પટના: પટનામાં ફરી એક વાર હોબાળો થયો છે. અહીંના ગાંધી મેદાનમાં હજારો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માગ છે કે કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા રદ કરવામાં આવે. આ દરમિયાન જેપી ગોલંબર પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
બિહાર કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા રદ કરવાની માગ
બિહારમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા 27 મેએ યોજાઈ હતી. આ પરીક્ષા દ્વારા કુલ ,799 જગ્યાઓ ભરવાની હતી. હવે વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિ થઈ છે. વિદ્યાર્થીઓની માગ છે કે આ પરીક્ષા રદ કરવામાં આવે.
વિદ્યાર્થીઓએ મુખ્ય મંત્રી નિવાસના ઘેરાવની જાહેરાત કરી
બિહાર કોન્સ્ટેબલ (1799 જગ્યાઓ)ની મુખ્ય પરીક્ષા રદ કરવાની માગ સાથે ઉમેદવારોએ આજે મુખ્ય મંત્રી નિવાસનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. આ માગને લઈને પટનાના અનેક વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ અને વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે.
EOU હજુ પણ પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરી રહી છે
પ્રાપ્ત માહિતી મુજબ EOU હજુ આ પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ કરી રહી છે. 79 અલગ-અલગ કતારો અને રૂમમાં કુલ 301 ઉમેદવારોનાં પરિણામ પણ તપાસના દાયરામાં છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન પૂર્ણિયા અને ગયા ખાતે પણ ગેરરીતિ સામે આવી હતી. EOUએ આયોગને નોટિસ મોકલીને આ તમામ મુદ્દાઓ પર વિગતવાર જવાબ આપવા કહ્યું છે.
વિદ્યાર્થીઓની મુખ્ય માગ
- વિદ્યાર્થીઓનું કહેવું છે કે 70મી BPSC પરીક્ષા અને 1799 જગ્યાઓ માટેની કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા થઈ છે. વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે આ પરીક્ષાઓ અને ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવે.
- વિદ્યાર્થીઓનું કહેવું છે કે બિહાર કર્મચારી પસંદગી આયોગ (BSSC)ની અટકેલી પરીક્ષાઓ વહેલી તકે યોજવામાં આવે.
- વિદ્યાર્થીઓની માગ છે કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે અને ગેરરીતિઓની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે.




