Home Blog Page 130

મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં મરાઠીનું શિક્ષણ ફરજિયાત

મુંબઈ મહારાષ્ટ્રના શિક્ષણ વિભાગે શુક્રવારે રાજ્યની તમામ સ્કૂલોમાં મરાઠીનું શિક્ષણ ફરજિયાત બનાવવા માટે નવો સરકારી ઠરાવ (GR) જાહેર કર્યો છે. તેમાં વારંવાર નિયમોનો ભંગ કરનાર સંસ્થાઓ પર એક લાખ રૂપિયા સુધીનો દંડ અને માન્યતા રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ નિર્દેશ ‘મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં મરાઠી ભાષાનું ફરજિયાત શિક્ષણ અને અભ્યાસ અધિનિયમ, 2020’ હેઠળ તમામ સંસ્થાઓ પર લાગુ પડે છે, ભલે તેમનું બોર્ડ, માધ્યમ કે મેનેજમેન્ટ કંઈ પણ હોય.

મરાઠી શિક્ષકોની નિમણૂક પણ ફરજિયાત

આ આદેશ મુજબ દરેક સ્કૂલમાં લાયકાત ધરાવતા મરાઠી શિક્ષકોની નિમણૂક પણ ફરજિયાત કરવામાં આવી છે. બહુસ્તરીય અમલ પ્રણાલી હેઠળ શિક્ષણ વિભાગના ડિવિઝનલ ડેપ્યુટી ડિરેક્ટરને નિયમોના પાલન માટે સક્ષમ અધિકારી બનાવવામાં આવ્યા છે.

નવા શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ બે મહિનાની અંદર સ્કૂલોનું નિરીક્ષણ કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓને નોટિસ આપવામાં આવશે અને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવશે. તેમ છતાં પાલન ન થાય તો દંડ ફટકારવામાં આવી શકે છે અને તરત અમલ કરવાનો આદેશ આપવામાં આવી શકે છે. GRમાં અપીલ પ્રક્રિયા પણ દર્શાવવામાં આવી છે, જે હેઠળ સ્કૂલ મેનેજમેન્ટ 30 દિવસની અંદર શિક્ષણ નિયામક સમક્ષ દંડને પડકારી શકે છે.

નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી થશે

સતત નિયમોનું પાલન ન કરનાર સંસ્થાઓ સામે શિક્ષણ કમિશનર સમક્ષ સુનાવણી થઈ શકે છે અને અંતે તેમની માન્યતા પણ રદ થઈ શકે છે. જોકે કાર્યકર્તાઓએ આ પગલાની ટીકા કરી છે અને જણાવ્યું છે કે પહેલી એપ્રિલ, 2020થી કાયદો લાગુ થયા બાદ અનેક GR બહાર પાડવામાં આવ્યા છતાં તેનો યોગ્ય અમલ થયો નથી.

તેમણે નિયમોનું પાલન કરનાર અને ભંગ કરનાર સ્કૂલોની ઓળખ દર્શાવતો સ્પષ્ટ ડેટાબેસ ન હોવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. મરાઠી સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના કો-ઓર્ડિનેટર સુશીલ શેજુલે લાંબા સમયથી 2020ના કાયદાનો કડક અમલ કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “છેલ્લા છ વર્ષમાં આ મુદ્દે અનેક GR જાહેર થયા છે, છતાં તેનો અમલ હજુ અધૂરો છે.

પાકિસ્તાન ફરી બનશે યજમાનઃ ઇસ્લામાબાદમાં US-ઈરાન નેતાઓની બેઠક

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચેની આગામી બેઠક સોમવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાવાની શક્યતા છે, એમ વાતચીત સાથે જોડાયેલા ઈરાની અધિકારીઓએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યાનુસાર બંને પ્રતિનિધિમંડળ રવિવારે ઇસ્લામાબાદ પહોંચવાની શક્યતા છે. હાલમાં અમેરિકી વહીવટી તંત્રે આ બેઠકની સત્તાવાર પુષ્ટિ કરી નથી, છતાં બેક-ચેનલ કૂટનીતિ તેજ બની હોવાના સંકેતો મળી રહ્યા છે.

