પાકિસ્તાનનો ગોલ્ડન ટેમ્પલ પરનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાને સુવર્ણ મંદિર પર ડ્રોનથી હુમલો કર્યો હતો, પરંતુ આ હુમલો સમયસર નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના દરેક હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. ઓપરેશન સિંદૂર દરમિયાન, સુવર્ણ મંદિરની બધી લાઈટો બંધ કરી દેવામાં આવી હતી.

15મી ઇન્ફેન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રિએ સોમવારે જણાવ્યું હતું કે સેનાના એર ડિફેન્સ ગનર્સે સુવર્ણ મંદિર પર છોડવામાં આવેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા હતા.

તેમણે કહ્યું હતું કે અમને અંદાજ હતો કે તેઓ ભારતીય સૈન્ય મથકો, ધાર્મિક સ્થળો અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવશે. આમાંથી સુવર્ણ મંદિર સૌથી પ્રખ્યાત હતું. સુવર્ણ મંદિરને સંપૂર્ણ હવાઈ સંરક્ષણ કવચ પૂરું પાડવા માટે અમે વધારાનાં આધુનિક શસ્ત્રો એકત્રિત કર્યાં હતાં. આઠ મેએ સવારના અંધારામાં, પાકિસ્તાને માનવરહિત હવાઈ શસ્ત્રો, મુખ્યત્વે ડ્રોન અને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરીને એક વિશાળ હવાઈ હુમલો કર્યો.

તેમણે કહ્યું કે અમે આ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર હતા, કારણ કે અમને તેની અપેક્ષા રાખી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય સેના એક વ્યાવસાયિક અને જવાબદાર દળ છે, જેણે હંમેશાં કોઈ પણ ઉશ્કેરણી વિના સંયમિત રીતે જવાબ આપ્યો છે. અમે ફક્ત આતંકવાદી ઠેકાણાંઓ પર જ સચોટ હથિયારોથી હુમલો કર્યો છે, જેનો પાકિસ્તાની સેનાએ પણ સ્વીકાર કર્યો છે. તે જ સમયે પાકિસ્તાની સેના પાસે ભારત પર હુમલો કરવા માટે કોઈ કાયદેસર લક્ષ્ય નથી અને ન તો પાકિસ્તાની સેના પાસે ભારતીય સેનાનો સામનો કરવાની હિંમત અને ક્ષમતા છે. પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ રાષ્ટ્રીય નીતિ તરીકે કરે છે. પાકિસ્તાને તેની ધરતી પરથી માનવરહિત હવાઈ શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.