સાઉદી અરેબિયાએ 56,000 પાકિસ્તાની ભિખારીઓની હકાલપટ્ટી કરી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. સાઉદી અરેબિયાએ ભીખ માગવાના આરોપમાં આશરે 56,000 પાકિસ્તાની નાગરિકોને પોતાના દેશમાંથી બહાર કાઢી મૂક્યા છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ 2025માં સંગઠિત ભીખ માગવાની ગેંગોને વિદેશ જવાથી રોકવા માટે 66,154 મુસાફરોને ફ્લાઇટમાંથી ઉતાર્યા હતા.

ઘરેલુ નો-ફ્લાય લિસ્ટ અને વિદેશી સરકારોની કડક ચેતવણીઓ હોવા છતાં  હજારો પાકિસ્તાની માત્ર ભીખ માગવા માટે વિદેશ યાત્રા કરી રહ્યા છે. સાઉદી અરેબિયા અને UAE એ પાકિસ્તાની નાગરિકો પર દેખરેખ વધારી છે. સાઉદી અને દુબઈમાં પાકિસ્તાની નાગરિકો સાથે જોડાયેલી સંગઠિત ભીખ માગવાની પ્રવૃત્તિઓ અને અન્ય ગુનાહિત કૃત્યો વિદેશોમાં ચિંતા ઊભી કરી રહ્યા છે. આ બધું પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડી રહ્યું છે. વિદેશોમાં અપમાન બાદ હવે પાકિસ્તાન પોતાના ભિખારીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. સાઉદી બાદ હવે UAE એ પણ પાકિસ્તાની નાગરિકો પર વિઝા પ્રતિબંધો લાદ્યા છે.

UAE એ ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં પ્રવેશ કર્યા બાદ કેટલાક લોકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા હતા. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર માત્ર સાઉદી અરેબિયાએ જ ભીખ માગવાના આરોપમાં 56,000 પાકિસ્તાનીઓને દેશ બહાર કાઢ્યા છે, જ્યારે UAE એ મોટા ભાગના પાકિસ્તાની નાગરિકો પર વિઝા પ્રતિબંધ લગાવ્યા છે. ખાડી દેશોનું કહેવું છે કે કેટલાક વિઝિટર્સ દેશમાં આવ્યા પછી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા હતા.

 અનેક દેશોમાંથી પાકિસ્તાની નાગરિકોને હાંકી કઢાયા

મુખ્તારે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ આ વર્ષે માત્ર ભીખ માગવાના આરોપમાં 56,000 પાકિસ્તાનીઓને બહાર કાઢ્યા હતા, જ્યારે દુબઈએ 6000થી વધુ લોકોને પરત મોકલ્યા છે. તેમણે કહ્યું હતું કે અઝરબૈજાને પણ આશરે 2500 પાકિસ્તાની ભિખારીઓને દેશમાંથી કાઢી મૂક્યા છે. આફ્રિકા અને યુરોપની યાત્રા સાથે જોડાયેલા આવા જ કેસો પણ સામે આવ્યા છે.

આ ઉપરાંત કમ્બોડિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં ટુરિસ્ટ વિઝાનો ખોટો ઉપયોગ થવાના મામલા પણ સામે આવ્યા છે. ગયા વર્ષે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને કહ્યું હતું કે તે ઉમરાહ વિઝાનો દુરુપયોગ કરીને મક્કા અને મદીના જેવાં પવિત્ર શહેરોમાં ભીખ માગવા જતા ભિખારીઓને રોકે.