PM મોદીનું ત્રિનિદાદ અને ટોબેગોમાં ‘ભોજપુરી’ સ્વાગત

ત્રિનિદાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રસિદ્ધ કેરેબિયન દેશ ત્રિનિદાદ એન્ડ ટોબેગોના પ્રવાસે પહોંચ્યા છે. તેમનું ત્યાં પરંપરાગત ભોજપુરી ચૌતાલથી  ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ત્રિનિદાદ એન્ડ ટોબેગો દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ નવાજવામાં આવશે.

PM મોદીએ ત્યાં પોર્ટ ઓફ સ્પેન શહેરના નેશનલ સાઇક્લિંગ વેલોડ્રોમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં એક બાજુ તેમણે બિહાર સાથે જોડાયેલી વાતો કરી હતી અને બીજી બાજુ તેમણે ક્રિકેટના ઉલ્લેખ દ્વારા આપણી સંસ્કૃતિ અને જોડાણની મજબૂતી પણ દર્શાવી હતી.

વડા પ્રધાને સામુદાયિક કાર્યક્રમમાં વારંવાર બિહારના ઉલ્લેખ કર્યો હતો. ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં મોટા પ્રમાણમાં ભોજપુરી બોલતા બિહારી મૂળના લોકો વસે છે, જેમના પૂર્વજોને કોઈ સમયે બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાંથી મજૂરી માટે ત્યાં લઈ જવામાં આવ્યા હતા. આજે તે લોકો દેશના અગત્યની ભૂમિકા ધરાવે છે. ત્રિનિદાદ એન્ડ ટોબેગોનાં PM કમલા પ્રસાદ-બિસેસર પણ ભારતીય મૂળનાં છે.

PM મોદીએ કહ્યું હતું કે હું જાણું છું કે તમારા પૂર્વજોની યાત્રા કેટલી સાહસભરી હતી. તેમણે પોતાનું બધું છોડીને પણ પોતાની આત્માની શક્તિ સાથે દુઃખદ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. તેમણે ગંગા-યમુનાને પાછળ છોડી હતી અને દિલમાં રામાયણ લઈ ગયા. તેઓ માત્ર પરદેશ યાત્રાએ નહીં, પણ તેઓ એક પ્રાચીન સંસ્કૃતિના સંદેશવાહક હતા.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે PM કમલાના પૂર્વજો બિહારના બક્સરથી હતા. તેઓ પોતે ત્યાં જઈ આવી છે. આ બિહારની દીકરી છે. અહીં રહેલા ઘણા લોકોના મૂળ પણ બિહાર સાથે જોડાયેલા છે. આજે બિહારની ધરોહર સમગ્ર વિશ્વ માટે ગૌરવનું કારણ છે. બિહારે સદીઓથી દુનિયાને અનેક વિષયોમાં નવી દિશા આપી છે. 21મી સદીમાં પણ બિહારની ધરતી પરથી દુનિયાને નવી પ્રેરણાઓ મળશે, એ મારી આશા છે.