મુંબઈ: કાળા હરણના શિકાર મામલે અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ અટકતી નથી. આટલું જ નહીં, આ કેસમાંથી આઝાદ થયેલા સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે પણ હવે મુશ્કેલીમાં આવી ગયા છે. શુક્રવારે રાજસ્થાન હાઈકોર્ટમાં કાળા હરણ શિકાર કેસમાં લીવ-ટુ-અપીલ પર સુનાવણી થઈ હતી. જેમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રને છોડી મૂકવાના નિર્ણય સામે પડકારવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ મનોજકુમાર ગર્ગની અદાલતે આ મામલાને અન્ય સંબંધિત કેસોની સાથે યાદીબદ્ધ કરવાનો આદેશ આપ્યો છે.
એડવોકેટ મહિપાલ બિશ્નોઇએ જણાવ્યું હતું કે પહેલી ઓક્ટોબર 1998એ જોધપુરના કાંકાણી ગામમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ની શૂટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર થયો હતો. આ કેસમાં ટ્રાયલ કોર્ટે 5 એપ્રિલ, 2018એ સલમાન ખાનને દોષિત ઠેરવતાં પાંચ વર્ષની સજા ફટકારી હતી. જ્યારે સાથી આરોપી સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને દુશ્યંતસિંહને આશંકાને આધારે છોડી મૂકવામાં આવ્યા હતા.
સલમાન ખાને ત્યાર બાદ સેશન કોર્ટે આપેલા ચુકાદાને પડકાર્યો હતો અને તે સમયથી જામીન પર છે. રાજસ્થાન સરકારે સલમાનની જામીન અને અન્ય આરોપીઓને છોડી મૂકવાના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં ધા નાખી છે. વકીલ મહિપાલ બિશ્નોઇએ કહ્યું હતું કે રાજ્ય સરકારની અપીલ પર ટ્રાન્સફર પિટિશનને મંજૂર કરવામાં આવી છે અને સલમાન ખાનની સજા સંબંધિત મામલો પણ તેમાં સામેલ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં કોઈ પણ પ્રગતિ થઈ નથી. તેથી, આજે (શુક્રવારે) અમે કોર્ટમાં બંને અપીલની સાથે સંયુક્ત રીતે સુનાવણી કરવાની વિનંતી કરી હતી. હવે આ મામલાની સુનાવણી 28 જુલાઈએ થશે, જેમાં તમામ સંબંધિત કેસો પર સંયુક્ત રીતે સુનાવણી કરવામાં આવશે.
