આઈસીસીની વર્લ્ડ કપ ટીમના કેપ્ટન તરીકે રોહિતની પસંદગી

દુબઈઃ ક્રિકેટની રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ વર્લ્ડ કપ-2023ની સમાપ્તિ બાદ આઈસીસી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. એમાં કેપ્ટન તરીકે રોહિત શર્માને પસંદ કર્યો છે. આ ઈલેવનમાં ભારતના છ ખેલાડી છે, જેમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વિરાટ કોહલીનો પણ સમાવેશ છે.

અમદાવાદમાં ગઈ કાલે રમાઈ ગયેલી વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું, પણ રોહિત શર્માએ ટીમની સરસ રીતે દોરવણી કરી હતી અને પોતે નિર્ભયતાપૂર્વક બેટિંગ કરી હતી. આ બંને ગુણ માટે તેની ક્રિકેટજગતમાં પ્રશંસા થઈ છે. ટુર્નામેન્ટમાં એ સૌથી વધુ રન કરનાર બેટર્સની યાદીમાં બીજા ક્રમે રહ્યો – 597 રન કરીને. પહેલા ક્રમે વિરાટ કોહલી રહ્યો – 765 રન સાથે. રોહિતે 1 સેન્ચૂરી અને ત્રણ હાફ સેન્ચૂરી ફટકારી હતી. 11 મેચોમાં એની બેટિંગ સરેરાશ રહી 54.27 રનની. કોહલીએ ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી હતી.

આ છે આઈસીસીની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટઃ

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • ક્વિન્ટન ડી કોક
  • વિરાટ કોહલી
  • ડેરીલ મિચેલ
  • કે.એલ. રાહુલ (વિકેટકીપર)
  • ગ્લેન મેક્સવેલ
  • રવિન્દ્ર જાડેજા
  • જસપ્રિત બુમરાહ
  • મોહમ્મદ શામી
  • એડમ ઝેમ્પા
  • દિલ્શાન મદુશંકા.
  • (12મો ખેલાડીઃ જેરાલ્ડ કોએટ્ઝી)