સરકારે 15 એપ્રિલ બાદ જંત્રીના ભાવમાં બમણો વધારો કરવાનું નક્કી કર્યું

સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામા આવ્યો છે. સરકારે 15 એપ્રિલ બાદ જંત્રીના ભાવમાં બમણો વધારો કરવાનું નક્કી કર્યું છે. જેથી રજિસ્ટાર કચેરી ખાતે નોંધણી કરવા માટે લોકોની ભીડ જોઈને રજાના દિવસે પણ નોંધણીની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દસ્તાવેજોની નોંધણીના કામગીરી રજાના દિવસે ચાલુ રહેશે

જૂની જંત્રીની અવધી પૂરી થવામાં અને નવી જંત્રીનો અમલ થવાનો સમય નજીક આવતા દસ્તાવેજ કરાવવા માટે ધસારો વધી રહ્યો છે.ત્યારે નોંધણી કરવા માટેની કામગીરી રજાના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જંત્રી માટે નોંધણી કરવવા માટે તા.4/04/2023, તા.07/04/2023 તથા તા.08/04/2023ના જાહેર રજાના દિવસોએ રાજયની તમામ 287 સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

સ્ટેમ્પ ડયુટીને લઈને સ્પષ્ટતા

15 એપ્રિલ પછી નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજો આ તારિખ પહેલા કરી આપેલ હશે, 15 એપ્રિલ પહેલા પક્ષકારોની સહી નોંધણી માટે તૈયાર હશે આવા દસ્તાવેજો પર પક્ષકારોની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં તા.15 /04/2023થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં, પરંતુ, તે પહેલાંના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકીમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.

મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ

તા.15/04/2023પહેલાં પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલ હશે, અને તા.15/04/2023પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલ મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે, તો તેવા કીસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના (એટલે કે વધારેલ) ભાવ મુજબ થતી મિલકતની બજારકીમત મુજબની સ્ટેમ્પ ડયુટીની રકમમાંથી બાનાખત ઉપર રૂ.300/- થી વધુ રકમની વાપરેલ સ્ટેમ્પ ડયુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડયુટીની રકમમાં મજરે ગણવામાં આવશે.

જાહેર રજાના દિવસે કામગીરી રહેશે ચાલુ

રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણી કામગીરીના પ્રમાણ તથા જાહેર જનતાના હીતને ધ્યાનમાં રાખી તા.4/04/2023, તા.07/04/2023 તથા તા.08/04/2023ના જાહેર રજાના દિવસોએ રાજયની તમામ 287 સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે. જેથી, તા.04/04/2023, તા.07/04/2023 તથા તા.08/04/2023ના રોજ રાજયની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે નિયમિત દિવસની જેમ જ ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી થશે.