મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આજે યોજાયેલા લોકસભા ચૂંટણી મતદાનમાં ઉત્સાહપૂર્વક અને શાંતિ પૂર્ણ વાતાવરણ માં મોટાપાયે મતદાન કરવા માટે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે હાથ ધરાયેલા સુદ્રઢ આયોજન માટે પણ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીના વહીવટી તંત્રનો આભાર દર્શાવ્યો છે.
ગુજરાતમાં આજે યોજાએલ લોકસભા ચૂંટણી મતદાનમાં ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોટાપાયે મતદાન કરવા માટે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો હૃદયથી આભાર.
ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે હાથ ધરાયેલા સુદ્રઢ આયોજન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના…
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 7, 2024
તેમણે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, પોલીસ તંત્ર, કેન્દ્રીય અર્ધ લશ્કરી દળો સહિતના ફરજ પરના સૌ અધિકારીઓ કર્મચારીઓની ફરજ નિષ્ઠાની પણ પ્રસંશા કરી છે. મુખ્યમંત્રીએ લોકશાહીના આ ચુનાવ મહાપર્વને ઉમંગ પર્વ તરીકે મનાવવા બદલ સમગ્ર રાજ્યની જનતા જનાર્દનને અભિનંદન પાઠવ્યા છે.
બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ લોકસભા ચૂંટણી 2024 વચ્ચે મોટો નિર્ણય લીધો છે. બસપા સુપ્રીમો માયાવતીના આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે તેની પાછળનું કારણ સંપૂર્ણ પરિપક્વતા છે.
BSP સુપ્રીમો માયાવતીએ X પર પોસ્ટ કર્યું અને લખ્યું – તે જાણીતું છે કે BSP એક પક્ષ હોવા સાથે બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના સ્વાભિમાન અને સામાજિક પરિવર્તન માટેનું આંદોલન પણ છે.અમારી આખી જીંદગી અને તેને વેગ આપવા માટે એક નવી પેઢી તૈયાર કરવામાં આવી રહી છે, પાર્ટીમાં અન્ય લોકોને પ્રમોટ કરવા સાથે આકાશ આનંદને રાષ્ટ્રીય સંયોજક અને તેમના અનુગામી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ પક્ષ અને ચળવળના વિશાળ હિતમાં હવે તેઓ સંપૂર્ણ પરિપક્વતા સુધી પહોંચે ત્યાં સુધી તેઓ આ બે મહત્વપૂર્ણ જવાબદારીઓથી અલગ થઈ રહ્યા છે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.
સરેરાશ 51 ટકા મતદાન
રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે.5 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 60 ટકા મતદાન. 5 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 41 ટકા મતદાન. આ વચ્ચે 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું. રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. કુલ 266 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. હવે 4જૂને પરિણામ પર સૌની નજર રહેશે. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી માહિતી આપી હતી. ચૂંટણી કમિશનર પી. ભારતીએ જણાવ્યું કે, સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. આજે રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. છેલ્લા એક કલાકના આંકડા હજુ પણ બાકી છે.
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં આ વખતે ઘણા જાણીતા ચહેરાઓ ચૂંટણીના મેદાનમાં ઉર્તયા છે. ભાજપે મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરીને આ બેઠક પરથી દેશના જાણીતા વકીલ ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે,જ્યારે કોંગ્રેસે આ બેઠક માટે મુંબઈ પ્રમુખ વર્ષા ગાયકવાડને ઉમેદવાર બનાવ્યા છે. કોણ છે વકીલ ઉજ્જવલ નિકમ? જેમના પર ભાજપે દાવ લગાવ્યો છે.
ઉજ્જવલ નિકમનો જન્મ મહારાષ્ટ્રના જલગાંવમાં રહેતા મરાઠી પરિવારમાં થયો હતો. મના પિતા વ્યવસાયે ન્યાયાધીશ હતા.નિકમે જલગાંવની એસએસ મણિયાર લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. તેમણે સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે જલગાંવમાં જિલ્લા ફરિયાદી તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને પછી રાજ્ય અને રાષ્ટ્રીય કેસોમાં ઓળખ મેળવી.
