ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ પર મૌન કાયરતા નહીં, પરંતુ વ્યૂહરચનાઃ શશિ થરુર

નવી દિલ્હીઃ સાંસદ શશિ થરુરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ મુદ્દે મોદી સરકારની નીતિનું સમર્થન કર્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સરકારનું મૌન તેની કમજોરી નહીં, પરંતુ જવાબદાર વ્યૂહરચનાનો ભાગ છે. તેમણે જણાવ્યું હતું કે જે લોકો હાલ પશ્ચિમ એશિયા યુદ્ધ અંગે સરકારની શાંતિને કાયરતા ગણાવી રહ્યા છે, તેઓ કૂટનીતિની જટિલતાઓને સમજવામાં નિષ્ફળ રહ્યા છે.

આ મુશ્કેલ સમયમાં તમામ શક્તિઓ સાથે સંતુલન જાળવવું અત્યંત જરૂરી બની ગયું છે. તેમનું કહેવું છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો કોઈ પણ આ યુદ્ધને યોગ્ય ઠેરવી શકતું નથી. આ અખંડિતતા અને શાંતિપૂર્ણ ઉકેલના સિદ્ધાંતોના વિરુદ્ધ છે, જેમના માટે ભારત દાયકાઓથી ઊભું રહ્યું છે.

વિદેશ નીતિ અંગે થરુરે શું કહ્યું

તેમણે આગળ લખ્યું હતું કે કોઈ પણ દેશની વિદેશ નીતિ કોઈ શૈક્ષણિક સેમિનાર જેવી નથી, જ્યાં માત્ર સિદ્ધાંતો પર ચર્ચા થાય. પોતાના લેખમાં તેમણે કેટલીક ઐતિહાસિક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ભારતે અગાઉ પણ અનેક વખત રાષ્ટ્રીય હિતને સિદ્ધાંતો કરતાં પ્રાથમિકતા આપી છે. 1956નું હંગેરી સંકટ, 1968માં ચેકોસ્લોવાકિયામાં સોવિયત હસ્તક્ષેપ અને 1979માં અફઘાનિસ્તાન પર સોવિયત સંઘના આક્રમણના સમયમાં ભારતે ખુલ્લી ટીકા કરી નહોતી. કારણ કે તે સમયે સોવિયત સંઘ ભારતનો સૌથી મોટો હથિયાર પુરવઠાકાર અને વ્યૂહાત્મક ભાગીદાર હતો. તેથી જાહેરમાં ન બોલવું પણ એક વ્યૂહરચનાનો ભાગ હતું. તેમણે ઉમેર્યું હતું કે યુક્રેન યુદ્ધ અને ઈરાન સંબંધિત હાલની પરિસ્થિતિમાં પણ ભારત સમાન વ્યૂહરચના અપનાવતું દેખાઈ રહ્યું છે.

સોનિયા ગાંધી શું બોલ્યાં હતાં?

શશિ થરુરની આ ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આ મુદ્દે સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલે ભારત સરકારની ખામોશી આશ્ચર્યજનક છે. તેમના મુજબ, જ્યારે કોઈ વિદેશી નેતાની હત્યા જેવા મુદ્દાઓ પર ભારત અખંડિતતા અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેઆમ સમર્થન નથી કરતું અને નિષ્પક્ષતા પરથી પાછળ હટતું દેખાય છે, ત્યારે સરકારની વિદેશ નીતિ પર પ્રશ્નો ઊભા થાય છે.