નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા મિડિયા નેટવર્ક્સમાંનું એક ‘સન ટીવી નેટવર્ક’ હવે એક મોટા પારિવારિક વિવાદને કારણે ચર્ચામાં છે. DMK (દ્રવિડ મુન્નેત્ર કઝગમ)ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારને પોતાના અબજોપતિ ભાઈ અને સન ટીવી નેટવર્કના ચેરમેન કલાનિધિ મારનને કાયદેસર નોટિસ પાઠવી છે. આ નોટિસમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.
શું છે મામલો?
આ વિવાદ સન ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં 2003 બાદના શેરહોલ્ડિંગના કહેવાતા ‘છેતરપિંડીભર્યા પુનઃગઠન’થી સંબંધિત છે. દયાનિધિ મારનનો દાવો છે કે જ્યારે તેમના પિતા એસ.એન. મારન (મુરાસોલી મારન તરીકે જાણીતા) ગંભીર રીતે બીમાર હતા અને આખું કુટુંબ ટેન્શનમાં હતું, ત્યારે કલાનિધિ મારને “પૂર્વનિયોજિત યોજના હેઠળ” કંપનીના શેરો પોતાને નામે કરી લીધા હતા.
દયાનિધિ મારનની નોટિસ અનુસાર 15 સપ્ટેમ્બર, 2003એ કલાનિધિ મારને પોતાને 12 લાખ શેર માત્ર 10 રૂપિયા પ્રતિ શેરના ભાવે એલોટ કરાવ્યા હતા. ત્યારે એ શેરની બજાર કિંમત લગભગ રૂ. 2500થી રૂ. 3000 પ્રતિ શેર હતી. એને પરિણામે, સન ટીવીમાં તેમનો 60 ટકા હિસ્સો થઇ ગયો, જ્યારે બાકી પરિવારનો હિસ્સો ઘટીને 20 ટકા રહી ગયો.
આ નોટિસમાં એવો પણ આક્ષેપ છે કે પિતાના મૃત્યુ પછી કોઈ કાયદેસર મૃત્યુ પ્રમાણપત્ર કે વારસદારોનો સર્ટિફિકેટ વિના આ શેરો તેમની માતા મલ્લિકા મારનના નામે ટ્રાન્સફર કરાયા અને પછી તેઓ કલાનિધિ મારનને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા.
હવે દયાનિધિ મારન ઈચ્છે છે કે 2003ની મૂળ શેરહોલ્ડિંગ સ્થિતિ ફરી પુનઃસ્થાપિત કરવામાં આવે. તેમણે કલાનિધિ અને તેમની પત્ની કાવેરી મારન પાસેથી 2003થી આજ સુધી મળેલા નફા, ડિવિડન્ડ અને સંપત્તિઓ પાછી આપવાની માગ પણ કરી છે. એ સાથે આ મામલો SFIO (સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ)ને સોંપવાની પણ ભલામણ કરવામાં આવી છે.
દાવાની કિમત કેટલી?
આ નોટિસમાં જણાવાયું છે કે 12 લાખ શેરો 1.2 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યા હતા, જ્યારે તેમની કિંમત લગભગ રૂ. 3500 કરોડ હતી. એટલે કે રૂ. 3498.8 કરોડનો તફાવત, જેને “મની લોન્ડરિંગથી પ્રાપ્ત થયેલી સંપત્તિ” તરીકે દર્શાવવામાં આવ્યો છે.
કલાનિધિ મારનને 2023માં રૂ. 5926 કરોડ અને 2024માં રૂ. 455 કરોડ ડિવિડેન્ડ રૂપે મળ્યા હોવાનું કહેવામાં આવ્યું છે, જે હવે વિવાદમાં છે.
