રીષભ પંત આઈપીએલ-2024માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્ત્વ સંભાળવા સજ્જ

નવી દિલ્હીઃ ભારતનો વિકેટકીપર-બેટર રિષભ પંત આવતા વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મોસમમાં રમવા માટે સજ્જ થઈ ગયો છે. તે દિલ્હી કેપિટલ્સ ટીમનું નેતૃત્ત્વ સંભાળશે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, દિલ્હી કેપિટલ્સ ટીમના અધિકારીઓએ એમ કહ્યું છે કે, 26 વર્ષીય પંત હાલ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં પુનઃસ્વાસ્થ્ય લાભ મેળવવાની પ્રક્રિયા હેઠળ છે. તે ફેબ્રુઆરીના અંત સુધીમાં ફિટનેસ સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લેશે એવી ધારણા રખાય છે. તે આઈપીએલ-2024માં સક્રિય રીતે ભાગ લઈ શકશે કે નહીં તે નિર્ણય એનસીએના મેનેજરો તરફથી મંજૂરી મળવાના આધારે લેવામાં આવશે. ધારો કે એ વિકેટકીપિંગ કરી નહીં શકે તો ફિલ્ડિંગ કરશે, બેટિંગ કરશે અને ટીમનું નેતૃત્ત્વ સંભાળશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પરવાનગી આપશે તો જ એ વિકેટકીપિંગ કરશે.

2023ની આઈપીએલ સ્પર્ધામાં દિલ્હી કેપિટલ્સ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 9મા ક્રમે રહી હતી. દેખીતી રીતે જ, ટીમને રિષભ પંતની ગેરહાજરીનો અનુભવ થયો હતો. પંતને ગયા વર્ષની 30 ડિસેમ્બરે એની કારમાં જતો હતો ત્યારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર એની કાર ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી અને એમાં આગ લાગી હતી. આસપાસનાં લોકોએ એ દ્રશ્ય જોયું હતું અને તરત જ તેઓ પંતની મદદે દોડી ગયા હતા. એને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એની કાર આગમાં સંપૂર્ણપણે નાશ પામી હતી. પંતને પગમાં, જમણા ઘૂંટણમાં, જમણા હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સદ્દભાગ્યે એને મગજમાં કે કરોડરજ્જુમાં કોઈ ઈજા થઈ નહોતી.