ભાવનગરનિવાસી IPL ખેલાડી ચેતન સાકરીયાના પિતાનું કોરોનાને કારણે અવસાન

ભાવનગરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં રાજસ્થાન રોયલ્સ વતી રમતા ભાવનગરનિવાસી ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતા કાનજીભાઈનું આજે અહીંની હોસ્પિટલમાં અવસાન થયું છે. ટીવી-9 ગુજરાતના અહેવાલ મુજબ, આઈપીએલમાંથી છૂટો કરાયા બાદ ચેતન તરત જ ભાવનગર આવી એના પિતાને હોસ્પિટલમાં મળવા ગયો હતો. ગઈ કાલે આખો દિવસ એ તેમની પાસે જ હતો, પણ આજે એમના નિધનના આઘાતજનક સમાચાર મળ્યા. કાનજીભાઈ સાકરીયા ટેમ્પો ડ્રાઈવર હતા. એમની તબિયત બગડી જતાં એમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. વધારે દુઃખદ વાત એ છે કે હજી અમુક મહિનાઓ પહેલાં જ ચેતને તેના નાના ભાઈ રાહુલને ગુમાવ્યો હતો, જેણે આત્મહત્યા કરી હતી, એમ ઈન્ડિયા ટીવીના અહેવાલમાં જણાવાયું છે.

પિતાની તબિયત સારી ન હોવાની ચેતનને ગયા અઠવાડિયે જ તેના પરિવાર દ્વારા ફોન મારફત જાણ કરવામાં આવી હતી. પિતા બીમાર હોવાથી પરિવારને મદદરૂપ થઈ શકાય એ માટે ચેતને રાજસ્થાન રોયલ્સ ટીમને વિનંતી કરતા એનો આઈપીએલ પગાર તરત જ એના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો હતો. ખેલાડીઓની હરાજી વખતે રાજસ્થાન રોયલ્સે ચેતનને રૂ.1 કરોડ 20 લાખની કિંમતે ખરીદ્યો હતો.