વંટોળ, વરસાદવાળી મુશ્કેલ રાતો પણ વીતી જશેઃ સાક્ષી મલિક

નવી દિલ્હીઃ દિલ્હીમાં ગઈ કાલે મોડી રાત્રે વંટોળ અને પાણીએ રાજધાનીને પાણી-પાણી કરી દીધું હતું, તો જંતર-મંતર પર બેઠલા પહેલવાનો માટે રાત કાળી કરી દીધી હતી. વાવાઝોડાએ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા જંતર-મંતર પર દેખાવો કરી રહેલા રેસલરોનો ટેન્ટ ઉખાડી દીધા હતા અને વરસાદથી તેમના ગોદડા પણ પલળી ગયા હતા. તેમને પડેલી પારાવાર મુશ્કેલીઓનો ઉલ્લેખ સાક્ષી મલિકે ટ્વીટ કરીને સમર્થકોની સાથે શેર કરી હતી.

સાક્ષી મલિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે વરસાદ અને વંટોળે અમારા ટેન્ટ ઊખડી ગયા છે, અમારે રાત્રે ભીના ગોદડા પર સૂવું પડ્યું હતું, પરંતુ નાનપણમાં મુશ્કેલીઓ વેઠી છે. આ મુશ્કેલ રાતો પણ વીતી રહેશે. તમને બધાને અમારા બધા –જંતર-મંતર પર બેઠેલા પહેલવાનો તરફથી શુભ રાત્રિ.રેસલરોની આ સમસ્યા પર દિલ્હી પંચનાં અધ્યક્ષ અને આપ પાર્ટીનાં નેતા સ્વાતિ માલીવાલે લખ્યું હતું કે વરસાદથી મોસમ ખુશનુમા થઈ ગઈ છે, પણ એક વાર એ ચેમ્પિયન્સ વિશે પણ વિચારો જે એ વરસાદમાં જંતર-મંતર પર દેખાવો કરી રહ્યા છે.

શું છે મામલો?

હરિયાણાના પહેલવાન વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયા જંતર-મંતર પર ધરણાં પર બેઠેલા છે. તેમનું કહેવું છે કે ભાજપના સાંસદ અને WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે કેટલીય યુવતીઓનું યૌન શોષણ કર્યું છે, જેથી તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ મામલે દિલ્હી પોલીસ FIR નોંધી કેસની તપાસ કરી રહી છે. પહેલવાનોની માગ છે કે બ્રિજભૂષણ શરણ સિંહની તરત ધરપકડ થવી જોઈએ ને તેમની ધરપકડ નહીં કરવામાં આવે, ત્યાં સુધી તેઓ દેખાવો કરતા રહેશે.