ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો

ગાંધીનગર: સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન(એસ.ટી.)ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરી છે. હાલ ચૂકવાતાં ભથ્થાંના એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને વર્તમાન સમયમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે.  હવેથી 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થાં સહિત હાલ ચૂકવાતા ભથ્થાંના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી કુલ 125 કરોડ રૂપિયાથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને મળશે.’