વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા ભારતીયોને હાથમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધીને ભારત પરત મોકલ્યા હતા. ત્યારે હવે વધુ એક ભારત વિરોધી પગલુ લીધુ છે. અમેરિકન સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ભારતીય ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો પર અમેરિકામાં પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. સાથે જ દાવો કર્યો છે કે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરાઇ રહ્યું છે. ભારત સરકારે દેશમાં ધાર્મિક સ્વતંત્રતા અને ગુપ્તચર એજન્સી RAW પર પ્રતિબંધની માગ કરતી અમેરિકન સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચ (USCIRF)ના અહેવાલને ફગાવી દીધો છે.અમેરિકી આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)એ ધાર્મિક સ્વતંત્રતા અંગે વાર્ષિક રિપોર્ટ બહાર પાડયો છે. જેમાં ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા RAW અંગે વાંધાજનક ભલામણ કરવામાં આવી છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી નાખી છે. આયોગે આરોપ લગાવ્યો છે કે શીખ અલગતાવાદીઓની હત્યામાં RAWનો પણ હાથ છે. અમેરિકી આયોગે આ આરોપ લગાવીને ખાલિસ્તાનીઓને પણ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ આ જ પ્રકારનો પ્રયાસ કેનેડા પણ કરી ચૂક્યું છે. અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીયો સહિતના વિદેશીઓ સાથે હાલ જે અમાનવીય વર્તન થઇ રહ્યું છે તે અંગે તેમની સરકારનું માનવ અધિકાર આયોગ મૌન છે. ત્યારે બીજી તરફ ભારત પર આવા ગંભીર આરોપો લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા પરના આયોગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા જોખમમાં છે અને લઘુમતીઓ પર હિંસા, હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ભારત સરકારે ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવા જોઇએ. આયોગે ભારતીય નાગરિકતા કાયદા પર પણ સવાલ ઉઠાવ્યો હતો. સાથે જ કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટસને સમાપ્ત કરવાના પગલાંની પણ ટીકા કરી હતી. ભારત અગાઉ પણ અમેરિકાના આ પ્રકારના આરોપોને નકારી ચૂક્યું છે. તાજેતરના ધાર્મિક સ્વતંત્રતા અને RAW અંગેના અમેરિકી રિપોર્ટની પણ ટીકા કરી છે. ભારત તરફથી આ રિપોર્ટની માત્ર ટીકા જ નથી કરવામાં આવી સાથે જ અમેરિકાના આ આયોગને પક્ષપાતી પણ ગણાવ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું હતું કે અમેરિકી સરકારના આયોગનો આ રિપોર્ટ અત્યંત પક્ષપાતી છે, આયોગે કેટલીક ઘટનાઓને ફરી એક વખત ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકાનું આ આયોગ ખરેખર એજન્ડા પર કામ કરી રહ્યું છે, તેને ધાર્મિક સ્વતંત્રતાની કોઇ જ ચિંતા નથી. આ આયોગ ભારતની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કરવાના એજન્ડા પર કામ કરી રહ્યું છે. પરંતુ તેમના આ પ્રયાસો સફળ નહીં થાય, ખરેખર તો અમેરિકાના આ ધાર્મિક સ્વતંત્રતા આયોગ પર ચિંતા કરવી જોઇએ અને તેને ચિંતાજનક સંસ્થાઓમાં સામેલ કરવું જોઇએ. ભારત 140 કરોડ લોકોનું ઘર છે, જ્યાં સૌકોઇ એકબીજાના ધર્મ પ્રત્યે આદરભાવ અને સન્માન ધરાવે છે.
