TMCએ પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યની તમામ 42 બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે. ક્રિકેટર યુસુફ પઠાણને બહેરામપુર બેઠક પરથી ટિકિટ મળી છે અને તેનો મુકાબલો કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સાથે થશે. મહુઆ મોઇત્રા કૃષ્ણનગરથી ચૂંટણી લડવાના છે. વર્તમાન સાંસદ અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહા આસનસોલ બેઠક પરથી ફરી ચૂંટણી લડશે.

આ સિવાય પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ બર્દમાન-દુર્ગાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. છેલ્લી ચૂંટણીમાં આ સીટ ભાજપના અહલુવાલિયાએ જીતી હતી. હાજી નુરુલ ઈસ્લામ બસીરહાટ બેઠક પરથી ચૂંટણી લડશે, કારણ કે વર્તમાન સાંસદ નુસરત જહાંની ટિકિટ રદ્દ થઈ ગઈ છે. જગદીશ ચંદ્ર બર્મા બસુનિયા કૂચ બિહારથી ચૂંટણી લડશે. યુવા નેતા અને પ્રવક્તા દેવાંશુ ભટ્ટાચાર્ય તમલુકમાંથી ચૂંટણી લડશે. પાર્ટીના યુથ કોંગ્રેસ અધ્યક્ષ સયાની ઘોષ જાદવપુરથી ચૂંટણી લડશે.

અગાઉ મમતા બેનર્જીએ કહ્યું હતું કે ટીએમસી આસામ અને પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે. યુપીમાં સીટ વહેંચણી પર સપા સાથે વાતચીત ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અમે બીજેપીને બંગાળમાં એનઆરસી લાવવા અથવા ડિટેન્શન કેમ્પ ખોલવાની ક્યારેય મંજૂરી આપીશું નહીં.

છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ઈન્ડિયા એલાયન્સ બંગાળમાં સાથે મળીને ચૂંટણી લડશે. કોંગ્રેસ સતત કહેતી હતી કે વાતચીત ચાલી રહી છે. જો કે TMCના ઘણા નેતાઓ કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી સતત મમતા બેનર્જી વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે સુમેળ ન હતો. આખરે, મમતા બેનર્જી એકલા હાથે રાજ્યના ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ બંગાળમાં ગઠબંધન અંગે રવિવારે પુનરોચ્ચાર કર્યો હતો કે તેમના દરવાજા દરેક માટે ખુલ્લા છે.