તેમણે 1991માં કલ્યાણ બોમ્બ વિસ્ફોટ માટે રવિન્દર સિંહને દોષિત ઠેરવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.1993માં તેમની કારકિર્દીમાં નવો વળાંક આવ્યો જ્યારે તેઓ મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સરકારી વકીલ બન્યા.નિકમે આતંકવાદી ગતિવિધિઓ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ સ્થાપિત વિશેષ અદાલતમાં 14 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું.નિકમે 26/11ના મુંબઈ હુમલાની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી દલીલો કરી હતી.મુંબઈ હુમલાના આરોપી અજમલ કસાબે જેલમાં મટન બિરયાનીની માંગ કરી હતી. જોકે,બાદમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે ખોટું બોલ્યો હતો. આ સિવાય પણ અનેક ચર્ચિત કેસો ઉજ્જવલ નિકમ લડી ચૂક્યા છે.
રેપ અને મર્ડરના કેસ
ગુલશન કુમાર હત્યા કેસ (1997): બૉલિવૂડ ફિલ્મ નિર્માતા ગુલશન કુમારની હત્યા 12 ઓગસ્ટ 1997એ અંધેરીમાં એક મંદિરની બહાર થઈ હતી. આ મામલે ઓગણીસ લોકો પર આરોપ હતો, પરંતુ 2002માં એક આરોપી સિવાય તમામને જેલમુક્ત કરવામાં આવ્યા હતાં.
મરીન ડ્રાઈવ બળાત્કાર કેસ (2005): પોલીસ કોન્સ્ટેબલ સુનીલ મોરેને મુંબઈના મરીન ડ્રાઈવ પર એક પોલીસ સ્ટેશનમાં 15 વર્ષની છોકરી સાથે બળાત્કાર કરવાના કેસમાં આરોપી જાહેર કરાયો અને તેમને 12 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી.
પ્રમોદ મહાજન હત્યા કેસ( 2006): ભારતીય જનતા પાર્ટીના નેતા મહાજનને 22 એપ્રિલ 2006માં પારિવારિક વિવાદ બાદ તેના નાના ભાઈ પ્રવીણ મહાજનને ગોળી ધરબી દીધી હતી. પ્રવીણને ડિસેમ્બર 2007માં આજીવાન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.
મુંબઈ સામુહિક બળાત્કાર (2013):4 એપ્રિલ 2014ના એક આદેશમાં, મુંબઈના શક્તિ મિલ્સ પરિસરમાં એક ફોટો પત્રકાર સાથે સામુહિક બળાત્કાર મામલે ત્રણ આરોપીઓને મોતની સજા ફટાકારવામાં આવી હતી, જ્યારે ચોથા આરોપીને આજીવન કારાવાસની સજા મળી હતી.
આ સિવાય ઉજ્જવલ નિકમે મોહસિન શેખ હત્યા, પ્રીતી રાઠી હત્યા કેસ તેમજ 2016ના કોપર્ડી બળાત્કાર અને હત્યા કેસમાં સરકારી વકીલ હતાં.
આતંકવાદના કેસો
1991 કલ્યાણ બોમ્બ વિસ્ફોટ, 1993ના બોમ્બ બ્લાસ્ટ અને 2008ના મુંબઈ હુમલા સંબંધિત અનેક મોટા કેસોમાં ઉજ્જવલ નિકમની વકીલ તરીકે ભૂમિકા રહી છે.
1993 બોમ્બે બોમ્બ બ્લાસ્ટ: 12 માર્ચ 1993 ના રોજ બોમ્બે (હાલના મુંબઈ)માં થયેલા 13 હુમલાઓની શ્રેણીમાં શંકાસ્પદો પર કેસ ચલાવવા માટે 2000 માં આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ એક વિશેષ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. આ હુમલામાં 257 લોકો માર્યા ગયા હતા. તે સમયે તે ભારતનો સૌથી ભયંકર આતંકવાદી હુમલો હતો. ટ્રાયલ લગભગ 14 વર્ષ ચાલ્યો અને ડઝનેક લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા.
2003 ગેટવે ઓફ ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ: 25 ઓગસ્ટ 2003ના રોજ મુંબઈમાં બે કાર બોમ્બ વિસ્ફોટ થયા, એક ઝવેરાત માર્કેટમાં અને બીજો ગેટવે ઓફ ઈન્ડિયા, જે લોકપ્રિય પ્રવાસીઓનું આકર્ષણ છે. ઓગસ્ટ 2009માં ત્રણ પુરુષોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને મોતની સજા આપવામાં આવી હતી.