બંને દેશોમાં વાતચીત અંગે મતભેદઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા શુક્રવારે કહ્યું હતું કે સમજૂતીની દિશામાં પ્રગતિ થઈ રહી છે, પરંતુ એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ તહેરાન તરફથી કોઈ મોટા સમજૂતા અથવા રાહતને નકારી કાઢી છે. આથી સ્પષ્ટ થાય છે કે અનેક મહત્વના મુદ્દાઓ પર હજુ મતભેદ યથાવત્ છે.

હોર્મુઝ પર હજી સંકટનાં વાદળો

આ દરમિયાન હોર્મુઝ જલસંધિ મુદ્દે તણાવ યથાવત્ છે. શુક્રવારે આ મહત્વના સમુદ્રી માર્ગ પરથી મર્યાદિત જહાજોની અવરજવર નોંધાઈ હતી. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આ માર્ગ વેપારી જહાજો માટે ખુલ્લો છે, જ્યારે ઈરાની સંસદના સ્પીકરે ચેતવણી આપી હતી કે જો અમેરિકા પોતાની નૌસેનાની નાકાબંધી નહીં હટાવે તો જલસંધિ ફરીથી બંધ કરી શકાય છે. જોકે ટ્રમ્પે પણ જાહેરાત કરી હતી કે હોર્મુઝ સંપૂર્ણ રીતે ખુલ્લો છે.

બીજી તરફ, પાકિસ્તાનના સેનાપ્રમુખ જનરલ અસીમ મુનીરે તેહરાનમાં ઈરાની સંસદ અધ્યક્ષ મહમ્મદ બાકર ગાલીબાફ સાથે મુલાકાત કરી હતી. તેને અમેરિકા–ઈરાન વચ્ચેની વાતચીત ફરી શરૂ કરાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે જાહેર કરાયેલ 10 દિવસનું યુદ્ધવિરામ મોટા ભાગે અમલમાં દેખાઈ રહ્યું છે. જોકે લેબનાને કેટલાક ઉલ્લંઘનના આરોપ લગાવ્યા છે. આ મુદ્દો પણ અમેરિકા-ઈરાન ચર્ચામાં સંવેદનશીલ મુદ્દો માનવામાં આવે છે. કૂટનીતિક વર્તુળોમાં માનવામાં આવે છે કે પાકિસ્તાનની મધ્યસ્થ ભૂમિકા અને ઇસ્લામાબાદમાં પ્રસ્તાવિત બેઠક આવતા દિવસોમાં પ્રાદેશિક તણાવ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

રવાના ગળ્યા પેનકેક

બાળકોને ભાવે તેવો ગળ્યો નાસ્તો, જે પૌષ્ટિક પણ છે!

સામગ્રીઃ ઝીણો રવો 1 કપ, ચોખાનો લોટ 2 ટે.સ્પૂન, દળેલી સાકર ½ કપ, નાળિયેરનું છીણ 2 ટે.સ્પૂન, બદામની કાતરી 1 ટે.સ્પૂન, ખસખસ 1 ટે.સ્પૂન, સફેદ તલ 1 ટે.સ્પૂન, મીઠું 1 ચપટી, બેકીંગ સોડા અથવા ઈનો ½ ટી.સ્પૂન, ઘી, મધ

રીતઃ એક મોટા બાઉલમાં રવો, ચોખાનો લોટ, દળેલી સાકર, નાળિયેરનું છીણ, ખસખસ, સફેદ તલ તેમજ તેમાં 1 ચપટી જેટલું મીઠું મેળવી દો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરીને થોડું જાડું એવું ખીરું બનાવીને, તેને ઢાંકીને 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ મિશ્રણ રવાને કારણે ફુલીને ઘટ્ટ થઈ ગયું હશે. તેથી તેમાં થોડું પાણી મેળવીને ઢોકળાના ખીરા જેવું પણ થોડું ઘટ્ટ મિશ્રણ બનાવી લો.

જ્યારે પેનકેક બનાવવાના હોય ત્યારે તેમાં બેકીંગ સોડા મેળવી દો.

એક નોન-સ્ટીક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું ઘી રેડીને તેમાં એક કળછી ખીરું રેડીને ગેસની ધીમી આંચે 2-3 મિનિટ થવા દો. ત્યારબાદ પેનકેક ઉથલાવીને ફરીથી 2-3 મિનિટ થવા દો. પેનકેક બંને બાજુએથી સોનેરી રંગના થવા જોઈએ.

