નવી દિલ્હી: પંજાબ કેસરી અખબાર જૂથને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી. મંગળવારે પંજાબ સરકારને તેના પ્રકાશન સામે કોઈ જબરદસ્તી પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો. સાથે જ પ્રિન્ટિંગ પ્રેસને અવિરત રીતે કામ કરવાની મંજૂરી આપવાનો આદેશ પણ આપ્યો.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હજુ સુધી આ મામલે પોતાનો ચુકાદો આપ્યો નથી. તેમ છતાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી દ્વારા અખબાર મેનેજમેન્ટ વતી મૌખિક તાકીદનો ઉલ્લેખ કર્યા પછી વચગાળાની રાહત આપી.
રોહતગીએ દાવો કર્યો હતો કે પંજાબ કેસરી અખબાર દ્વારા રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવતા લેખો પ્રકાશિત કરવામાં આવ્યા. ત્યાર પછી તરત જ, મીડિયા જૂથ સામે શ્રેણીબદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં વીજળીનો કાપ, પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ, પ્રિન્ટિંગ પ્રેસ બંધ કરવા, જૂથ દ્વારા સંચાલિત હોટલોને સીલ કરવા અને એફ.આઈ.આર. નોંધવાનો સમાવેશ થાય છે.
“આ બધું બે દિવસમાં થયું કારણ કે અમે એવા લેખો પ્રકાશિત કર્યા જે પંજાબમાં સરકારને અનુકૂળ ન હતા,” વરિષ્ઠ વકીલે ભારપૂર્વક જણાવ્યું કે, “લગભગ બે દાયકાથી કાર્યરત પ્રિન્ટિંગ પ્રેસને કથિત પ્રદૂષણ ઉલ્લંઘન બદલ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.”
“અખબાર બંધ કરી શકાતું નથી,” CJI કાંતની આગેવાની હેઠળની બેન્ચે અવલોકન કર્યું. પ્રિન્ટિંગ પ્રેસને કામ કરવાની મંજૂરી આપવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો. જો કે, તેણે સ્પષ્ટ કર્યું કે હોટલ સહિત જૂથના અન્ય વ્યાપારી મથકોના સંદર્ભમાં, હાલ માટે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે, “બંને પક્ષોના અધિકારોને પૂર્વગ્રહ રાખ્યા વિના અને કેસના ગુણદોષ પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યા વિના, પંજાબ કેસરી અખબારનું પ્રિન્ટિંગ પ્રેસ અવિરત રીતે કાર્ય કરવાનું ચાલુ રાખશે.” સાથે જ ઉમેર્યું કે વચગાળાની વ્યવસ્થા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા ચુકાદો જાહેર થયા પછી એક અઠવાડિયા સુધી અમલમાં રહેશે.
રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલ (AAG) શાદાન ફરાસતે દલીલ કરી હતી કે તમામ કાર્યવાહી કાયદા અનુસાર કડક રીતે કરવામાં આવી હતી અને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે અખબાર જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજીઓ પર પોતાનો ચુકાદો પહેલાથી જ અનામત રાખ્યો હતો.
શાદાન ફરાસતે ઉમેર્યું હતું કે ફક્ત એક જ યુનિટને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, આખા અખબારને નહીં. “અખબારનો ભાગ બંધ કરશો નહીં. હોટલ અથવા અન્ય વ્યાપારી સંસ્થાઓ, કોઈ સમજી શકે છે, થોડા દિવસો માટે બંધ કરી શકાય છે. પરંતુ અખબારને મંજૂરી આપો,” સીજેઆઈ કાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું.
અગાઉ, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મીડિયા જૂથ દ્વારા તેના પ્રિન્ટિંગ પ્રેસ અને હોટેલ બંધ કરવાને પડકારતી અરજીઓ પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. પરંતુ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે મેનેજમેન્ટને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો.
બીજી તરફ પંજાબ કેસરી જૂથે આરોપ લગાવ્યો છે કે પરીક્ષણ અહેવાલોની રાહ જોયા વિના અથવા સુનાવણીની કોઈ તક આપ્યા વિના, નિરીક્ષણની તારીખે જ બંધ કરવાના આદેશો પસાર કરવામાં આવ્યા હતા.