2008 મુંબઈ હુમલા: નવેમ્બર 2008માં મુંબઈની ત્રણ દિવસની ઘેરાબંધી – જેમાં લક્ઝરી હોટલ, એક યહૂદી કેન્દ્ર અને અન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા. અજમલ કસાબ, પોલીસ દ્વારા જીવતો પકડાયેલો એકમાત્ર હુમલાખોર, તેને 6 મે 2010ના રોજ મોતની સજા આપવામાં આવી હતી અને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
એવું કહેવાય છે કે ઉજ્જવલ નિકમે તેમની 30 વર્ષની કારકિર્દીમાં 628 કેદીઓને આજીવન કેદની સજા આપી છે. 37 ગુનેગારોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. 2009માં 26/11 કેસની સુનાવણી દરમિયાન ઉજ્જવલ નિકમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી.ઉપરાંત, કાનૂની ક્ષેત્રે તેમના યોગદાન માટે ભારત સરકાર દ્વારા તેમને 2016 માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લોકસભાની આ ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આસામ, મધ્ય પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં મતદાન થયું. આ ઉપરાતં દાદરા અને નગરહવેલી તથા દિવ અને દમણમાં ઉપરાંત લખતરમાં મતદાન થયું. આજે અનેક રાજકીય નેતાઓ અને જાણીતી હસ્તીઓએ લોકશાહી પર્વની ઉજવણી કરી.
છત્તીસગઢના પૂર્વ સીએમ અને રાજનાંદગાંવ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ભૂપેશ બઘેલે તેમના પરિવાર સાથે પાટણમાં મતદાન કર્યું.
છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવે પણ પરિવાર સાથે જશપુરમાં મતદાન કર્યું.
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુ ખડગેએ એમની પત્ની રાધાબાઈ ખડગે સાથે લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં કલબુર્ગીમાં કીર્તિ પ્રાથમિક શાળા મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
અભિનેતા રિતેશ દેશમુખે એમની પત્ની જેનેલિયા દેશમુખ સાથે લાતુરમાં મતદાન મથક પર મતદાન કર્યું.
શરદ પવારે એમની પુત્રી સુપ્રિયા સુલેની બેઠક બારામતીના એક બૂથ પર મતદાન કર્યું હતું. નોંધનીય છે કે શરાદ પવાર 10 વર્ષ બાદ બારામતીમાં વોટ આપી રહ્યા છે. અગાઉ તેઓ મુંબઈમાં મતદાન કરતા હતા.
કોંગ્રેસના નેતા સુશીલ કુમાર શિંદે અને સોલાપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રણિતી શિંદેએ મહારાષ્ટ્રના સોલાપુરમાં મતદાન કર્યું.
શિવરાજસિંહ ચૌહાણે પત્ની સાથે મતદાન કર્યું હતું.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ એમની પત્ની સાથે મતદાન કર્યું હતુ.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ મતદાન કર્યું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બારામતી મતવિસ્તારમાં મતદાન કર્યું.
કોંગ્રેસના નેતા અમિત દેશમુખ અને તેમની પત્ની અદિતિ દેશમુખે લાતુરમાં મતદાન મથક પર મતદાન કર્યું.
સિંધિયા પરિવારનો ગઢ ગણાતા ગુના લોકસભા સીટ પરથી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મતદાન કર્યુ હતું.
મધ્યપ્રદેશની રાજગઢ લોકસભા સીટ પરથી દિગ્વિજય સિંહે મતદાન કર્યુ.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 સીટો પર મતદાન થયું હતું, જેમાં પશ્ચિમ બંગાળમાં, આસામ અને ગોવામાં સૌથી વધુ મતદાન થયું હતું, જ્યારે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું મતદાન થયું હતું. આ સાથે ગુજરાતમાં પણ સરેરાશ મતદાન 55 ટકા થયું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, મધ્ય પ્રદેશની નવ, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, પશ્ચિમ બંગાળ અને આસામની ચાર-ચાર અને ગોવાની બે સીટો પર સામેલ છે.
