હાર્દિકે માત્ર બેટ્સમેન તરીકે T20 વર્લ્ડ-કપમાં રમવું મુશ્કેલઃ આકાશ

નવી દિલ્હીઃ BCCIની યજમાનીમાં 17 સપ્ટેમ્બરથી UAEમાં રમાનારા T20 વર્લ્ડ કપ પહેલાં શિખર ધવનની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે છે. શ્રીલંકા પ્રવાસમાં ટીમ ત્રણ મેચોની વનડે સિરીઝ અને ત્રણ મેચોની T20ની સિરીઝ રમવાની છે, જેની પહેલી મેચ 13 જુલાઈએ રમાવાની છે. શિખર ધવનની મેચમાં કેટલાય યુવા ખેલાડીઓ છે.

બીજી બાજુ પીઠની સર્જરી પછી બોલિંગથી કરવાથી દૂર રહેલા હાર્દિક પંડ્યાને ભૂતપૂર્વ બેટ્સમેન અને કોમેન્ટેટર આકાશ ચોપડાએ T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માટે મહત્ત્વની સલાહ આપી છે. આકાશ ચોપડાનું માનવું છે કે જો હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવું હશે તો માત્ર ઓલરાઉન્ડર તરીકે વાપસી કરી શકાય એમ છે. એટલે હાર્દિક બોલિંગ કરવી જ પડશે.

વળી, સર્જરી પછી હાર્દિક પંડ્યાની ફિટનેસ સતત ચર્ચાનો વિષય બની છે. તેણે આઇપીએલની 13 અને 14મી સીઝનમાં અત્યાર સુધીની મેચોમાં એક ઓવરની બોલિંગ નથી કરી, પણ માર્ચમાં ઇંગ્લેન્ડની સામે રમાયેલી T20 સિરીઝમાં છેલ્લે બોલિંગ કરતો નજરે ચઢ્યો હતો. આવામાં સવાલ એ છે કે તે શ્રીલંકા પ્રવાસમાં બોલિંગ કરશે કે નહીં.

આકાશ ચોપડાએ કહ્યું હતું કે હાર્દિક માટે સમય આવી ગયો છે કે હવે તેણે બોલિંગ શરૂ કરી દેવી જોઈએ. પંડ્યાએ જો T20 વર્લ્ડ કપની ટીમમાં પરત ફરવું હોય તો બોલિંગ કરવી પડશે, કેમ કે એનાથી ટીમમાં બેલેન્સ આવે છે. માત્ર બેટ્સમેન તરીકે ટીમમાં રમવું મુશ્કેલ બાબત છે.