હરભજન સિંહે પાકિસ્તાન સામે ભારતની પ્લેઇંગ-11 પસંદ કરી

નવી દિલ્હીઃ ભારત T20 વર્લ્ડ કપમાં પહેલી મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. આ મેચને લઈને માહોલ ગરમ થઈ ગયો છે. ટીમ ઇન્ડિયા મેલબર્ન પહોંચી ગઈ છે. બધા ક્રિકેટના એક્સપર્ટ અને ભૂતપૂર્વ ક્રિકેટર ભવિષ્યવાણી કરવામાં પડ્યા છે. ભારતીય ટીમના પ્લેઇંગ 11ને લઈને ચર્ચા જારી છે. આવામાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પાકિસ્તાન સામેની પ્લેઇંગ 11નું એલાન કરી દીધું છે.

હરભજન સિંહે પ્લેઇંગ 11માં ઋષભ પંત અને આર. અશ્વિનને જગ્યા નથી આપી. ભજ્જીની ટીમમાં દિનેશ કાર્તિક છે. તેણે ઝડપી બોલરોમાં મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપની પસંદગી કરી છે. ભજ્જીએ હર્ષલ પટેલને પાકિસ્તાનની સામે પ્લેઇંગ 11થી બહાર રાખ્યો છે.

હરભજને આ વિશે કહ્યું હતું કે મને લાગે છે કે ટીમમાં રોહિત શર્મા, KL રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને અક્ષર પટેલ હશે. એ ઉપરાંત યુજી ચહલ રમશે. ઝડપી બોલર તરીકે અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી હશે.

તેણે કહ્યું હતું કે મને નથી લાગતું કે અશ્વિનને તક મળે, કેમ કે અક્ષર પટેલની હાજરીમાં બેટિંગ થોડી લાંબી દેખાય છે. જો અક્ષર પટેલ નથી રમતો તો તમે T20માં આર. અશ્વિનની બેટિંગ પર એટલા નિર્ભર ના રહી શકો. ભજ્જીએ ટીમમાં મોહમ્મદ શમીને રાખ્યો છે.