ત્રીજા તબક્કા સુધીમાં ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યોમાં આ પ્રમાણે મતદાન થયું છે. આસામમાં 74.09 ટકા, બિહારમાં 56 ટકા, છત્તીસગઢમાં 66.90 ટકા, દાદરા નગરહવેલીમાં 65.2 ટકા, ગોવામાં 72.5 ટકા, ગુજરાતમાં 55.20, કર્ણાટકમાં 66.20 ટકા, મધ્ય પ્રદેશમાં 62.3 ટકા, મહારાષ્ટ્રમાં 53.4 ટકા, ઉત્તર પ્રદેશમાં 55.1 ટકા અને પશ્ચિમ બંગાળમાં 73.9 ટકાનું મતદાન થયું હતું.ત્રીજા તબક્કામાં પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ થશે. 93 બેઠકોમાંથી 10 અનુસૂચિત જાતિ અને 11 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આસામ, છત્તીસગઢ, ગોવા, કર્ણાટક અને ગુજરાતની તમામ સીટો પર મતદાન પૂર્ણ થશે. આ દરમિયાન એક રસપ્રદ આંકડો સામે આવ્યો છે.
2019માં વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન અને શાસક NDA અનુક્રમે આઠ અને 75 બેઠકો જીતી હતી. આ 93 બેઠકોમાંથી એકલા ભાજપે 71 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર ચાર બેઠકો સુધી મર્યાદિત રહી હતી. 2014માં, NDAએ આમાંથી 68 બેઠકો જીતી હતી અને ભારત ગઠબંધન પક્ષોએ 15 બેઠકો જીતી હતી, જ્યારે 11 બેઠકો અન્ય પક્ષોને ગઈ હતી.આજની 93 બેઠકો પર કુલ 1,332 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં ભાજપે સૌથી વધુ 82 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, ત્યારબાદ BSP 79 અને કોંગ્રેસે 68 ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ રાજ્યમાં સૌથી વધુ 266 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તે પછી, મહારાષ્ટ્ર (11 બેઠકો)માં 258 ઉમેદવારો અને કર્ણાટક (14 બેઠકો)માં 227 ઉમેદવારો મેદાનમાં છે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં આજે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન પૂર્ણ થઈ. આ વખતે ભાજપે 5, કોંગ્રેસે 5 આયાતી ઉમેદવારને ટિકિટ આપી હોવાથી તેઓ પોતાને જ મત આપી શક્યા નથી. લોકસભા ચૂંટણીમાં સૌથી ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠકના બંને ઉમેદવાર આયાતી છે. પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એમ બંને હરીફોએ અમરેલીમાં મત આપ્યો.
ઉમેદવાર
પક્ષ
ક્યાં મતદાન કરશે?
ક્યાંથી લડે છે?
મનસુખ માંડવિયા
ભાજપ
ભાવનગર
પોરબંદર
હસમુખ પટેલ
ભાજપ
અમદાવાદ પશ્ચિમ
અમદાવાદ-પૂર્વ
દિનેશ મકવાણા
ભાજપ
અમદાવાદ-પૂર્વ
અમદાવાદ-પશ્ચિમ
મનસુખ વસાવા
ભાજપ
છોટાઉદેપુર
ભરૂચ
પરશોત્તમ રૂપાલા
ભાજપ
અમરેલી
રાજકોટ
ભરત મકવાણા
કોંગ્રેસ
આણંદ
અમદાવાદ-પશ્ચિમ
સોનલ પટેલ
કોંગ્રેસ
અમદાવાદ-પશ્ચિમ
ગાંધીનગર
પરેશ ધાનાણી
કોંગ્રેસ
અમરેલી
રાજકોટ
ડૉ. તુષાર ચૌધરી
કોંગ્રેસ
બારડોલી
સાબરકાંઠા
જશપાલ પઢીયાર
કોંગ્રેસ
છોટા ઉદેપુર
વડોદરા
આ આયાતી ઉમેદવારોને મતદારોએ કેટલાં પસંદ કર્યાં છે તે તો 4 જૂને જ જાણવા મળશે.
આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર મતદાન શરૂ છે. એકબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકરી ગરમીની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે દસ્તક લીધી હતી. અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો. આ સાથે અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાબરકાંઠાના ઇડર તાલુકા ના કડિયાદરામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં એક તરફ મતદાનનો માહોલ છે આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરુ થઈ હતી ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આજે આકરી ગરમીની પણ આગાહી કરી હતી જેથી લોકો અસહ્ય ગરમીમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે બપોર બાદ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોડાસાના ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો જે બાદ માવઠું થયું હતું. ટીંટોઇ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંબાજી હડાદ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી હતી. સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં માવઠુ થયુ હતું.
રાજ્યમાં લોરશાહીના મહાપર્વના ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે બપોરે 3 વાગ્યા સુધીમાં લગભગ 47.03 ટકા જેટલું મતદાન થયું જેમાં સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામેં નોંધાયું છે. વલસાડમાં હાલ વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે.
આ ઉપરાંત રાજ્યની 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે. જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. રાજ્યની પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં સરેરાશ 47 ટકા મતદાન થયું છે. વાઘોડિયા બેઠક પર સૌથી વધુ 52.76 ટકા, તો વિજાપુર બેઠક પર 50.53 ટકા, માણાવદરમાં સૌથી ઓછુ 40.09 ટકા મતદાન નોંધાયું છે.
વિધાનસભાની કુલ 5 બેઠકો પર 24 ઉમેદવારો મેદાને છે. જેમાંથી સૌથી વધુ વિજાપુર સીટ પર 12 ઉમેદવારો જ્યારે વાઘોડિયામાં સીટ પર માત્ર 2 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંપત્તિ મામલે સૌથી આગળ છે. તેની કુલ સંપતિ 153 કરોડથી વધી છે. વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે મોટી સંપત્તીની સાથે તેમના પર સૌથી વધુ દેવુ પણ છે. ધર્મેન્દ્રસિંહ પર 38 કરોડથી વધુનું દેણું છે.
ગુજરાતમાં મતદાન પૂર્ણ થવામાં હવે ગણતરીની મિનિટોનો સમય બાકી છે. ત્યારે કોંગ્રેસે ગેરરીતિ અને બોગસ વોટિંગની 17 ફરિયાદ કરી છે. બીજી તરફ ક્ષત્રિયોએ પણ મતદારોને રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વીડિયો બનાવી નકલી CRPF બની લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતા એક યુવકની ફરિયાદ કરી હતી.
ગેનીબેને વીડિયોમાં કહ્યું હતું કે, અમે દાંતા તાલુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર આવ્યા ત્યારે પાલનપુરનો એક યુવાન ગાડીમાં નકલી પોલીસની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કરી રહ્યો છે. આ યુવકની સામે રાજ્ય પોલીસ વડા, જિલ્લા પોલીસ વડા અને ચૂંટણી પંચ ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી કરે. બીજી બાજુ ગુલાબસિંહ રાજપૂતે ટ્વિટ કરીને કહ્યું હતું કે, દાંતા તાલુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર બહારના જીલ્લાના સમાજનાં યુવાનો ગાડીમાં નકલી પોલીસની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કરી રહ્યા છે શુ બનાસકાંઠા જીલ્લાનુ પોલીસ અને વહિવટી તંત્ર ભાજપના હાથા બનીને કામ કરી રહ્યુ છે? આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
બીજી તરફ પ્રકાશ ચૌધરી નામના યુવકને ગેનીબેન અને ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. યુવકે જીવના જોખમે એસ.પી પાસે મદદ માગી હતી હોવાનું જણાવ્યું હતું. પ્રકાશ ચૌધરી ધરેડા શાળામાં બોગસ મતદાન કરતો હોવાનું ગેનીબેને નિવેદન આપ્યું હતું. તો સામે પ્રકાશ ચૌધરીએ ગેનીબેન સહિતના ટોળાંએ માર માર્યાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મતદાન પ્રક્રિયા દરમિયાન ગુજરાત કોંગ્રેસે ચૂંટણી કમિશનર સમક્ષ વિવિધ પ્રકારની 17 ફરિયાદો કરી છે. આ ફરિયાદો માટે કોંગ્રેસમાં 20 વકીલોની ટીમનો કંટ્રોલ રૂમ ધમધમી રહ્યો છે. લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી,કન્વીનર નિકુંજ બલ્લર, બાલુભાઈ પટેલ સાથે સંકલન કરીને ફરિયાદો કરવામાં આવી રહી છે.