તૈયાર પેનકેકને પીરસતી વખતે તેની ઉપર થોડું મધ રેડીને આપવાથી તે બાળકોને વધુ ભાવશે.

પંચાંગ 18/04/2026

૧૮ એપ્રિલ ૨૦૨૬

બેવડી નાગરિકતા મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ HCનો FIR નોંધવા આદેશ

પ્રયાગરાજઃ કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી માટે બેવડી નાગરિકતા મામલે મુશ્કેલીઓ વધી ગઈ છે. અલાહાબાદ હાઇકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે રાહુલની વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ.

રાહુલ ગાંધી પર ભારત સાથે-સાથે UKની પણ નાગરિકતા હોવાનો આરોપ છે. આ મામલે વિજ્ઞેશ શિશિરે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને દાવો કર્યો હતો કે રાહુલ પાસે બે દેશોના પાસપોર્ટ હોવાની શક્યતા છે, જે ભારતીય કાયદાનો ભંગ ગણાય છે. આ મુદ્દે લાંબા સમયથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે સરકારને સંબંધિત રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું.

આ પહેલાં લખનૌની વિશેષ MP/MLA  કોર્ટ 28 જાન્યુઆરીએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ માગતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ શિશિર ફરીથી કોર્ટમાં પહોંચ્યા હતા. MP/MLA કોર્ટે કહ્યું હતું કે નાગરિકતા મુદ્દે નિર્ણય આપવા માટે તે સક્ષમ નથી.

યાચિકાકર્તાએ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા અને મામલે વિગતવાર તપાસ કરવાની માગ કરી છે. તેમણે ભારતીય ન્યાય સંહિતા સરકારી ગોપનીયતા અધિનિયમ, વિદેશી અધિનિયમ અને પાસપોર્ટ અધિનિયમ હેઠળ અનેક આરોપો લગાવ્યા છે.

આ મામલે અગાઉની સુનાવણી દરમિયાન પીઠે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા અંગે મળેલી ફરિયાદ પર તેણે શું કાર્યવાહી કરી છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીમાં શું છે?

આ અરજીમાં 28 જાન્યુઆરી 2026એ લખનૌની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ આદેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માગ ફગાવી દેવામાં આવી હતી. નીચલી કોર્ટે કહ્યું હતું કે નાગરિકતાનો મુદ્દો નક્કી કરવાનો અધિકાર તેના પાસે નથી. અરજદારે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી વિસ્તૃત તપાસ કરવાની માગ કરી છે. ત્યાર બાદ હાઈકોર્ટે મામલાની સુનાવણી માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરી હતી.

અંબાણીને પાછળ છોડી અદાણી બન્યા એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ

નવી દિલ્હીઃ  ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગુજરાતના જ અન્ય મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. તેમના પોર્ટથી એનર્જી સુધી ફેલાયેલા સમૂહના શેરોમાં સતત તેજી આવતાં તેમની સંપત્તિમાં વધારો થયો છે.

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના તાજા અહેવાલ મુજબ  અદાણીની કુલ સંપત્તિ વધીને 92.6 અબજ અમેરિકન ડોલર છે, જ્યારે અંબાણીની સંપત્તિ 90.8 અબજ ડોલર છે. એ સાથે તેઓ ભારત અને એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. એ સાથે તેઓ વિશ્વની અબજોપતિઓની યાદીમાં 19મા સ્થાને પહોચ્યા છે, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ યાદીમાં 20મા ક્રમાંકે આવી ગયા છે.

અદાણીની મોટા ભાગની સંપત્તિ તેમના સમૂહની 10 લિસ્ટેડ કંપનીઓમાં રહેલા હિસ્સેદારી પરથી આવે છે.

આ વર્ષે અદાણીની નેટવર્થમાં 8.1 અબજ ડોલરનો વધારો

વર્ષ 2026 દરમ્યાન અદાણી જૂથની કંપનીઓના શેરોમાં સતત તેજી જોવા મળી છે. એની સીધી અસર તેમની વ્યક્તિગત સંપત્તિ પર પણ પડી છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 8.1 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો. જેનાથી તેમણે એશિયાની સૌથી શ્રીમંત વ્યક્તિનું સ્થાન હાંસલ કરી લીધું છે.

