કોહલીનો દક્ષિણ આફ્રિકાની સિરીઝ જીતવા ‘વિરાટ’ હુંકાર

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી લીધી છે. જેથી કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ન્યુ ઝીલેન્ડ સામેની જીત ઘણી સુખદ છે. ટીમ ઇન્ડિયાનું આગામી મિશન દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ છે, જેમાં કોહલીની નજર ટેસ્ટ સિરીઝ જીતવા પર છે.

ટીમ ઇન્ડિયાએ મયંક અગ્રવાલની બેટિંગ અને બીજી ઇનિંગ્સમાં જયંત યાદવે લીધેલી ચાર વિકેટના દમ પર બીજી ટેસ્ટમાં ન્યુ ઝીલેન્ડને 372 રનથી સજ્જડ હાર આપીને ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ અને ત્રણ વનડેની સિરીઝ રમવાની છે. ન્યુ ઝીલેન્ડને હરાવ્યા પછી કોહલી કહ્યું હતું કે અમે આ જીતની માનસિકતાની સાથે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતવા ઇચ્છીએ છીએ. દક્ષિણ આફ્રિકા સામે ટીમ 26 ડિસેમ્બરથી મેચ શરૂ થશે.

ટીમ ઇન્ડિયાનો દેખાવ સારો હોવાથી ટીમનું મનોબળ ઊંચું છે. અમે કાનપુર ટેસ્ટ પર ચર્ચા કરી હતી, જ્યાં ન્યુ ઝીલેન્ડની ટીમ ડ્રો ખેંચવામાં સફળ રહી હતી. બોલરોએ સારી મહેનત કરી હતી, પરંતુ કિવીના બેટ્સમેનો ડ્રો ખેંચવામાં સફળ રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકાની પિચ ઉછાળવાળી હશે, જેથી ઝડપી બોલરોને લાભ થશે. જેથી આ સિરીઝમાં એક સારો પડકારનો સામનો અમારે કરવો પડશે, એમ કોહલીએ કહ્યું હતું.