નવી દિલ્હીઃ વિરોધ પક્ષોએ ફરી ઓપરેશન સિંદૂરને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે, જે માટે I.N.D.I.A બ્લોકની બેઠક મળી હતી. તેમાં 16 વિપક્ષી પાર્ટીઓએ ભાગ લીધો હતો. TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયને માહિતી આપી હતી કે તમામ પક્ષોએ PMને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે.
જોકે આમ આદમી પાર્ટી આ બેઠકમાં હાજર રહી નહીં. ડેરેકે કહ્યું કે AAP બુધવારે વડા પ્રધાનને એક અલગથી પત્ર મોકલશે.આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (AITC), દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK), શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), રાષ્ટ્રીય જનતા દળ (RJD), જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI), રિવોલ્યુશન સોશલિસ્ટ પાર્ટી (RSP), ઝારખંડ મુક્તિ મોરચા (JMM), વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK), કેરળ કોંગ્રેસ, મારુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK), અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી-લેનિનવાદી) લિબરેશનએ હાજરી આપી હતી.
કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અને આતંકવાદ વિરુદ્ધ ભારતના વલણને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે 7 સર્વપક્ષી ડેલિગેશનને વર્લ્ડ ટૂર પર મોકલ્યા છે. આ બધાં ડેલિગેશન આ અઠવાડિયાના અંત સુધીમાં ભારત પાછા ફરશે. વિપક્ષ તેમના પરત ફર્યા પછી આવતા અઠવાડિયે એક વિશેષ સત્રમાં આ મુદ્દા પર ચર્ચાની માગ કરી રહ્યો છે.
RJDના મનોજ ઝાએ કહ્યું હતું કે પહેલગામ હુમલા પછી ઓપરેશન સિંદૂર થયું. ભાવનાઓથી વિચારવા છતાં ચિંતાના કેટલાક સંકેતો બહાર આવ્યા છે. આનાથી કોઈ સરકારને દુઃખ થયું હોય કે ન થયું હોય, કોઈ રાજકીય પક્ષને દુઃખ થયું હોય કે ન થયું હોય, ભારતની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પીડા છે. આ ચર્ચા સોશિયલ મિડિયા, ટીવી ડિબેટમાં નહીં થાય. 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું હતું.
Leaders of 16 INDIA parties have written to the PM today requesting for a special session of Parliament. Here is their letter. pic.twitter.com/gM1SarUYYk
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 3, 2025
કોંગ્રેસ ઉપરાંત, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પણ કેન્દ્ર પાસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે. ટ્વિટર પર એક પોસ્ટમાં પાર્ટીએ કહ્યું હતું કે હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે ભારતીય ડેલિગેશન પરત ફર્યા પછી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે, કારણ કે મારું માનવું છે કે દેશના લોકોને હાલના સંઘર્ષ વિશે જાણવાનો સૌથી મોટો અધિકાર છે.
