પંજા, લાલટેનવાળાઓએ બિહારના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીઃ PM મોદી

સિવાનઃ બિહારમાં ચાર મહિના બાદ વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એક વાર ફરીથી બિહારની મુલાકાતે છે. સિવાનમાં આયોજિત જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે સિવાન એ બંધારણને બળ આપતી ભૂમિ છે. આ ભૂમિ સ્વતંત્રતા સંગ્રામની ભૂમિ છે. બિહાર દરેક ક્ષેત્રે ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે હમણાં જ વિદેશ મુલાકાતથી પરત આવ્યો છું. અનેક સમૃદ્ધ દેશોના નેતાઓ સાથે વાત થઈ. તમામ નેતાઓ ભારતની ઝડપી પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત છે. આખી દુનિયા ભારતમાં વિશ્વની ત્રીજી મોટી મહાશક્તિને જોઈ રહી છે અને તેમાં નિશ્ચિતરૂપે બિહારની મોટી ભૂમિકા રહેવાની છે.

તેમણે કહ્યું હતું કે જંગલરાજવાળાઓ તક શોધી રહ્યા છે, વિવિધ હથકંડા અપનાવી રહ્યા છે. બિહારનાં પ્રિય ભાઈઓ-બહેનો, તમારું અને તમારાં બાળકોનું ઉજ્જળ ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે તમારે સતર્ક રહેવું પડશે. જે બિહારે સદીઓ સુધી ભારતની પ્રગતિને નેતૃત્વ આપ્યું, તેને પંજા અને લાલટેનના શિકંજાએ સ્થળાંતરની ઓળખ આપી દીધી હતી. પંજા અને લાલટેનવાળાઓએ બિહારના સ્વાભિમાનને ઘેરી ઠેસ પહોંચાડી છે. દરેક ચૂંટણીમાં આવીને એ લોકો કહેતા કે ‘ગરીબી હટાવો-ગરીબી હટાવો’. પરંતુ તમે જ્યારે NDA સરકારને તક આપી, ત્યારે ખબર પડી કે ગરીબી ખરેખર ઘટાડી શકાય છે. દેશમાં 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. વિશ્વ હવે ભારતની પ્રશંસા કરી રહ્યું છે.