શું તામિલનાડુની વિજય સરકારને પાડવાનું ષડયંત્ર રચાયું?

ચેન્નઈઃ તામિલનાડુ સરકારના ગુપ્તચર વિભાગે દાવો કર્યો છે કે રાજ્યમાં નવી બનેલી TVK સરકારને પાડી પાડવાનું કાવતરું રચાયું હતું. જોકે વિભાગનું કહેવું છે કે આ કાવતરાને સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ યોજના હેઠળ TVKના 15 ધારાસભ્યોનાં એકસાથે રાજીનામાં અપાવી સરકારને અલ્પમતમાં લાવવાનો પ્રયાસ થવાનો હતો. બુધવારે પોલીસે જાહેર કરેલી પ્રેસ નોટ મુજબ તપાસ દરમિયાન DMKના ભૂતપૂર્વ મંત્રી સેન્થિલ બાલાજી અને તેમના ભાઈ વી. અશોકકુમારના નામ સામે આવ્યા છે. બંને પર સરકાર પાડી પાડવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. 

તામિલનાડુમાં આ વર્ષે મે મહિનામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા વિજયની પાર્ટી TVKને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. ત્યાર બાદ કોંગ્રેસ અને કેટલાક અન્ય પક્ષોના સમર્થનથી TVKએ રાજ્યમાં સરકાર બનાવી હતી. TVKના એક ધારાસભ્યની ફરિયાદને આધારે ગુપ્તચર વિભાગે તપાસ શરૂ કરી હતી અને એક કન્સલ્ટન્સી કંપનીના કર્મચારીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મામલાના તાર DMKના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી સેન્થિલ બાલાજી સાથે જોડાયેલા છે.

ત્યાર બાદ વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રથમ વ્યક્તિની ધરપકડ ચેન્નાઈમાંથી કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે લોકોની ધરપકડ કરૂરમાંથી કરવામાં આવી હતી. ગુપ્તચર વિભાગ હાલ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહ્યો છે.

TVKના ધારાસભ્ય એન. ઇલૈયારાજાની ફરિયાદ

ઉથંગરાઈ બેઠકના TVK ધારાસભ્ય એન. ઇલૈયારાજાએ ચેન્નાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે IPDS નામની કન્સલ્ટન્સી ફર્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ તેમને તામિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ જેસીડી પ્રભાકર (TVK નેતા) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવા બદલ રૂ. 35 કરોડની ઓફર કરી હતી. ધારાસભ્યનો આક્ષેપ છે કે તેમને ધમકી પણ આપવામાં આવી હતી અને આ પ્રસ્તાવ અંગે કોઈને જાણ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. મિડિયા અહેવાલો મુજબ ધરપકડ કરાયેલા લોકોમાંથી એક વ્યક્તિ સેન્થિલ બાલાજી અને તેમના ભાઈ અશોકનો નજીકનો સાથી હોવાનું જણાવાયું છે.