POKના લોકોને જલદી ભારતમાં સામેલ કરાશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનવાળા કબજાબાળા કાશ્મીર (POK)ના લોકો ભારતના પરિવારનો હિસ્સો છે. તેઓ ખુદ ભારતની મુખ્ય ધારામાં પરત ફરશે. મારું માનવું છે કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના લોકો આપણા છે, આપણા પરિવારનો હિસ્સો છે, એમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વાર્ષિક વેપાર શિખર સંમેલન-2025માં જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આજે વિશ્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ વિવાદ ચાલી રહ્યા છે. આમ તો તેનાં ઘણાં કારણો છે, પરંતુ આજની આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાનું મુખ્ય કારણ છે વિશ્વાસમાં આવેલો ઘટાડો.

તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષામાં ‘મેક ઇન ઇન્ડિયા’ એક અગત્યનું પાસું છે. જો અમારી પાસે આ ક્ષમતા ન હોત તો ભારતની સેનાઓ પાકિસ્તાનના નીચલા ભાગથી લઈને PoK સુધી આતંકવાદ સામે એટલી અસરકારક કાર્યવાહી ન કરી શકત. આતંકવાદ ચલાવવો કોઇ કોસ્ટ ઇફેક્ટિવ વ્યવસાય નથી, પણ તેની ખૂબ ભારે કિંમત ચૂકવવી પડી શકે છે, અને તેનો અંદાજ આજે પાકિસ્તાનને થઇ ગયો છે.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે હવે જયારે પણ વાત થશે તો ફક્ત આતંકવાદ અને PoK પર જ થશે.”

તેમણે આગળ કહ્યું હતું કે હું માનું છું કે POKના લોકો આપણા પોતાના છે, આપણા પરિવારમાંના એક ભાગ છે. અમે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ માટે પ્રતિબદ્ધ છીએ અને અમને પૂરું વિશ્વાસ છે કે અમારા તે ભાઈઓ, જે આજે ભૌગોલિક અને રાજકીય રીતે અમાથી અલગ છે, તેઓ પણ પોતાના આત્મસન્માન, આત્માની અવાજ અને સ્વેચ્છાથી ભારતમાં મુખ્ય ધારામાં ક્યારેક તો જરૂરથી પાછા ફરશે. ત્યાંના મોટા ભાગના લોકો ભારતમાં ઊંડું જોડાણ ધરાવે છે.