બેટસમેને 49 રને આઉટ થતાં ફીલ્ડરને ઢોર-માર માર્યો

ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક ક્રિકેટ મેચ દરમ્યાન 23 વર્ષના એક બેટ્સમેને 49 રને કેચઆઉટ થવા પર ફીલ્ડરને બેટથી માર માર્યો હતો, કેમ કે તેણે કેચ પકડી લીધો હતો. બેટ્સમેન 49 રને આઉટ થયો હતો, જેથી તેણે ફિલ્ડરની હત્યા કરવાના ઇરાદે માથા પર બેટથી માર માર્યો હતો, એવી માહિતી પોલીસે રવિવારે આપી હતી.

શહેરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રામનરેશ પચૌરીએ કહ્યું હતું કે સચિન પરાશર (23) નામના ફીલ્ડરને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બેટ્સમેન સંજય પાલિયાને હત્યાના પ્રયાસ માટે આરોપી ગણવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારે મેલા મેદાનમાં બનેલી એક મેચમાં થઈ હતી.

પરાશરે જ્યારે 49 રન પર તેનો કેચ પકડ્યો હતો તો પાલિયા ગુસ્સે ભરાયો હતો, જે 50 રનથી માત્ર એક રન દૂર હતો. પાલિયા ભાગીને પરાશર તરફ ગયો હતો અને તેને બેટથી મારવાનું શરૂ કર્યું હતું. અન્ય ખેલાડીઓએ તેને અટકાવવાના પ્રયાસો કર્યા હતા. પરાશરને હોસ્પિટલોમા અત્યાર સુધી બેભાન છે અને ભાનમાં નથી આવ્યો. પચોરીએ કહ્યું હતું કે પાલિયા ફરાર છે અને તેને પકડવાના પ્રયાસ જારી છે.