શક્સગામ ખીણ ભારતનો અભિન્ન ભાગ, ગેરકાયદે કબજો સ્વીકાર્ય નહીં: સેનાપ્રમુખ

નવી દિલ્હીઃ ભારતીય સેનાપ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ  આર્મી ડે પહેલાં યોજાયેલી પરંપરાગત પ્રેસ કોન્ફરન્સમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ખુલાસા કર્યા હતા. તેમણે ચીન અને પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ પર કડક પ્રહાર કરતા શક્સગામ ખીણ પર ચીનના દાવાઓને સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા હતા. એ સાથે જ પાકિસ્તાનને ચેતવણી આપી કે સરહદ પાર હજુ પણ આતંકવાદી કેમ્પ સક્રિય છે અને ભારત તેમની પર કડક નજર રાખી રહ્યું છે.

 શક્સગામ ખીણ અંગે 1963નો કરાર ગેરકાયદે

શક્સગામ ખીણમાં ચીન દ્વારા બાંધકામ અને તેને પોતાનું ક્ષેત્ર ગણાવવાના પ્રયાસો અંગે જનરલ દ્વિવેદીએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત 1963ના ચીન–પાકિસ્તાન સરહદી કરારને માન્યતા આપતું નથી, જે હેઠળ પાકિસ્તાને ગેરકાયદે રીતે ભારતના 5180 ચોરસ કિમી વિસ્તારને ચીનને સોંપી દીધો હતો. સેનાપ્રમુખે ચીન–પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ને પણ ગેરકાયદે ગણાવ્યો હતો, કારણ કે તે ભારતીય વિસ્તારમાંથી પસાર થાય છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે શક્સગામ ખીણમાં ચીનની કોઈ પણ પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી.

LAC પર હાલ સ્થિરતા, પરંતુ સતર્કતા યથાવત્

ઉત્તરી સરહદ પર ચીન સાથેની હાલની સ્થિતિ અંગે સેનાપ્રમુખે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. 2024માં ડેમચોક અને દેપાસાંગ વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી શરૂ થયા બાદ પરિસ્થિતિ એપ્રિલ, 2020 પહેલાં જેવી બની ગઈ છે. બંને દેશોની સેનાઓ વિશ્વાસ વધારવા માટે ‘એક્સપર્ટ ગ્રુપ’ અને ‘વર્કિંગ ગ્રુપ’ મારફતે કામ કરી રહી છે. LAC પર ભારતની તહેનાતી મજબૂત છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ સતત ચાલુ છે.

પાકિસ્તાનને કડક ચેતવણી

પાકિસ્તાન તરફથી ઊભા થતા આતંકી ખતરાઓ અંગે સેનાપ્રમુખે કડક આંકડા રજૂ કર્યા. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હાલ પણ આઠ આતંકી કેમ્પ સક્રિય છે, જેમાં 100થી 150 આતંકીઓ હાજર છે. આમાંથી 6 કેમ્પ LoC નજીક અને બે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે સ્થિત છે. મે, 2025માં થયેલા સૈન્ય ટકરાવ બાદ આતંકી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેમ છતાં ભારતીય સેના હાઈ એલર્ટ પર છે. તેમણે ચેતવણી આપી કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે, તો ભારતીય સેના કડક કાર્યવાહી કરવામાં સંકોચ કરશે નહીં.