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સોનલ સોનીએ કહ્યું કે અમે પાછલા ઘણા સમયથી અલગ-અલગ એક્ટિવિટીસ કરીએ છીએ. જ્યારે મતદાનની વાત આવી ત્યારે ગ્રુપમાં થોડી નિરસતાનો ભાવ છવાયો હતો. જેની કરીને અમે મતદાન ઉત્સવા ઉજવણી કરવાનો નિર્ણય કર્યો અને મતદાન મહિનાના એક વોટ કેટલો કિમતી છે તેના ઉદાહરણ સાથે મતદા માટે પ્રેરણા પુર પાડી.

જ્યારે અમદાવાના વટવામાં ગુરુકૃપા યોગ કેન્દ્ર ચલાવતા કોમલ બહેન પટેલ પણ પોતાના યોગ કેન્દ્ર દ્વારા યોગ માટે આવેલા તમામ મહિલા, યુવાનો અને વૃદ્ધોને મતદાન માટે પ્રોત્સાહિત કરે છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે “હું પહેલા મતદાન પછી જળપાનના ટેગ સાથે લોકમાં મતદાન જાગૃતી માટે અભિયાન ચલાવી રહી છું. જેથી કરી વધુથી વધુ લોકો લોકશાહિના મહા પર્વની ઉજવણી સહભાગી બને. આ ઉપરાંત અમારું ગ્રુપ શહેરના અલગ અલગ વિસ્તારમાં મતદાન માટે લોકોને સમજાવે છે. તેમના મતદાનને લઈ પ્રશ્નોનું સમાધાન આપી મતદાન કરવા માટે પ્રેરણા આપે છે”.

રાષ્ટ્રીય દિવ્યાંગજન અને વિકાસ નિગમ અને અંધજન મંડળ, વસ્ત્રાપુરના સંયુક્ત ઉપક્રમે અંધજન મંડળ, વસ્ત્રાપુર,અમદાવાદ ખાતે દિવ્યાંગ મતદાન ચેતના વિકાસ અભિયાન 2024નું આયોજન કરાયું હતું. બહુ મોટી સંખ્યામાં નાગરિકોએ મતદાન સંકલ્પ અંગે પ્રતિજ્ઞા લીધી.અમદાવાદ શહેરની દિવ્યાંગજનો ના ક્ષેત્રે કાર્યરત અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ મતદાન જાગૃતિ અંગેના અભિયાનમાં જોડાઈ સમાજને સંદેશ પાઠવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને ચૂંટણી પંચ ના સહયોગથી અમદાવાદ શહેર ખાતે મતદાનજાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓમાંથી બહુ વિશાળ સંખ્યામાં આચાર્ય મિત્રો ,શિક્ષકો અને સંચાલક મિત્રો પણ જોડાયા.

આ કાર્યક્રમો યોજવા સાથે કેટલીક સંસ્થાઓ જાહેર સસ્તા પર બેનર લગાડી લોકોને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે પ્રેરણા આપી રહ્યા છે. ભારત વિકાસ પરિષદ દ્વારા અલગ-અલગ બસ સ્ટોપ પર બેનર લગાડવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના મોટા-મોટા ક્લબો દ્વારા પણ આવા બેનરો થકી મહાપર્વમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.

ચૂંટણીમાં જનતાના રડાર પર છે બધા નેતા

નવી દિલ્હીઃ દેશમાં સાત તબક્કામાં થઈ રહેલી લોકસભા ચૂંટણીમાંથી બે તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને સત્તા પક્ષ અને વિપક્ષ જે પ્રકારે એકબીજા માટે અપશબ્દો વાપરવા પર ઊતરી આવ્યા છે એ લોકતાંત્રિત પ્રક્રિયા તરીકે બહુ શરમજનક છે.

સત્તાની ખુરશી માટે અમર્યાદિત ભાષાનો ઉપયોગ?

સવાલ એ છે કે આજના આ નેતાઓ આપણા માર્ગદર્શક છે, એટલે આ અપશબ્દોનો ઉપયોગ કરે છે. જનતામાં સત્તારૂઢ અને વિપક્ષનું મન તેમની તરફ આકર્ષિત થાય અને તેમના પક્ષમાં મતદાન કરીને તેમને સત્તાની ખુરશી હાંસલ કરાવી દેશે? દેશમાં રાજકારણીઓની કાદવ ઉછાળ નીતિ ચાલ્યા કરશે અને જનતા મૂરખ બનતી રહેશે. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે જનતાને ગુમરાહ કરવાનું એક ષડયંત્ર ચાલ્યા કરે છે. એક પક્ષ સત્તામાં હોય અને અને વિપક્ષ એનો રચનાત્મક વિરોધ કરવાને બદલે સતત ટીકાકાર હોય છે.