માત્ર એક દિવસમાં 3.56 અબજ ડોલરનો સંપત્તિમાં વધારો

ગુરુવારે ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરોમાં આવેલી તેજીનીની સીધી અસર અદાણીની સંપત્તિ પર પડી હતી. આ તેજીને પગલે તેમની નેટવર્થમાં આશરે 3.56 અબજ ડોલરનો વધારો નોંધાયો હતો.

ટોપ 50 યાદીમાં અદાણી અને અંબાણી જ માત્ર ભારતીયો છે

અંબાણી દાયકાથી વધુ સમય સુધી ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ રહ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી 2022માં અદાણી ગ્રુપના શેરોમાં ભારે તેજીથી અદાણી ટોચે પહોંચ્યા હતા.

વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે?

વિશ્વના શ્રીમંતોની યાદીમાં એલન મસ્ક હજી પણ પહેલા ક્રમાંકે છે, જેમની કુલ સંપત્તિ 656 અબજ ડોલર દર્શાવવામાં આવી છે. બીજા ક્રમાંકે લૈરી પેજ છે, જેમની નેટવર્થ 286 અબજ ડોલર છે. આ સિવાય ટોચ-10ની યાદીમાં જેફ બેજોસ, સર્ગેઇ બ્રિન, માર્ક ઝુકરબર્ગ, લૈરી એલિસન, માઇકલ ડેલ, જેસન હુઆંગ, બર્નાર્ડ આર્નોલ્ટ અને જિમ વોલ્ટન જેવાં નામ સામેલ છે.

અદાણી ગ્રુપ પરિવહન અને લોજિસ્ટિક્સ, ઊર્જા ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ, કુદરતી સંસાધનો, એરપોર્ટ, ડિફેન્સ અને એરોસ્પેસ, ડેટા સેન્ટર, સિમેન્ટ, મીડિયા, રસ્તા, રેલ અને મેટ્રો નેટવર્ક, રિયલ એસ્ટેટ, અર્બન રિડેવલપમેન્ટ, ફૂડ અને FMCG, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને બિઝનેસ ઇન્ક્યુબેશન જેવાં ક્ષેત્રોમાં વિવિધ પોર્ટફોલિયો ઊભો કર્યો છે.

ગ્રુપના જણાવ્યા મુજબ ગૌતમ અદાણી ભારતના એવા પ્રથમ પ્રથમ-પેઢીના ઉદ્યોગસાહસિક છે જેમણે પોતાના વ્યાપાર સામ્રાજ્યને 200 અબજ ડોલરથી વધુના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચાડ્યું છે.

ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધ હવે ખતમ થશે?

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતો તણાવ હવે ખતમ થવાની નજીક લાગે છે. એવા મોટા સંકેતો મળી રહ્યા છે જે બતાવે છે કે બંને દેશ હવે લડાઈ રોકીને સમજૂતીને અંતિમ રૂપ આપવા તરફ આગળ વધી રહ્યા છે. હવે બંને દેશ ટકરાવ નહીં, પરંતુ શાંતિ ઈચ્છે છે. જો બધું સમુંસૂતરું રહ્યું તો ટૂંક સમયમાં મોટો કરાર થઈ શકે છે અને આ સંઘર્ષ ખતમ થઈ શકે છે.

ટ્રમ્પના નિવેદનમાં શાંતિનો સંદેશ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા માટે ટૂંક સમયમાં કરાર થવાની શક્યતા છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની આગામી બેઠક આ સપ્તાહના અંતે થઈ શકે છે.

પરમાણુ મુદ્દે સહમતી થઈ ગઈ?

ટ્રમ્પે ગુરુવારે દાવો કર્યો કે ઈરાને પોતાનો “ન્યુક્લિયર ડસ્ટ” અમેરિકા પાસે પરત આપવા સહમતી દર્શાવી છે. ટ્રમ્પ વારંવાર “ન્યુક્લિયર ડસ્ટ” શબ્દનો ઉપયોગ ઈરાનના સમૃદ્ધ અથવા એનરિચ્ડ યુરેનિયમ માટે કરતા રહ્યા છે. આ ખૂબ મોટો દાવો છે કારણ કે યુદ્ધ શરૂ થવાનું સૌથી મોટું કારણ આ મુદ્દો હતો.

