ચેન્નઈઃ તામિલનાડુમાં સરકાર બનાવ્યાને હજુ માત્ર 10 દિવસ જ થયા છે, ત્યારે જોસેફ વિજયની પાર્ટી સામે મુશ્કેલીઓ વધી રહી છે. રાજ્યની ગઠબંધન સરકારને ટેકો આપતા સહયોગી દળોમાંથી એકે હવે TVK સરકારને આંખ બતાવવાનું શરૂ કર્યું છે. સહયોગી દળ CPI (M)એ તો ગઠબંધન સરકારમાંથી બહાર આવવાની ધમકી પણ આપી દીધી છે. CPI (M)એ કહ્યું છે કે જો AIADMK ગઠબંધનમાં સામેલ થશે તો તે સરકારને આપતા સમર્થન પર ફરી વિચાર કરશે.
AIADMK સાથે જોડાણ જનમતનું અપમાન
સરકારમાં સાથે રહેલા સહયોગી દળ CPI (M)એ જોસેફ વિજયની પાર્ટી TVKને આ ચેતવણી AIADMKના બળવાખોર જૂથને સરકારમાં સામેલ કરવાની ચર્ચા વચ્ચે આપી છે. મિડિયા દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં CPI (M)એ કહ્યું હતું કે AIADMKના કોઈ પણ જૂથને સરકારમાં સ્થાન આપવું જનતાના જનાદેશનું અપમાન ગણાશે. જનતાએ DMK અને AIADMK બંનેને નકારી કાઢ્યા છે.
CPI (M)ના એક વરિષ્ઠ નેતાને પૂછ્યું હતું કે AIADMKના બળવાખોર ધારાસભ્યો સરકારમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે. તેના જવાબમાં પાર્ટીએ કહ્યું કે ગઠબંધનમાં AIADMKને સામેલ કરવું TVKએ જનતાને આપેલા સ્વચ્છ અને પારદર્શક સરકારના વચન સાથે દગો સમાન હશે. CPI (M)એ વધુમાં જણાવ્યું હતું કે અમે TVKને સમર્થન આપી રહ્યા છીએ, કારણ કે તામિલનાડુ ફરી એક ચૂંટણી માટે તૈયાર નથી અને અમે નથી ઇચ્છતા કે ભાજપ રાજ્યમાં ફરી સત્તામાં આવે.
तमिलनाडु में CPI-M ने मुख्यमंत्री विजय को समर्थन वापस लेने की खुली धमकी दी
CPI-M ने कहा – अगर TVK ने AIADMK के विधायकों को सरकार में जगह दी और कैबिनेट में शामिल किया तो पार्टी अपना समर्थन वापस ले लेगी। pic.twitter.com/IiZelJHGDn
— Romita Tiwari (@romita_tiwari) May 20, 2026
108 બેઠકો પર મળી હતી જીત
જોસેફ વિજયની બે વર્ષ જૂની પાર્ટી TVKએ તામિલનાડુની દાયકાઓ જૂની પાર્ટીઓને પાછળ છોડીને શાનદાર જીત મેળવી હતી. TVKએ રાજ્યની 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતેલી, પરંતુ બહુમતીના આંકડાથી તે 11 બેઠકો પાછળ રહી ગઈ હતી. ઘણા દિવસોની ચર્ચા અને રાજકીય ખેંચતાણ પછી CPI, CPI (M), VCK, IUML અને કોંગ્રેસે TVKને સમર્થન આપ્યું, જેને કારણે તામિલનાડુમાં TVKની સરકાર રચાઈ શકી હતી. ચૂંટણીમાં કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી, જ્યારે VCK, CPI, CPI (M) અને IUMLને બે-બે બેઠકો મળી હતી.

AIADMKના 24 ધારાસભ્યોએ આપ્યું હતું સમર્થન
13 મેએ AIADMK પાર્ટીના નેતાઓ વચ્ચેના મતભેદ ખુલ્લા પડ્યા હતા અને પાર્ટીના એક જૂથે 24 ધારાસભ્યો સાથે TVKને સમર્થન આપ્યું હતું. જેને કારણે TVK સરળતાથી ફ્લોર ટેસ્ટ પાસ કરી શકી હતી. જોકે AIADMKના મહાસચિવ ઈ. પાલનિસ્વામીએ આ પ્રસ્તાવને વિટો કર્યો હતો.




