નવી દિલ્હીઃ દેશમાં રિટેલ મોંઘવારી એપ્રિલમાં માર્ચના 3.4 ટકાની સરખામણીએ વધીને 3.8 ટકા થઈ છે. આ સાથે મોંઘવારી દર હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ચાર ટકાના લક્ષ્યની વધુ નજીક પહોંચી ગયો છે, કારણ કે ખાદ્ય પદાર્થોના વધતા ભાવોની સીધી અસર હવે ઘરેલુ ખર્ચ પર દેખાવા લાગી છે.
ઉપભોક્તા ભાવ સૂચકાંક (CPI) મુજબ ગયા મહિને ખાદ્ય મોંઘવારી દર 4.2 ટકા રહ્યો હતો, જ્યારે માર્ચમાં તે 3.87 ટકા હતો. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર કચેરી (NSO)ના આંકડા મુજબ એપ્રિલ માટે અખિલ ભારતીય ઉપભોક્તા ભાવ સૂચકાંક (CPI) આધારિત વાર્ષિક મોંઘવારી દર (બેઝ યર 2024 સાથે) 3.48 ટકા રહ્યો હતો. ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે મોંઘવારી દર અનુક્રમે 3.74 ટકા અને 3.16 ટકા નોંધાયો હતો.
ગયા મહિને RBIએ 2026-27 માટે CPI મોંઘવારી દર 4.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જેમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1) તે ચાર ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. બેંકે એ પણ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને સંભવિત અલ નિનો પરિસ્થિતિઓ (જે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર નકારાત્મક અસર કરી શકે છે)ને કારણે ઊર્જાના ભાવ ઊંચા જ રહેવાની શક્યતા છે, જેને કારણે મોંઘવારી વધવાનું જોખમ યથાવત્ છે.
100 રૂપિયાની થાળી હવે 105 રૂપિયાની
એપ્રિલમાં કુલ ખાદ્ય મોંઘવારી 4.2 ટકા રહી હતી, એટલે કે 100 રૂપિયાની થાળી હવે આશરે 105 રૂપિયા (104.20 રૂપિયા)માં પડી રહી છે. જોકે આ સમયગાળા દરમિયાન બટાટાના ભાવમાં 23.69 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો, જ્યારે ડુંગળી 17.67 ટકા સસ્તી થઈ છે. ચણા અને વટાણાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બીજી તરફ ટામેટાના ભાવમાં 35.28 ટકા સુધીનો જંગી વધારો નોંધાયો હોવાનું આંકડાઓમાં સામે આવ્યું છે.
વીજળી, ગેસ અને ઈંધણ ક્ષેત્રે રાહત
રહેઠાણ, પાણી, વીજળી, ગેસ અને અન્ય ઈંધણ શ્રેણીમાં એપ્રિલ દરમિયાન મોંઘવારી દર 1.71 ટકા પર નીચો રહ્યો હતો. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ વધી રહ્યા હોવા છતાં સરકારે આ વધારાનો બોજ સીધો ગ્રાહકો પર મૂક્યો નથી, જેને કારણે સામાન્ય લોકોને થોડી રાહત મળી છે.



