નવી દિલ્હીઃ પૂર્વી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના રુબાયા વિસ્તારમાં આવેલી એક વિશાળ કોલ્ટન ખાણ ધસી પડવાના ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 227 લોકોનાં કરુણ મોત થયાં છે. ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનને કારણે બુધવારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ખાણના કાટમાળમાં હજુ પણ અનેક લોકો દટાયેલા હોવાની આશંકા છે, જેને કારણે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે.
વરસાદ અને ભૂસ્ખલન મોતનું કારણ
સ્થાનિક બળવાખોરો દ્વારા નિયુક્ત પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા લુમુમ્બા કામ્બેરે મુયિસાએ જણાવ્યું હતું કે કાટમાળની ઝપટમાં ફક્ત ખાણકામ કરતા મજૂરો જ નહીં, પરંતુ ત્યાં હાજર બાળકો અને બજારમાં કામ કરતી મહિલાઓ પણ આવી ગઈ હતી. તેમના જણાવ્યાનુસાર હાલ વિસ્તારમાં વરસાદી મોસમ ચાલી રહી છે, જેને કારણે જમીન અત્યંત નબળી અને અસ્થિર બની ગઈ હતી. જ્યારે લોકો ખાણના ખાડાઓમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઉપરથી જમીન ધસી પડી અને લોકો જીવતા દફનાઈ ગયા હતા.
મોબાઇલ ફોનમાં વપરાતું ખનિજ અહીંથી મળે છે
રુબાયા વિસ્તાર વૈશ્વિક કોલ્ટન ઉત્પાદનનો આશરે 15 ટકા હિસ્સો પૂરો પાડે છે. આ ખનિજને શુદ્ધીકરણ કરીને ‘ટેન્ટાલમ’ કાઢવામાં આવે છે, જે મોબાઇલ ફોન, લેપટોપ, એરોસ્પેસ પાર્ટ્સ અને ગેસ ટર્બાઇનમાં વપરાતી એક કીમતી ધાતુ છે. વિટંબણા એ છે કે વૈશ્વિક ટેક્નોલોજીને ગતિ આપતું આ ખનિજ અહીં સ્થાનિક મજૂરો દ્વારા માત્ર થોડા ડોલરની દૈનિક મજૂરીમાં જીવના જોખમે કાઢવામાં આવે છે.

બચાવ કામગીરીમાં પડકારો
વર્ષ 2024થી આ ખાણ AFC/M23 બળવાખોર જૂથના નિયંત્રણમાં છે. એક સ્થાનિક ખાણકામદાર ફ્રેંક બોલિંગોએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન એટલું ભયાનક હતું કે ઘણા લોકો સીધા જ શાફ્ટ (ઊંડા ખાડા)માં ફસાઈ ગયા. જોકે કેટલાક લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે. આ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષ અને ખરાબ હવામાનના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.




