દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ રહેતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

નવી દિલ્હીઃ દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ગુરુવારે સવારે જણાવ્યું હતું કે જો બપોર સુધી સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન ફરી શરૂ કરવામાં નહીં આવે તો સર્વોચ્ચ અદાલત આ મામલે હસ્તક્ષેપ કરશે. CJIએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ વિકાસ સિંહ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. વિકાસ સિંહે મેટ્રો સ્ટેશન બંધ હોવાથી વકીલો અને અદાલતના કર્મચારીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ધ્યાન દોર્યું હતું.

અહેવાલ મુજબ પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાના વિરોધમાં જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા પ્રદર્શનને કારણે આસપાસનાં અનેક મેટ્રો સ્ટેશનો બંધ રાખવામાં આવ્યાં છે. વિકાસ સિંહે જણાવ્યું હતું કે મેટ્રોનો ઉપયોગ કરતા વકીલો અને અદાલતના કર્મચારીઓની સ્ટેશન પર જ તપાસ (સ્ક્રીનિંગ) કરી શકાય, જેથી કોઈ સમસ્યા ન સર્જાય. પરંતુ સ્ટેશન સંપૂર્ણપણે બંધ રાખવું યોગ્ય નથી.

હું હસ્તક્ષેપ કરીશ — મુખ્ય ન્યાયાધીશ

વિકાસ સિંહે કહ્યું હતું  કે મેટ્રોમાં વકીલો અથવા રજિસ્ટ્રીના કર્મચારીઓની સ્ક્રીનિંગ કરી શકાય છે. સ્ટેશન બંધ હોવાથી અમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે જો લંચ સુધી સ્ટેશન ખોલવા અંગે કોઈ પગલું લેવામાં નહીં આવે, તો હું હસ્તક્ષેપ કરીશ.

દિલ્હીનાં આ મેટ્રો સ્ટેશનો બંધ રહેશે

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે 16 મેટ્રો સ્ટેશનો તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવશે. તેમાં બારાખંભા રોડ, કેન્દ્રીય સચિવાલય, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, આઈટીઓ, જનપથ, જોર બાગ, ખાન માર્કેટ, લોક કલ્યાણ માર્ગ, મંડી હાઉસ, પટેલ ચોક, રાજીવ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, સેવા તીર્થ, શિવાજી સ્ટેડિયમ અને સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. મેટ્રો પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલાં પોતાના માર્ગ (રૂટ) વિશેની તાજી માહિતી ચકાસી લે અને જરૂરી હોય તો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે.