વિદેશ જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 31 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થયો છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ છેલ્લાં ત્રણ વર્ષથી આ ઘટાડો ચાલુ છે. રાજ્યસભામાં શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજુમદારના લેખિત જવાબ મુજબ 2023માં 9.08 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થી વિદેશ ગયા હતા. આ સંખ્યા 2024માં ઘટીને 7.7 લાખ અને 2025માં 6.26 લાખ રહી ગઈ હતી. આમ ત્રણ વર્ષમાં આશરે 31 ટકા ઘટાડો નોંધાયો છે.

આંકડા દર્શાવે છે કે મહામારી પછી વિદેશ જવાનું વલણ ઝડપથી વધ્યું હતું. 2021માં લગભગ 4.44 લાખ વિદ્યાર્થી વિદેશ ગયા હતા, જ્યારે 2022માં આ સંખ્યા વધીને 7.5 લાખ થઈ ગઈ હતી. મંત્રાલય મુજબ આ માહિતી 2021થી 2025 દરમ્યાનની ગાળાની છે, જે ગૃહ મંત્રાલયના બ્યુરો ઓફ ઇમિગ્રેશન પાસેથી મેળવવામાં આવી છે.

વિદેશમાં અભ્યાસ કરવાનો નિર્ણય વ્યક્તિગત પસંદગી અને ઇચ્છા પર આધારિત હોય છે. તેમાં અભ્યાસનો ખર્ચ, બેંક લોનની સુવિધા, વિદેશી સમાજનો અનુભવ અને કોઈ ખાસ વિષયમાં કુશળતા જેવાં પરિબળો મહત્વનાં હોય છે.

NEP 2020 હેઠળ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સુધાર પર ભાર

મજુમદારે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ ઉચ્ચ શિક્ષણને મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. શિક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ તેમાં મુખ્યત્વે આધુનિક માળખાકીય સુવિધાઓનો વિકાસ, માન્યતા પ્રણાલી મજબૂત બનાવવી, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવું તથા ડિજિટલ શિક્ષણનો વિસ્તાર સામેલ છે.

સરકારનું લક્ષ્ય ભારતમાં વિશ્વ સ્તરીય શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું છે. આ દિશામાં વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવા મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી 14 વિદેશી સંસ્થાઓને મંજૂરી મળી છે. ઉપરાંત, ગુજરાતની GIFT સિટીમાં પાંચ વિદેશી યુનિવર્સિટીઓને કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

અમેરિકા

અમેરિકા હજુ પણ વિદેશી વિદ્યાર્થીઓ માટે મુખ્ય ગંતવ્ય છે. પરંતુ કેટલીક વિઝા કેટેગરીમાં વધતી રિજેકશન દર, ભારતમાં લાંબી અપોઇન્ટમેન્ટ વેઇટિંગ અને H-1B વિઝા સુધારાઓ અંગેની ચર્ચાઓને કારણે અનિશ્ચિતતા વધી છે.