શું એવું ના થઈ શકે દેશમાં કે આ બંને પક્ષોના ઉમેદવારો જાહેરમાં વિચારવિમર્શ કરે, જેથી જનતા સમક્ષ સ્થિતિ સાફ થાય. જનતાનો ભ્રમ દૂર થાય. આ પ્રકારની જાહેરમાં ચર્ચા વિશ્વના વિકસિત દેશોમાં થતી રહી છે તો ભારતમાં એવું કેમ ના થઈ શકે. ક્યાંક એવું તો નથી કે આ નેતાઓ હજી પણ ભારતની જનતાને એ યોગ્ય નથી માનતા.

ચૂંટણીના પાંચ તબક્કા હજી બાકી છે અને પરિણામ ચોથી જૂને દેશ સામે આવશે, પણ શું ચૂંટણી પરિણામથી જનતા એનો જવાબ આપશે.

 

 

 

 

 

 

ફંડના અભાવે પુરીના કોંગ્રેસ ઉમેદવારનો ચૂંટણી લડવા ઇનકાર

પુરીઃ ઓડિશાની પુરી લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણીપ્રચાર માટે પાર્ટી પાસેથી પર્યાપ્ત ફંડ નહીં મળવાનો હવાલો આપતાં ટિકિટ પરત કરી દીધી છે. તેમણે ચૂંટણી લડવા માટે પબ્લિક ફંન્ડિગનો સહારો લીધો છે અને ચૂંટણી કેમ્પેનમાં કમસે કમ ખર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં હું આર્થિક રૂપે સંઘર્ષ કરતી રહી અને એક પ્રભાવશાળી ચૂંટણીપ્રચાર ઝુંબેશને આગળ ના વધારી શકી.

મને પાર્ટીએ ફંડ આપવાથી ઇનકાર કરી દીધો હતો. વિધાનસભા ક્ષેત્રોમાં નબળા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી અને ભાજપ અને BJD પૈસાના પહાડ પર બેઠા છે. આ મારા માટે મુશ્કેલ હતું. દરેક જગ્યાએ નાણાંનું અશ્લીલ પ્રદર્શન થઈ રહ્યું છે. હું એ રીતે ચૂંટણીમાં સ્પર્ધા કરવા નથી ઇચ્છતી. હું એ પીપલ-ઓરિયેન્ટેડ કેમ્પેન ઇચ્છું છું, પણ નાણાંની તંગીને કારણે એ સંભવ નથી. કોંગ્રેસ પણ એ માટે જવાબદાર નથી. ભાજપ સરકારે પાર્ટીને પંગુ બનાવી દીધી છે. ખર્ચ પર ઘણા પ્રકારનો પ્રતિબંધ છે. મને પુરીમાં જનતાનો સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો, તેઓ બદલાવ ઇચ્છતા હતા.

કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે. સી. વેણુગોપાલને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે પુરી સંસદીય ક્ષેત્રમાં અમારી પ્રચાર ઝુંબેશ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, કેમ કે પાર્ટીએ મને ફંડ આપવાની ઇનકાર કરી દીધો છે. હું સેલરીડ પ્રોફેશનલ જર્નલિસ્ટ હતી, જે 10 વર્ષ પહેલાં ચૂંટણીના રાજકારણમાં આવી છું. મેં પુરીમાં ચૂંટણી કેમ્પેન માટે ઘણુંબધું કામ કર્યું. મેં પબ્લિક ડોનેશન ચલાવવાના પ્રયાસ પણ કર્યા, પરંતુ અત્યાર સુધી એમાં ખાસ કોઈ સફળતા નથી મળી. મેં ઓછો ખર્ચ કરવાનો પ્રયાસ કર્યો.

હું મારી જાતે નાણાં એકત્ર ના કરી શકી, એટલે મેં તમારો અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વનો દરવાજો ખટખટાવ્યો અને પાર્ટીને ફંડ આપવાનો આગ્રહ કર્યો, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

કોરાનાના 125 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 125 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,37,547 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,589 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,03,213 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 111 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 838 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,060 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 19 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.