‘જંતર-મંતર સીઝન-2 ટૂંક સમયમાં આવશે’: અભિજીત દીપકેની મોટી જાહેરાત

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે બુધવારે દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમને સતત પૂછી રહ્યા છે કે ‘જંતર-મંતર પાર્ટ-2’ ક્યારે આવશે. ફેન્સના આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે સ્પષ્ટ કર્યું કે ‘જંતર-મંતર સીઝન-2’ ટૂંક સમયમાં જ લાવવામાં આવશે.

વોલન્ટિયર્સ મીટ માટે હોલ ન મળતા હોબાળો

અભિજીત દીપકે બુધવારે દિલ્હીમાં પોતાની પાર્ટીની વોલન્ટિયર્સ મીટનું આયોજન કરવા આવ્યા હતા. પરંતુ તેમને આ ઈન્ડોર બેઠક માટે દિલ્હીમાં ક્યાંય હોલ મળ્યો નહોતો. જે એક જગ્યાએ તેમણે હોલ બુક કરાવ્યો હતો, તે પણ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવ્યો હતો. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા દીપકે કહ્યું, “અમે દિલ્હીમાં અમારી વોલન્ટિયર્સ મીટ કરવાના હતા. અમે 10 જેટલી જગ્યાઓએ ગયા, પરંતુ તમામ જગ્યાએથી એક જ જવાબ મળ્યો કે ઉપરથી દબાણ અને ધમકીઓ છે, તેથી તેઓ કોકરોચ જનતા પાર્ટીને હોલ આપી શકે નહીં. મોટી મુશ્કેલીથી એક હોલ મળ્યો હતો, પરંતુ આજે સવારે તેમને પણ ધમકી આપવામાં આવી કે જો બેઠક યોજવા દેશો તો ઉંધા લટકાવી દેવામાં આવશે.”

ભાજપ યુવાનોથી ડરી રહી છે: દીપકે

ભાજપ પર આકરા પ્રહારો કરતા તેમણે ઉમેર્યું, “આ બધું ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનાથી તેમનો ડર સ્પષ્ટ દેખાય છે. ભાજપ આ દેશના યુવાનોથી ડરી રહી છે. તમે ગમે તેટલી ધમકીઓ આપો કે ડરાવો, અમે ડરવાના કે પાછળ હટવાના નથી. તમારી આ હરકતોથી અમે પીછેહઠ કરીશું તે તમારી ભૂલભરેલી માનસિકતા છે.”

દિલ્હી પોલીસની કામગીરી પર સવાલો

અભિજીત દીપકેની સાથે જ CJP ના પ્રવક્તા આશુતોષ રાંકાએ પણ આ મામલે દિલ્હી પોલીસ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે, “આ મામલામાં દિલ્હી પોલીસ શું કરી રહી છે? શું દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે? શું દિલ્હી પોલીસ માત્ર ભાજપ માટે કામ કરી રહી છે કે દિલ્હીની જનતા માટે?”