નવી દિલ્હીઃ UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે. આ મામલે કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે પણ કહ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે માન્યું કે આ નિયમો પ્રથમ નજરે અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થવાની શક્યતા પણ છે. આ કારણે કોર્ટે કેન્દ્ર સરકારને નિયમો ફરીથી તૈયાર કરવા માટે કહ્યું છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટ જવાબ નહીં મળે, ત્યાં સુધી આ નિયમોના અમલ પર સ્ટે રહેશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિયમોમાં સુધારા કરવાની જરૂર છે. હાલની સ્થિતિમાં કંઈ પણ સ્પષ્ટ નથી અને કોઈ પણ વ્યક્તિ આ નિયમોનો દુરુપયોગ કરી શકે છે. તેમણે આગળ કહ્યું હતું કે આ નિયમોને લઈને 4–5 ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. જો તેનો ઉકેલ નહીં આવે તો તેનાં વ્યાપક અને દૂરગામી પરિણામો આવશે, જે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.
આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક સમિતિ રચવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે આ મુદ્દે સરકારનો અભિપ્રાય સમજવા માગીએ છીએ. આજે અમે કોઈ આદેશ આપવા નથી ઈચ્છતા. અમારી માન્યતા છે કે એક સમિતિ બનાવવી જોઈએ જેમાં પ્રતિષ્ઠિત કાનૂનના નિષ્ણાતો સામેલ હોય. બે-ત્રણ એવા લોકો હોવા જોઈએ જે સામાજિક મૂલ્યો અને સમાજને અસર કરતી સમસ્યાઓને સારી રીતે સમજે. હવે આ બાબત પર પણ વિચાર કરવાની જરૂર છે કે સમાજનો સમૂહ વિકાસ કેવી રીતે થશે અને જો આવી વ્યવસ્થા અમલમાં આવે તો કેમ્પસની બહાર લોકોનો પ્રતિસાદ કેવો રહેશે. આ તમામ પાસાંઓ પર સમિતિએ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે થશે. ત્યાં સુધી કેન્દ્ર સરકારને માત્ર પોતાનો જવાબ જ દાખલ કરવો નહીં, પરંતુ આ નિયમો પર ફરીથી વિચાર પણ કરવો પડશે.