પાકિસ્તાન જવા તૈયાર ટ્રમ્પ

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ કરાર પર હસ્તાક્ષર કરવા પાકિસ્તાન જશે, ત્યારે તેમણે કહ્યું હતું કે હા, હું જઈ શકું છું. જો ડીલ ઇસ્લામાબાદમાં સાઇન થાય તો હું જઈશ. ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ આસિમ મુનીરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમણે ઈરાન સાથે વાતચીત કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.

બેકચેનલમાં ઘણી વાતો નક્કી થઈ ગઈ – રિપોર્ટ

એક પાકિસ્તાની સૂત્રએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત (બેકડોર) ચર્ચાઓમાં પ્રગતિ થઈ છે. આવનારી બેઠકમાં કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. પહેલા બંને દેશ “મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ” (MoU) પર સાઇન કરશે, ત્યાર બાદ 60 દિવસની અંદર સંપૂર્ણ કરાર થશે.

ઇઝરાયેલ-લેબનાન યુદ્ધવિરામે આશા જગાવી

ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે 10 દિવસનું યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

સરકારે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવા સંબંધિત બંધારણીય સુધારા વિધેયકો પસાર કરવા માટે જરૂરી બહુમતી ન હોવાને કારણે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. સરકારે ગુરુવારે સાંજે નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું હતું કે વર્ષ 2023નો કાયદો, જેમાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાની જોગવાઈ છે, હવે 16 એપ્રિલ, 2026થી અમલમાં માનવામાં આવશે.

આ નિર્ણય પાછળ સરકારનો ઇરાદા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, ખાસ કરીને ત્યારે જ્યારે એ જ સમયે લોકસભામાં 2026ના સુધારેલા વિધેયક પર ચર્ચા ચાલી રહી હતી. વિરોધ પક્ષે આ પગલાને ‘નિરાશાનો પ્રયાસ’ ગણાવ્યો છે અને કહ્યું છે કે જો નવું વિધેયક પાસ ન થાય, તો સરકાર જૂના કાયદાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. કાયદા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બંધારણ (106મો સુધારો) અધિનિયમ, 2023ને અમલમાં લાવવાની શક્તિનો ઉપયોગ કરીને 16 એપ્રિલ, 2026ને તેની અમલ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે.

ધ્યાનમાં લેવા જેવી વાત છે કે આ કાયદાને પહેલેથી જ 28 સપ્ટેમ્બર 2023ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ હતી અને તે રાજપત્રમાં પ્રકાશિત પણ થયો હતો, પરંતુ તેની અમલ તારીખ નક્કી કરવામાં આવી નહોતી. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આ પગલાને લઈને પ્રશ્નો ઉઠાવતાં કહ્યું હતું કે 2023માં પસાર થયેલા કાયદાને ફરીથી અધિસૂચિત કરવું અજીબ છે. તેમણે લોકસભાના નિયમ 66નો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જો કોઈ વિધેયક બીજા વિધેયક પર આધારિત હોય અને તે પસાર ન થાય તો મૂળ કાયદો પણ અસરહીન થઈ જાય છે. આવી સ્થિતિમાં નિયમ 66ને સ્થગિત કર્યા બાદ આ પ્રકારના નોટિફિકેશન બહાર પાડવું એ કાયદાને બચાવવાનો પ્રયાસ લાગે છે.

હાલ લોકસભામાં કુલ 540 સભ્યો છે (ત્રણ બેઠકો ખાલી છે). જો બધા સભ્યો હાજર હોય તો ઓછામાં ઓછા 360 મત જરૂરી થશે. જ્યારે સત્તારૂઢ ગઠબંધન (એનડીએ) પાસે 293 સાંસદ છે, જે જરૂરી સંખ્યાથી 67 ઓછા છે. જોકે જો મોટા પ્રમાણમાં સભ્યો મતદાનથી દૂર રહે, તો જરૂરી મત સંખ્યા ઘટી શકે છે, પરંતુ તેના માટે બહુ મોટી ગેરહાજરી જરૂરી રહેશે.

૧૭ એપ્રિલ ૨૦૨૬