શું 20 વર્ષ પછી ફરી એકસાથે થશે ઠાકરે બ્રધર્સ?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. ક્યાસ એવો કાઢવામાં આવી રહ્યો છે કે ઠાકરે બ્રધર્સ ફરી એક વાર સાથે આવી રહ્યા છે. બંને નેતાઓ 2005માં અલગ થયા હતા. 

હવે શું ઠાકરે બંધુ પોતાના મતભેદ ભૂલીને હાથ મિલાવશે? મરાઠી અસ્મિતા અને રાજ્યના હિતોના મુદ્દે રાજ ઠાકરેના તાજેતરના નિવેદને આ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ ઠાકરેએ એક્ટર મહેશ માંજરેકરના પોડકાસ્ટમાં કહ્યું હતું કે જ્યારે મોટા મુદ્દા સામે હોય છે, તો આપસી ઝઘડા નાના લાગે છે. મહારાષ્ટ્રના અસ્તિત્વ અને મરાઠી માનુષના અસ્તિત્વ માટે આપણી વચ્ચેના ઝઘડા નાના છે. સાથે આવવું અઘરું નથી, બસ તેના માટે ઈચ્છા હોવી જોઈએ અને ફક્ત મારા એકલાની ઈચ્છાનો સવાલ નથી, એકલા મારા સ્વાર્થનો સવાલ નથી. મોટા મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.

રાજ ઠાકરે અન ઉદ્ધવ ઠાકરેના સાથે આવવાના નિવેદનને લઈને સંજય રાઉતે કહ્યું હતું કે બંને ભાઈ છે અને તેમનો સંબંધ કાયમ છે. રાજકીય મતભેદ હોઈ શકે છે. આજની ભાજપ મહારાષ્ટ્રની નંબર વન દુશ્મન છે. જેના કારણે અમિત શાહે પોતાના સ્વાર્થ માટે શિવસેનાને તોડી અને આવા લોકોને ઘરમાં જગ્યા નહીં આપીએ. સત્તા નહીં મળે પણ સ્વાભિમાન રાખીશું. આવા લોકોને ના અમે ઘરમાં જગ્યા આપીશું, ન વાત કરીશું અને ન સાથે પાણી પીશું. આ અમારી અને મહારાષ્ટ્રના સ્વાભિમાનની ભૂમિકા છે. વધુમાં વધુ શું થશે સત્તા નહીં મળે, ભલે ન મળે. અમે સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરીએ. અમારી એક જ માગ છે કે તમે તેમના સાથે કોઈ સંબંધ નહીં રાખો તો જરૂર અમે તમારી સાથે વાત કરીશું, એમ તેમણે કહ્યું હતું.

રાઉતે કહ્યું હતું કે રાજ ઠાકરેએ પોતાની વાત મૂકી, જેમાં તેમણે કહ્યું છે કે જો કોઈ ફરિયાદ હશે તો હું તેને હું નહીં રાખું. હું મહારાષ્ટ્રના હિત માટે તેનું નિરાકરણ લાવીશ. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમારા બે ભાઈઓ વચ્ચે કોઈ દ્વેષ હોય તો તેનું નિરાકરણ કરીશું, પરંતુ મહારાષ્ટ્ર અને શિવસેનાના દુશ્મનોને તમારા ઘરમાં સ્થાન ન આપો, તેમની સાથે ખાવા-પીવા ન બેસો. જો તમે આ વાતથી સંમત છો તો આપણે ચોક્કસ વાત કરીશું. તમામ મરાઠી લોકો મરાઠી માનુષના હિતમાં એકસાથે આવો.