નવી દિલ્હી: મંગળવારે સંસદમાં જણાવવામાં આવ્યું હતું કે પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના હેઠળ કુલ 25,02,217 રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2026માં (5 માર્ચ સુધી) રૂ. 14,585.29 કરોડના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે નાણાકીય વર્ષ 2025માં રૂ. 7,822.92 કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પાવર અને નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઇકે રાજ્યસભામાં જણાવ્યું હતું, “યોજના હેઠળ, રાષ્ટ્રીય પોર્ટલ પર 63,26,125 અરજીઓ પ્રાપ્ત થઈ છે, અને 05.03.2026 સુધીમાં કુલ 25,02,217 રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.”
૨૦૨૪માં શરૂ કરાયેલ, પીએમ મફ્ત વીજળી યોજના એક માંગ-આધારિત યોજના છે. જેમાં દેશના તમામ રહેણાંક ગ્રાહકો જેમની પાસે સ્થાનિક ડિસ્કોમના ગ્રીડ કનેક્ટેડ વીજળી કનેક્શન છે તેઓ યોજનાના રાષ્ટ્રીય પોર્ટલ પર અરજી કરીને રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવા માટે યોજનાનો લાભ મેળવી શકે છે.
સરકારનો અંદાજ છે કે એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાથી ૧,૦૦૦ અબજ યુનિટની નવીનીકરણીય વીજળી ઉત્પન્ન થઈ શકે છે. જે સિસ્ટમ્સના ૨૫ વર્ષના જીવનકાળ દરમિયાન ૭૨૦ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ (CO2) સમકક્ષ ઉત્સર્જન ઘટાડી શકે છે. ૨૦૨૫ના અંત સુધીમાં અમલમાં મુકાયેલા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
એક અલગ પ્રશ્નના જવાબમાં, મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં કુલ ૨૬૬.૭૮ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોત-આધારિત વીજળી ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે (૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં). આમાં 258.00 GW રિન્યુએબલ એનર્જી (135.81 GW સોલર પાવર, 54.51 GW વિન્ડ પાવર, 11.61 GW બાયો એનર્જી, 5.16 GW સ્મોલ હાઇડ્રો પાવર, 50.91 GW લાર્જ હાઇડ્રો પાવર) અને 8.78 GW ન્યુક્લિયર પાવર ક્ષમતાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM) પણ અમલમાં મૂકી રહી છે. જેનો ઉદ્દેશ્ય ભારતને ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે.




