હૈદ્રાબાદમાં તોફાની તત્વોએ દુર્ગા પંડાલમાં તોડફોડ કરી, મૂર્તિ ખંડિત કરી

હૈદ્રાબાદ: નામપલ્લી વિસ્તારના પ્રદર્શની મેદાનમાં કેટલાંક અજાણ્યા શખ્સોએ દેવી દુર્ગાની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી સામે આવી છે. બેગમ બજારમાં પોલીસ કર્મીઓની એક ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને કેસની તપાસ કરી કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. તો બીજી તરફ ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદના નામપલ્લીમાં કેટલાક લોકોએ દુર્ગા પંડાલમાં તોડફોડ કરી છે. આરોપીએ દુર્ગા દેવીનો હાથ પણ તોડી દીધો છે. ઘટનાની જાણકારી શુક્રવારે સવારે થઇ હતી. જ્યારે આયોજકો પૂજા કરવા પહોંચ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે ગુરૂવારે રાત સુધી પોલીસ ત્યાં હાજર હતી. ઘટના કેટલા વાગ્યાની છે, હજુ સુધી તેની જાણકારી સામે આવી નથી. જોકે પોલીસનું કહેવું છે કે કેટલાક અજાણ્યા શખ્સોએ દાનપેટીને એક તરફ મુકી હતી. તેનાં કારણે દેવી દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હોવાનું અનુમાન છે. દેવી શરણ નવરાત્રિ સમારોહના ભાગરૂપે એક્ઝિબિશન સોસાયટીના રહીશો અને કર્મચારીઓ દર વર્ષે દેવીની મૂર્તિ બનાવે છે.